અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. સતત બીજા દિવસે 1500થી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. આજે રવિવાર, 29 નવેમ્બરના રોજ 1564 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1564 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,08,278 લાખ થઇ ગઇ છે.
રાત્રી કરફ્યુ વચ્ચે પણ અમદાવાદમાં કોરોના બેકાબૂ થઇ રહ્યો છે અને નવા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે પૂરા થયેલા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 319 અને અમદાવાદ જિલ્લામાં 26 નવા કેસ નોંધાયા છે. આમ અમદાવાદમાં આજે રવિવારે કુલ 345 નવા કોરોના કેસ નોંધાયા છે.
ઉલ્લેખનિય છે કે, આજે રવિવારે ગુજરાતમાં કોરોનાથી 16 દર્દીઓના મોત થયા છે જેમાં સૌથી વધુ મોત અમદાવાદમાં નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં 11, સુરતમાં 3, ભરૂચમાં 1, અને ખેડામાં 1 દર્દીનું મૃત્યુ થયુ છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 3969 પહોંચી ગયો છે.
આ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 1451 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,89,420 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 90.95 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 14,889 પહોંચી ગઇ છે અને જેમાંથી હાલમાં 86 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. આમ એક સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં 1289 દર્દીઓનો ઉમેરો થયો છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 68,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 77,59,739 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,17,569 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,17,379ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 172 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.