શહબાઝ તો માત્ર નામના PM, અસલી પાવર તો મુનીર પાસે જ… પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ દુનિયા સામે ખોલી પોલ
પાકિસ્તાનની સત્તા પર સેનાનો દબદબો હોવો એ કોઈ નવી વાત નથી, પરંતુ જ્યારે ઘરના જ જવાબદાર લોકો આ સત્ય સ્વીકારે ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તામાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. આ દરમિયાન નેતૃત્વને લઈને ઉઠેલા સવાલો પર પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ એક મોટું નિવેદન આપીને શહબાઝ શરીફ સરકારની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે.
કોણ છે પાકિસ્તાનનું અસલી નેતા?
ઈસ્લામાબાદમાં ચાલી રહેલી અમેરિકા-ઈરાન મધ્યસ્થતા વાર્તાનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે – વડાપ્રધાન શહબાઝ શરીફ કે આર્મી ચીફ જનરલ આસિમ મુનીર? આ સવાલના જવાબમાં પાકિસ્તાનના પૂર્વ માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “સાચું કહું તો આ બાબતે કોઈ બે મત નથી. અત્યારે પાકિસ્તાનનું નેતૃત્વ જનરલ આસિમ મુનીર જ કરી રહ્યા છે અને તેઓ જ દેશના વાસ્તવિક નેતા છે.”
ફવાદ ચૌધરીએ વધુમાં ઉમેર્યું કે, હાલમાં પાકિસ્તાનમાં તમામ મહત્વના નિર્ણયો લેવાનો અધિકાર માત્ર આર્મી ચીફ પાસે જ છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “ગઈકાલે ટ્રમ્પે પણ જનરલ આસિમ મુનીરને જ પાકિસ્તાનના નેતા ગણાવ્યા હતા. તેમણે શહબાઝ શરીફ વિશે વાત કરવાની પણ તસ્દી લીધી નહોતી.” આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પાકિસ્તાની વડાપ્રધાનની છબી માત્ર એક ‘કઠપૂતળી’ સમાન રહી ગઈ છે.
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વાતચીતની આશા
ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાર્તાનો પ્રથમ રાઉન્ડ ભલે કોઈ નક્કર પરિણામ વગર પૂરો થયો હોય, પરંતુ હજુ પણ બંને દેશો વચ્ચે સમજૂતીની આશા જીવંત છે. ઈરાનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ અમેરિકાનો ખાસ સંદેશ લઈને તેહરાન (ઈરાન) જઈ રહ્યું છે.
અનુસાર, આ પ્રતિનિધિમંડળ બંને દેશો વચ્ચે બીજા રાઉન્ડની વાતચીતની રૂપરેખા તૈયાર કરી શકે છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાકાઈએ પણ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, ઈસ્લામાબાદમાં થયેલી ચર્ચાને આગળ વધારવા માટે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ તેહરાન આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
પાકિસ્તાન માટે કેમ મહત્વની છે આ મધ્યસ્થતા?
પાકિસ્તાન અત્યારે આર્થિક રીતે કંગાળ અવસ્થામાં છે. આવી સ્થિતિમાં જો તે અમેરિકા અને ઈરાન જેવા કટ્ટર દુશ્મનો વચ્ચે સફળ મધ્યસ્થતા કરાવી શકે, તો વૈશ્વિક સ્તરે તેની પ્રતિષ્ઠા વધી શકે છે અને તેને આર્થિક મદદ મળવાની શક્યતા પણ છે. જોકે, ફવાદ ચૌધરીના નિવેદને સાબિત કરી દીધું છે કે આ સફળતાનો શ્રેય જો કોઈને મળશે તો તે પાકિસ્તાની સેનાને જ મળશે, ચૂંટાયેલી સરકારને નહીં.
સેનાનો દબદબો અને લોકશાહીના સવાલ
પાકિસ્તાનના ઈતિહાસમાં અનેકવાર લશ્કરી શાસન આવ્યું છે. ભલે અત્યારે ત્યાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર હોવાનો દાવો કરવામાં આવતો હોય, પરંતુ વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા વિષયો પર આજે પણ રાવલપિંડી (સેના મથક) માંથી જ આદેશો છૂટે છે. ફવાદ ચૌધરીના નિવેદને દુનિયાને ફરી એકવાર યાદ અપાવ્યું છે કે પાકિસ્તાનમાં વડાપ્રધાનની ખુરશી માત્ર દેખાવ પૂરતી છે, અસલી કમાન્ડ તો જનરલના હાથમાં જ રહે છે.

