અજગરના લોહીથી હવે ઘટશે મેદસ્વીતા? વૈજ્ઞાનિકોનો દાવો, જાણો કેવી રીતે કરશે કામ
મેદસ્વીતા (Obesity) આજે સમગ્ર વિશ્વ માટે એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિકો સતત નવા સંશોધનો કરી રહ્યા છે. તાજેતરમાં ‘નેચર મેટાબોલિઝમ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ, વૈજ્ઞાનિકોએ બર્મીઝ અજગર (Burmese Python) ના લોહીમાં એક એવા અણુ (Molecule) ની ઓળખ કરી છે, જે વજન ઘટાડવા માટે અકસીર દવા સાબિત થઈ શકે છે.
અજગર પોતાની અસાધારણ ખોરાકની આદતો માટે જાણીતા છે. તેઓ પોતાના શરીરના વજન જેટલો મોટો શિકાર એકસાથે ગળી શકે છે અને ત્યારબાદ મહિનાઓ સુધી ખોરાક વગર જીવિત રહી શકે છે. સંશોધકોએ નોંધ્યું કે ભોજન કર્યા પછી અજગરના લોહીમાં કેટલાક અણુઓનું પ્રમાણ ઝડપથી વધી જાય છે, જે તેમના અસામાન્ય ચયાપચય (Metabolism) ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સંશોધનમાં શું બહાર આવ્યું?
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જોનાથન લોંગના નેતૃત્વમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં યુવાન અજગરોના ભોજન પહેલા અને પછીના લોહીના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન:
- વૈજ્ઞાનિકોએ 200 થી વધુ એવા અણુઓ ઓળખ્યા જેમના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હતો.
- તેમાં એક ખાસ અણુ મળી આવ્યો જેને pTOS નામ આપવામાં આવ્યું છે. ભોજન બાદ અજગરમાં તેનું પ્રમાણ 1,000 ગણાથી વધુ વધી ગયું હતું.
- રસપ્રદ વાત એ છે કે, આ અણુ મનુષ્યોમાં પણ ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે, જે આંતરડાના બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે.
કેવી રીતે કામ કરશે આ ‘જાદુઈ’ અણુ?
આ અણુની ક્ષમતા ચકાસવા માટે સંશોધકોએ મેદસ્વી ઉંદરો પર પ્રયોગ કર્યો. ઉંદરોને pTOS આપ્યા બાદ પરિણામો આશ્ચર્યજનક હતા:
- ઉંદરોએ ખોરાક લેવાનું ઓછું કરી દીધું.
- માત્ર 28 દિવસના સમયગાળામાં ઉંદરોએ તેમના શરીરના કુલ વજનના અંદાજે 9 ટકા જેટલું વજન ઘટાડી દીધું.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં બજારમાં ઉપલબ્ધ વજન ઘટાડવાની દવાઓ (જેમ કે વેગોવી) પેટ ખાલી થવાની પ્રક્રિયાને ધીમી કરીને કામ કરે છે, જેના કારણે ઘણીવાર ઉબકા જેવી આડઅસરો (Side Effects) થાય છે. તેની સામે, pTOS સીધું મગજના ‘હાયપોથલેમસ’ ભાગ પર અસર કરે છે, જે ભૂખને નિયંત્રિત કરતું કેન્દ્ર છે.
આડઅસર વગરની દવાની આશા
સંશોધનના સહ-લેખક લેસ્લી લેનવાન્ડે જણાવ્યું હતું કે, આ તારણો હાલની સારવારમાં જોવા મળતી સામાન્ય આડઅસરો વિના ભૂખને નિયંત્રિત કરવાની એક નવી રીત દર્શાવે છે. જોકે, આ સંશોધન હજુ તેના પ્રારંભિક તબક્કે છે.
આ અણુ માનવ વપરાશ માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને અસરકારક છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે હજુ વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ અને અભ્યાસોની જરૂર પડશે. પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે ભવિષ્યમાં આ શોધ મેદસ્વીતા વિરુદ્ધની લડાઈમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

