રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીનો વિપક્ષ કરશે બહિષ્કાર: જયરામ રમેશે ગણાવ્યા 3 મુખ્ય કારણો
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ હવે સંસદીય પદોની ચૂંટણી સુધી પહોંચ્યો છે. કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષી ગઠબંધને આવતીકાલે એટલે કે ૧૭ એપ્રિલના રોજ યોજાનારી રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહાસચિવ જયરામ રમેશે આ નિર્ણય પાછળના ત્રણ ગંભીર કારણો રજૂ કરીને સરકારની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા છે.
લોકસભામાં ડેપ્યુટી સ્પીકરના પદનો મુદ્દો
જયરામ રમેશે બહિષ્કારનું પ્રથમ અને સૌથી મહત્વનું કારણ લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની નિમણૂક ન થવાને ગણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, “છેલ્લા ૭ વર્ષથી મોદી સરકારે લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની નિમણૂક કરી નથી, જે ભારતીય સંસદીય ઇતિહાસમાં અગાઉ ક્યારેય બન્યું નથી.” વિપક્ષનું માનવું છે કે જ્યારે સંસદના નીચલા ગૃહમાં લોકશાહી પરંપરાનું પાલન નથી થઈ રહ્યું, ત્યારે રાજ્યસભામાં આ પ્રક્રિયામાં સામેલ થવાનો કોઈ અર્થ રહેતો નથી.
નામાંકિત સભ્યની ઉમેદવારી પર વાંધો
બીજું કારણ હરિવંશજીની ઉમેદવારીની પદ્ધતિ સાથે જોડાયેલું છે. હરિવંશજીનો બીજો કાર્યકાળ ૯ એપ્રિલે પૂર્ણ થયો હતો અને તેના બીજા જ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા તેમને ફરીથી રાજ્યસભા માટે નામાંકિત (Nominated) કરવામાં આવ્યા હતા.
જયરામ રમેશે આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, “ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલા કોઈ વ્યક્તિને રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે વિચારવામાં આવ્યા હોય.” તેમણે સ્પષ્ટ કર્યું કે વિપક્ષને હરિવંશજી પ્રત્યે વ્યક્તિગત કોઈ અનાદર નથી, પરંતુ આ પ્રકારની નિમણૂકની પદ્ધતિ સંસદીય મર્યાદાઓની વિરુદ્ધ છે.
વિપક્ષ સાથે સલાહ-મશવરાનો અભાવ
બહિષ્કારનું ત્રીજું કારણ જણાવતા જયરામ રમેશે કહ્યું કે, સરકાર આટલા મહત્વના પદ માટે કોઈ પણ પ્રકારના ‘સાર્થક સલાહ-મશવરા’ વગર આગળ વધી રહી છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર પોતાની બહુમતીના જોરે મનસ્વી નિર્ણયો લઈ રહી છે અને વિપક્ષના સૂચનો કે અવાજને મહત્વ આપવામાં આવતું નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ‘હરિવંશ ૩.૦’ (તેમનો ત્રીજો કાર્યકાળ) વિપક્ષના મંતવ્યો પ્રત્યે વધુ સંવેદનશીલ રહેશે.
First, the Modi Govt has not appointed a Deputy Speaker in the Lok Sabha for 7 years. This has never happened before.
Second, the Deputy Speaker’s counterpart in the Rajya Sabha is the Deputy Chairman. Shri Harivansh’s second term ended on April 9th. A day later he was nominated…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 16, 2026
ચૂંટણીનું ગણિત અને હરિવંશનો કાર્યકાળ
હરિવંશજી અગાઉ બે વાર ઉપસભાપતિ તરીકે રહી ચૂક્યા છે. ૯ એપ્રિલે તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ફરીથી રાજ્યસભા માટે નામિત કર્યા અને ૧૦ એપ્રિલે તેમણે શપથ લીધા હતા. સત્તાધારી NDA ગઠબંધન ઈચ્છે છે કે તેઓ ફરીથી આ પદ પર બિરાજમાન થાય.
