ઇસ્લામાબાદમાં સીઝફાયરની મંત્રણા, તો બીજી તરફ ઇઝરાયેલમાં વડાપ્રધાન નેતન્યાહુ પર ભ્રષ્ટાચારનો કેસ શરૂ
એક તરફ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) માટે ઐતિહાસિક મંત્રણા થવા જઈ રહી છે, તો બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધતી જણાય છે. રવિવારથી નેતન્યાહુ પર ચાલી રહેલો ભ્રષ્ટાચારનો ફોજદારી કેસ ફરી શરૂ થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી યુદ્ધની સ્થિતિને કારણે આ કેસ ટળતો રહ્યો હતો, પરંતુ હવે કાયદાનો ગાળિયો તેમની આસપાસ મજબૂત થતો દેખાય છે.
યુદ્ધના કારણે અટકેલી સુનાવણી ફરી શરૂ થશે
ઈરાન સાથેના સીધા સંઘર્ષ અને ગાઝા-લેબનોનમાં ચાલતા યુદ્ધના કારણે ઇઝરાયેલની કોર્ટ સિસ્ટમ ઇમરજન્સી હેઠળ કામ કરી રહી હતી. હવે જ્યારે સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને ઇમરજન્સી હટી છે, ત્યારે જેરૂસલેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સુનાવણી ફરી શરૂ કરવાનો નોટિસ જાહેર કરી છે. રવિવારે સવારે 9:30 વાગ્યાથી બચાવ પક્ષના સાક્ષીઓની જુબાની સાથે આ ટ્રાયલ નિયમિત રીતે આગળ વધશે.
શું છે નેતન્યાહુ પરના આરોપો?
વડાપ્રધાન નેતન્યાહુ પર વર્ષ 2020 થી ભ્રષ્ટાચારના ગંભીર કેસ ચાલી રહ્યા છે. આ સમગ્ર મામલો મુખ્યત્વે ત્રણ કેસ (કેસ 1000, 2000 અને 4000) સાથે જોડાયેલો છે. તેમાં લાંચ લેવી, છેતરપિંડી કરવી અને સત્તાનો દુરુપયોગ કરી ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાના આરોપો છે. નેતન્યાહુ ઇઝરાયેલના ઇતિહાસના પ્રથમ એવા વર્તમાન વડાપ્રધાન છે જેમના પર પદ પર હોવા છતાં ક્રિમિનલ ટ્રાયલ ચાલી રહી છે. જોકે, તેમણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને પોતાની વિરુદ્ધનું ‘રાજકીય કાવતરું’ ગણાવ્યું છે.
ઈરાની વિદેશ મંત્રીનું આકરૂ નિવેદન
નેતન્યાહુની મુશ્કેલીઓ પર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કટાક્ષ કરતા ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, “જો લેબનોન સહિત આખા વિસ્તારમાં સીઝફાયર થશે, તો નેતન્યાહુ માટે જેલ જવાનો રસ્તો વધુ ઝડપી બની જશે.” અરાઘચીએ વધુમાં ઉમેર્યું કે જો અમેરિકા નેતન્યાહુના કારણે પોતાની અર્થવ્યવસ્થા બરબાદ કરવા માંગતું હોય, તો તે તેની મરજી છે, પરંતુ ઈરાન દરેક સ્થિતિ માટે તૈયાર છે.
Netanyahu’s criminal trial resumes on Sun. A region-wide ceasefire, incl in Lebanon, would hasten his jailing.
If the U S. wishes to crater its economy by letting Netanyahu kill diplomacy, that would ultimately be its choice. We think that would be dumb but are prepared for it.
— Seyed Abbas Araghchi (@araghchi) April 9, 2026
ક્રાઉડ ઓફ ‘કેસ 1000, 2000 અને 4000’
આ સુનાવણીમાં નેતન્યાહુની ઉલટતપાસ (Cross-examination) અત્યંત મહત્વની રહેશે. ડિસેમ્બર 2024 માં તેમણે જુબાની આપવાનું શરૂ કર્યું હતું. જૂન 2025 થી પ્રોસિક્યુટરે તેમની ઉલટતપાસ શરૂ કરી હતી, જે યુદ્ધના કારણે અધવચ્ચે અટકી ગઈ હતી. હવે જ્યારે એપ્રિલ 2026 માં આ પ્રક્રિયા ફરી શરૂ થઈ રહી છે, ત્યારે ઇઝરાયેલના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે.
એક તરફ વિશ્વના નેતાઓ ઈસ્લામાબાદમાં શાંતિ સ્થાપવા મથી રહ્યા છે, ત્યારે બીજી તરફ જેરૂસલેમની કોર્ટમાં નેતન્યાહુના ભવિષ્યનો ફેંસલો લખાવાની તૈયારી થઈ રહી છે. શું નેતન્યાહુ પોતાની ખુરશી અને આઝાદી બચાવી શકશે? તે જોવું હવે રસપ્રદ રહેશે.
