૧ એપ્રિલથી બદલાશે ટેક્સના નિયમો, ₹૧૨.૭૫ લાખ સુધીની આવક હવે સાવ ટેક્સ-ફ્રી!
ભારત સરકાર આવતીકાલથી દેશની આર્થિક વ્યવસ્થામાં સૌથી મોટો સુધારો કરવા જઈ રહી છે. વર્ષો જૂના અને જટિલ આવકવેરા કાયદાને સ્થાને નવો અને સરળ કાયદો લાવીને સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રારંભ સાથે જ પગારદાર કર્મચારીઓને મોંઘવારી વચ્ચે મોટી રાહત મળવાની આશા છે.
૧. ₹૧૨.૭૫ લાખ સુધી કોઈ ટેક્સ નહીં!
નવા કાયદા હેઠળ સૌથી મોટો આકર્ષણનો મુદ્દો ટેક્સ સ્લેબ છે. કલમ 87A હેઠળ ₹૧૨ લાખ સુધીની આવક પર ટેક્સનો દર ‘શૂન્ય’ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ₹૭૫,૦૦૦નું સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction) પણ મળવાપાત્ર છે. એટલે કે જે વ્યક્તિનો વાર્ષિક પગાર ₹૧૨.૭૫ લાખ સુધી છે, તેણે સરકારને એક પણ રૂપિયો ટેક્સ ચૂકવવો પડશે નહીં.
૨. એલાઉન્સમાં તોતિંગ વધારો
વર્ષોથી બાળકોના શિક્ષણ માટે માત્ર ₹૧૦૦ અને હોસ્ટેલ માટે ₹૩૦૦ ની જે નજીવી છૂટ મળતી હતી, તેમાં સરકારે મોટો વધારો કર્યો છે:
-
ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ: ₹૧૦૦ થી વધારીને ₹૩,૦૦૦ પ્રતિ માસ કરવામાં આવ્યું.
-
હોસ્ટેલ એલાઉન્સ: ₹૩૦૦ થી વધારીને ₹૯,૦૦૦ પ્રતિ માસ કરવામાં આવ્યું. આ ફેરફારથી વાર્ષિક ધોરણે લાખો રૂપિયાની આવક ટેક્સના દાયરામાંથી બહાર થઈ જશે.
૩. અમદાવાદના રહેવાસીઓને ડબલ ફાયદો
સરકારે હવે અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે ને સત્તાવાર રીતે મેટ્રો શહેરોની યાદીમાં સામેલ કર્યા છે. આનો અર્થ એ છે કે આ શહેરોમાં કામ કરતા કર્મચારીઓને હવે વધુ HRA (House Rent Allowance) મુક્તિ મળશે. જોકે, સરકારે અહીં કડકાઈ પણ કરી છે. જો તમે વાર્ષિક ₹૧ લાખથી વધુ ભાડું ચૂકવો છો, તો મકાનમાલિકનો PAN નંબર આપવો ફરજિયાત છે અને જો તે તમારા સંબંધી હોય તો તેની જાહેરાત પણ કરવી પડશે.
૪. મેડિકલ અને ફૂડ વાઉચરમાં રાહત
મુશ્કેલ સમયમાં તબીબી સહાય માટે લેવામાં આવતી લોન પર પહેલા માત્ર ₹૨૦,૦૦૦ સુધી ટેક્સ મુક્તિ હતી, જે હવે વધારીને ₹૨ લાખ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઓફિસમાં મળતા ભોજન વાઉચરની મર્યાદા પણ ₹૫૦ થી વધારીને ₹૨૦૦ કરાઈ છે, જે વાર્ષિક ધોરણે ₹૧ લાખ સુધીના ખર્ચને ટેક્સ-ફ્રી બનાવશે.
૫. સરળ ફોર્મ અને ડિજિટલ સુવિધા
હવે ફોર્મ-૧૬ નો જમાનો ગયો! તેની જગ્યાએ વધુ સ્પષ્ટ અને ડિજિટલ ‘ફોર્મ-૧૩૦’ આવશે. વરિષ્ઠ નાગરિકો માટે પણ ૧૫G અને ૧૫H ફોર્મની જગ્યાએ એક જ સંયુક્ત ફોર્મ લાવીને કાગળિયાની ઝંઝટ ઘટાડવામાં આવી છે. કાયદાની કલમો ૮૦૦ થી ઘટાડીને ૫૩૬ કરવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિક પણ સીએ (CA) ની મદદ વગર પોતાની કર ગણતરી સમજી શકે.
૬. “ટેક્સ વર્ષ” ની નવી ઓળખ
હવે ફાઈનાન્શિયલ યર (FY) અને એસેસમેન્ટ યર (AY) ની મૂંઝવણ રહેશે નહીં. સરકાર તેને હવે માત્ર “કર વર્ષ ૨૦૨૬-૨૭” તરીકે ઓળખશે, જે સમજવામાં ખૂબ જ સરળ રહેશે.
નોંધનીય બાબત: યાદ રાખજો કે તમે અત્યારે (જુલાઈ ૨૦૨૬માં) જે આઈટીઆર (ITR) ફાઈલ કરશો તે જૂના નિયમો મુજબ જ હશે. આ નવો કાયદો ૧ એપ્રિલ ૨૦૨૬ પછી કમાયેલી આવક પર લાગુ થશે.
નવો આવકવેરા કાયદો ૨૦૨૫ મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન છે. પગાર વધારા વગર તમારા હાથમાં વધુ પૈસા આવશે કારણ કે ટેક્સમાં મોટી બચત થઈ રહી છે. ૩૧ માર્ચ ૨૦૨૬ ના આ દિવસે દેશ એક નવી અને સરળ કર વ્યવસ્થા તરફ પ્રયાણ કરી રહ્યો છે.

