બંગાળ ચૂંટણી પર ચૂંટણી પંચનો મોટો નિર્ણય: જે બૂથ પર EVM પર ટેપ લાગેલી મળી, ત્યાં ફરીથી યોજાશે મતદાન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાનમાં આજે હંગામો જોવા મળ્યો છે. અનેક બૂથો પર ઈવીએમ મશીન પર ‘કાળી અને સફેદ ટેપ’ મારેલી હોવાની ફરિયાદો મળ્યા બાદ ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં પણ મશીન સાથે ચેડાં થયા હોવાનું સાબિત થશે, ત્યાં કોઈ પણ બાંધછોડ વગર પુનઃ મતદાન (Re-polling) કરાવવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાંથી થઈ હતી. અહીંના કેટલાક મતદાન મથકો પર એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઈવીએમ મશીન પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના ચૂંટણી ચિહ્નની બાજુમાં સફેદ ટેપ ચોંટાડી દેવામાં આવી હતી, જેથી મતદારો ચિહ્ન જોઈ ન શકે અથવા મૂંઝવણમાં મુકાય. ખાસ કરીને બૂથ નંબર 144 અને 189 પર આ પ્રકારની ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ભાજપના નેતાઓએ આ વીડિયો શેર કરીને ચૂંટણી પંચ સમક્ષ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી.
ચૂંટણી અધિકારીનો આકરો નિર્ણય
ફરિયાદોને ગંભીરતાથી લેતા બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “જ્યાં પણ ઈવીએમ મશીન પર કાળી કે સફેદ ટેપ લાગેલી જોવા મળશે, ત્યાં ફરીથી મતદાન કરાવવાનો આદેશ આપવામાં આવશે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો કોઈ ચોક્કસ વિધાનસભા વિસ્તારમાં મોટી સંખ્યામાં આવા બૂથો મળી આવશે જ્યાં મશીનો પર ટેપ લગાડીને પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી હોય, તો તે આખા વિસ્તારમાં નવેસરથી મતદાન કરાવતા પણ પંચ અચકાશે નહીં. હાલમાં પંચને મળેલી તમામ ફરિયાદોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
લોકશાહીમાં પારદર્શિતા જાળવવાનો પ્રયાસ
ચૂંટણી પંચનું માનવું છે કે ઈવીએમ મશીન પર કોઈપણ પ્રકારની ટેપ કે કાગળ લગાવવો એ સીધી રીતે મતદારોને ગેરમાર્ગે દોરવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવાનો પ્રયાસ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે ઈવીએમ સાથેના આવા છેડા કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. દરેક ફરિયાદની તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે, જે બૂથ સ્તરના રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરશે.
રાજકીય ગરમાવો
આ ઘટના બાદ પશ્ચિમ બંગાળનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ એકબીજા પર ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. એક તરફ વિપક્ષ તેને લોકશાહીની હત્યા ગણાવી રહ્યો છે, તો બીજી તરફ પંચના નિર્ણયને કારણે બંગાળના બીજા તબક્કાના પરિણામો પર મોટી અસર પડી શકે છે.
મતદારોમાં ફેલાઈ ચિંતા
જ્યારે કોઈ પણ ચૂંટણીમાં પુનઃ મતદાનની જાહેરાત થાય છે, ત્યારે મતદારોમાં પણ અસમંજસની સ્થિતિ પેદા થાય છે. જોકે, ચૂંટણી પંચે મતદારોને ખાતરી આપી છે કે તેમનો દરેક મત કિંમતી છે અને કોઈ પણ ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. જે બૂથો પર છેડછાડ થઈ છે, ત્યાં નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

