હૃદય રોગના નિવારણમાં મોટી સફળતા: હાર્ટ એટેકનો ખતરો 31% સુધી ઘટશે! ડાયાબિટીસના દર્દીઓ માટે આ નવી દવા બનશે આશીર્વાદ
દુનિયાભરમાં આજે પણ મૃત્યુનું સૌથી મોટું કારણ હૃદયને લગતી બીમારીઓ છે. મોટાભાગે લોકો ત્યારે જાગે છે જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થઈ જાય અથવા હાર્ટ એટેક આવી જાય. પરંતુ તાજેતરના એક સંશોધનમાં આશાનું નવું કિરણ દેખાયું છે. રિપોર્ટ મુજબ, જો ગંભીર લક્ષણો દેખાય તે પહેલાં જ યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે, તો ભવિષ્યના જોખમોને ટાળી શકાય છે.
શું કહે છે લેટેસ્ટ રિસર્ચ?
અમેરિકાની મેસેચ્યુસેટ્સ જનરલ બ્રિગમ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં ચોંકાવનારા અને સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. ‘JAMA’ જર્નલમાં પ્રકાશિત આ સ્ટડી મુજબ, ‘ઇવોલોક્યુમેબ’ (Evolocumab) નામની દવા હાઈ-રિસ્ક ડાયાબિટીસના દર્દીઓમાં હૃદય રોગની ગંભીર ઘટનાઓ ઘટાડવામાં અત્યંત અસરકારક સાબિત થઈ છે. ખાસ વાત એ છે કે, જે દર્દીઓમાં હજુ સુધી ધમનીની બીમારીના સ્પષ્ટ લક્ષણો નથી દેખાયા, તેમના પર પણ આ દવા અદભૂત કામ કરે છે.
હૃદય રોગ અને ડાયાબિટીસનો ખતરો કેમ વધે છે?
આપણા હૃદયને યોગ્ય રીતે કામ કરવા માટે લોહીની નળીઓ (Blood Vessels) સાફ હોવી જરૂરી છે. પરંતુ સમય જતાં ધમનીઓની દીવાલો પર ‘પ્લાક’ નામનો પદાર્થ જમા થાય છે, જેને તબીબી ભાષામાં ‘એથરોસ્ક્લેરોસિસ’ કહેવાય છે.
- બેડ કોલેસ્ટ્રોલની ભૂમિકા: આ પ્લાક જમવા પાછળ મુખ્ય કારણ ‘LDL’ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ
- મર્યાદાઓ: અત્યાર સુધી ડોક્ટરો આ માટે ‘સ્ટેટિન’ દવાઓ આપતા હતા. જોકે તે અસરકારક છે, પરંતુ હાઈ-રિસ્ક દર્દીઓમાં તે કોલેસ્ટ્રોલ લેવલને જોઈએ તેટલું ઓછું કરી શકતી નથી.
નવો વિકલ્પ: કેવી રીતે કામ કરે છે ‘ઇવોલોક્યુમેબ’?
ઇવોલોક્યુમેબ એ એક PCSK9 ઇન્હિબિટર દવા છે. તે સ્ટેટિન કરતા અલગ રીતે કામ કરે છે અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને લગભગ 60% સુધી ઘટાડવાની ક્ષમતા ધરાવે છે.
અગાઉ આ દવાનો ઉપયોગ માત્ર એવા દર્દીઓ માટે થતો હતો જેમને પહેલા હાર્ટ એટેક આવી ચૂક્યો હોય. પરંતુ આ નવા રિસર્ચમાં 3,655 એવા ડાયાબિટીસના દર્દીઓને સામેલ કરવામાં આવ્યા જેમને હજુ સુધી હૃદયની કોઈ ગંભીર બીમારી નહોતી, પણ તેમનું શુગર લેવલ અને અન્ય સ્થિતિ જોતા ભવિષ્યમાં જોખમ વધારે હતું.
5 વર્ષના અભ્યાસમાં જોવા મળી મોટી અસર
અભ્યાસના અંતે જાણવા મળ્યું કે જે દર્દીઓએ આ નવી દવા લીધી હતી, તેમનામાં LDL કોલેસ્ટ્રોલનું પ્રમાણ 51% સુધી ઘટી ગયું હતું. સૌથી મહત્વની વાત એ છે કે, 5 વર્ષના ફોલો-અપ દરમિયાન જોવા મળ્યું કે:
“આ દવા લેનારા દર્દીઓમાં હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા હૃદય સંબંધિત મૃત્યુનું જોખમ 31% જેટલું ઓછું થઈ ગયું હતું.”

