૧,૦૦૦ વર્ષ જૂનો વૈભવ દેશમાં પરત: જાણો શું છે ‘ચોલા તાંબાની પ્લેટો’ અને તેનો ગૌરવશાળી ઇતિહાસ
ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ માટે એક સુવર્ણ ક્ષણ આવી ગઈ છે. સદીઓ પહેલાં દેશની સરહદો બહાર ગયેલી આપણી અમૂલ્ય વિરાસત ફરી એકવાર માતૃભૂમિના ખોળામાં પરત ફરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નેધરલેન્ડ્સની મુલાકાત દરમિયાન એક અત્યંત ભાવુક અને ગર્વની ક્ષણ શેર કરી હતી. તેમણે જાહેરાત કરી કે, નેધરલેન્ડ્સ સરકાર ભારતને ૧,૦૦૦ વર્ષ જૂની ચોલા વંશની ઐતિહાસિક તાંબાની પ્લેટો (Chola Copper Plates) પરત કરી રહી છે. આ પ્લેટો, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે “લેડન પ્લેટો” (Leiden Plates) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને ચોલ સામ્રાજ્યના વહીવટી અને દરિયાઈ વૈભવની જીવંત સાક્ષી છે.
પીએમ મોદીએ આ ઘટનાને “દરેક ભારતીય માટે આનંદની ક્ષણ” ગણાવી હતી અને નેધરલેન્ડની પ્રખ્યાત ‘લીડેન યુનિવર્સિટી’ તેમજ ત્યાંની સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, જ્યાં આ પ્લેટો ૧૯મી સદીના મધ્યભાગથી ખૂબ જ સુરક્ષિત રીતે રાખવામાં આવી હતી.
આ ચોલા પ્લેટો વાસ્તવમાં શું છે?
જો આપણે ઇતિહાસના પાના ફેરવીએ, તો ચોલ વંશના રાજાઓ તેમના મહત્વપૂર્ણ શાહી આદેશો, જમીનની દાનપ્રવૃત્તિઓ અને સંધિઓને કાયમી ધોરણે સાચવવા માટે તાંબાના પતરાં (તાંબપત્ર) પર કોતરણી કરાવતા હતા.
નેધરલેન્ડ્સથી પરત આવી રહેલો આ સંગ્રહ કોઈ નાનો-સૂનો દસ્તાવેજ નથી. આમાં કુલ ૨૧ મોટી પ્લેટો અને ૩ નાની પ્લેટોનો સમાવેશ થાય છે. આ આખો પ્લેટોનો સેટ એક વિશિષ્ટ કાંસાની વીંટી (Ring) દ્વારા એકબીજા સાથે જોડાયેલો છે. આ વીંટી પર ચોલ વંશની સત્તાવાર “શાહી મહોર” (Royal Seal) પણ અંકિત થયેલી છે. આ સમગ્ર કલાકૃતિનું વજન આશરે ૩૦ કિલોગ્રામ જેટલું છે.
- સૌથી રસપ્રદ વાત એ છે કે આ પ્લેટો પર બે અદભુત ભાષાઓમાં લખાણ છે:
- સંસ્કૃત ભાગ: જેમાં ચોલ વંશના રાજાઓની વંશાવળી અને તેમના પરાક્રમોનું વર્ણન છે.
- તમિલ ભાગ: જેમાં જમીનની વહેંચણી, વહીવટી નિયમો અને સ્થાનિક બાબતોની વિગતો છે. વડાપ્રધાન મોદીએ આ તમિલ લખાણોનો ઉલ્લેખ કરીને તમિલને “વિશ્વની સૌથી સુંદર અને પ્રાચીન ભાષાઓમાંની એક” તરીકે બિરદાવી હતી.
પિતૃભક્તિ અને વચનપાલનની અનોખી ગાથા
આ પ્લેટો માત્ર કોઈ કાનૂની દસ્તાવેજ નથી, પણ એક પુત્ર દ્વારા તેના પિતાના આપેલા વચનને પૂરું કરવાની ભાવનાત્મક વાર્તા છે.
આ ઇતિહાસ ભારતના સૌથી મહાન શાસકોમાંના એક રાજા રાજરાજા ચોલ પ્રથમ (Rajaraja Chola I) અને તેમના પરાક્રમી પુત્ર રાજેન્દ્ર ચોલ પ્રથમ (Rajendra Chola I) સાથે જોડાયેલો છે. રાજા રાજરાજા પ્રથમે પોતાના શાસનકાળ દરમિયાન તમિલનાડુના નાગપટ્ટિનમમાં એક બૌદ્ધ વિહાર (ચુલામનિવર્મા-વિહાર) બનાવવા અને તેને ‘અનૈમંગલમ’ ગામ દાનમાં આપવા માટે એક મૌખિક આદેશ આપ્યો હતો. તે સમયે આ આદેશ માત્ર તાડના પાંદડા (Palm Leaves) પર નોંધાયો હતો.
પરંતુ, તાડના પાંદડા લાંબો સમય ટકી શકતા નથી. તેથી, જ્યારે રાજેન્દ્ર ચોલ પ્રથમ ગાદી પર આવ્યા, ત્યારે તેમણે પોતાના પિતાની આ મૌખિક પ્રતિબદ્ધતા અને વચનને કાયમી સ્વરૂપ આપવાનું નક્કી કર્યું. તેમણે આ આખી ગ્રાન્ટ અને દાનની વિગતોને મજબૂત અને ટકાઉ તાંબાની પ્લેટો પર કોતરાવી દીધી, જેથી તે સદીઓ સુધી અમર રહે.
ચોલા સામ્રાજ્યનો વૈભવ: ચોલ વંશ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પોતાના નૌકા સૈન્ય (Maritime Skills), ભવ્ય સ્થાપત્ય અને અદભુત વહીવટી શક્તિ માટે જાણીતો હતો. આ પ્લેટો સાબિત કરે છે કે તે સમયે ચોલાઓ અન્ય ધર્મો (જેમ કે બૌદ્ધ ધર્મ) પ્રત્યે કેટલા સહિષ્ણુ અને ઉદાર હતા.
આ પ્લેટો ભારત બહાર કેવી રીતે ગઈ?
સવાલ એ થાય કે ભારતની આ અપ્રતિમ વિરાસત સાત સમંદર પાર નેધરલેન્ડ કેવી રીતે પહોંચી? સમાચાર એજન્સીઓના અહેવાલો મુજબ, આ વાર્તા ૧૭૦૦ના દાયકાની છે. તે સમયે ભારતનો નાગપટ્ટિનમ વિસ્તાર ડચ (નેધરલેન્ડના રહેવાસીઓ) ના નિયંત્રણ હેઠળ હતો.
ફ્લોરેન્ટિયસ કેમ્પર નામનો એક વ્યક્તિ, જે ભારતમાં એક ખ્રિસ્તી મિશનરીનો ભાગ હતો, તે ૧૮મી સદીની શરૂઆતમાં આ પ્લેટોને પોતાની સાથે નેધરલેન્ડ લઈ ગયો હતો. ત્યારબાદ, ૧૯મી સદીના મધ્યભાગમાં આ પ્લેટોને નેધરલેન્ડની પ્રતિષ્ઠિત લીડેન યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં સોંપવામાં આવી હતી. ત્યારથી આ પ્લેટો ત્યાંના સંગ્રહાલયની શોભા વધારતી હતી અને સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર હતી.
ભારતનો લાંબો સંઘર્ષ અને રાજદ્વારી સફળતા
આ પ્લેટો આપમેળે ભારત આવી રહી નથી, પરંતુ તેની પાછળ ભારત સરકારના એક દાયકા કરતાં પણ વધુ લાંબા ભગીરથ પ્રયાસો છુપાયેલા છે. ભારત સરકાર વર્ષ ૨૦૧૨થી આ ‘અનૈમંગલમ તાંબાની પ્લેટો’ને સ્વદેશ પરત લાવવા માટે સતત રાજદ્વારી વાટાઘાટો કરી રહી હતી.
A joyous moment for every Indian!
Chola Copper Plates dating back to the 11th Century will be repatriated to India from the Netherlands. Took part in the ceremony for the same in the presence of Prime Minister Rob Jetten.
The Chola Copper Plates are a set of 21 large plates… pic.twitter.com/Zwu0QFc2ZJ
— Narendra Modi (@narendramodi) May 16, 2026
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “આ પ્લેટોનું પરત ફરવું એ વિદેશોમાંથી ભારતીય સાંસ્કૃતિક કલાકૃતિઓને મુક્ત કરાવી સ્વદેશ પરત લાવવાના ભારતના મિશનનું એક મોટું અને સફળ પગલું છે.” વડાપ્રધાન મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત છબી અને નેધરલેન્ડ સાથેના ગાઢ સંબંધોને કારણે આ આખરે શક્ય બન્યું છે. ડચ મંત્રી રોબ જેટનની હાજરીમાં આ ઔપચારિક સોંપણી સમારોહ યોજાયો હતો.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને કલાકૃતિઓનું ઘરવાપસી
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સરકારે વિદેશી સંગ્રહાલયો અને ખાનગી કલેક્ટર્સના કબજામાંથી ભારતીય મૂર્તિઓ, પ્રાચીન સિક્કાઓ, અને આવી કિંમતી પ્લેટો પાછી લાવવા પર વિશેષ ભાર મૂક્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, “આ ચોલા તાંબાની પ્લેટો માત્ર ભૂતકાળની કોઈ સામાન્ય કલાકૃતિ નથી, પરંતુ તે આપણી સભ્યતાની જીવતી જાગતી વાર્તા છે. આ પ્લેટોનું ભારતની ધરતી પર પાછા ફરવું એ ભારતીયો માટે ઊંડી ભાવનાત્મક અને સાંસ્કૃતિક સંતોષની બાબત છે.”
