સુપ્રીમ કોર્ટે શ્વાન પ્રેમીઓની અરજીઓ ફગાવી: જાહેર સ્થળો પરથી રખડતા કૂતરાઓને હટાવવાનો આદેશ રહેશે યથાવત
દેશભરમાં રખડતા શ્વાનો (આવારા કૂતરાઓ) ના વધતા જતા આતંક અને તેના કારણે સામાન્ય નાગરિકોને થતી હાલાકી અંગે સુપ્રીમ કોર્ટે એક બહુ જ મોટો અને કડક નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે શ્વાન પ્રેમીઓ (Dog Lovers) અને વિવિધ બિન-સરકારી સંસ્થાઓ (NGOs) દ્વારા દાખલ કરવામાં આવેલી એ તમામ અરજીઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે, જેમાં જાહેર સ્થળો અને સંસ્થાઓના પરિસરમાંથી કૂતરાઓને હટાવવાના અગાઉના આદેશને પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સાર્વજનિક અને શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસમાંથી રખડતા કૂતરાઓને હટાવવા માટે જે નિર્દેશો આપવામાં આવ્યા હતા, તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કે સુધારો કરવામાં આવશે નહીં. અદાલતના આ કડક વલણના કારણે હવે શ્વાન પ્રેમીઓની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે અને કોર્ટનો જૂનો આદેશ જ દેશભરમાં લાગુ રહેશે.
શાળાઓ, હોસ્પિટલો અને રેલ્વે સ્ટેશનો પરથી કૂતરાઓ હટશે
સુપ્રીમ કોર્ટના આ આદેશનો સીધો અર્થ એ થાય છે કે હવે દેશભરની શાળાઓ, કોલેજો, સરકારી અને ખાનગી હોસ્પિટલો, રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને જાહેર બગીચાઓ જેવા સંવેદનશીલ તેમજ વધુ ભીડભાડવાળા સ્થળો પરથી રખડતા કૂતરાઓને હટાવવાની કામગીરી અટકશે નહીં. શ્વાન પ્રેમીઓ દ્વારા આ સ્થળો પરથી કૂતરાઓ હટાવવાના આદેશ સામે વાંધો ઉઠાવતી પુનઃવિચાર અરજીઓ કરવામાં આવી હતી, જેને સર્વોચ્ચ અદાલતે કાયદાકીય રીતે અમાન્ય ગણાવી છે. સુપ્રીમ કોર્ટનો ૨૫ નવેમ્બરનો આદેશ, જેમાં આ સંસ્થાગત વિસ્તારોમાંથી આવારા કૂતરાઓને હટાવવા અને તેમને ફરીથી ત્યાં ન છોડવાનો કડક નિર્દેશ આપવામાં આવ્યો હતો, તે હવે પૂરી તાકાત સાથે યથાવત રહેશે.
પબ્લિક હેલ્થ અને સેફ્ટી સાથે કોઈ બાંધછોડ નહીં થાય: સુપ્રીમ કોર્ટ
કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, “એનિમલ વેલ્ફેર બોર્ડના એસઓપી (SOP – સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ના વિરોધમાં કરવામાં આવેલી તમામ અરજીઓને અમે ફગાવી રહ્યા છીએ.” કોર્ટે રાજ્યોની બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરતા ઉમેર્યું કે, જો દેશના તમામ રાજ્યોએ સમયસર ‘એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ’ (પ્રાણી જન્મ નિયંત્રણ નિયમો) નું ચુસ્તપણે પાલન કર્યું હોત, તો આજે દેશમાં આવી ગંભીર અને ભયાનક પરિસ્થિતિ ઊભી જ ન થઈ હોત.
જસ્ટિસે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો માત્ર પ્રાણીઓ પ્રત્યેની દયાનો નથી, પરંતુ આ સમગ્ર મામલો સીધો પબ્લિક હેલ્થ (જાહેર આરોગ્ય), સામાન્ય નાગરિકોની સુરક્ષા અને ઇકોલોજીકલ બેલેન્સ (પર્યાવરણીય સંતુલન) સાથે જોડાયેલો છે, જેના પર ધ્યાન આપવું સરકારો માટે અનિવાર્ય છે.
દેશભરમાં કૂતરા કરડવાના આંચકાજનક આંકડા આવ્યા સામે
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા શ્વાન દંશ (Dog Bite) ના ચિંતાજનક આંકડાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, “દેશભરમાં કૂતરા કરડવાની સમસ્યા અત્યારે અત્યંત ગંભીર અને ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગર, સીકર, ઉદયપુર અને ભીલવાડા જેવા જિલ્લાઓમાંથી જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે.” આ સિવાય તમિલનાડુ સહિત દેશના અન્ય કેટલાક રાજ્યોમાંથી પણ આવા જ ભયાનક અહેવાલો સતત આવી રહ્યા છે, જ્યાં રોજ સેંકડો લોકો રખડતા કૂતરાઓનો શિકાર બની રહ્યા છે.
દિલ્હી એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ પણ બન્યા શિકાર, હડકવા સબબ મોતો વધી
દેશની રાજધાની દિલ્હી પણ આ સમસ્યામાંથી બાકાત નથી. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે દિલ્હીના પ્રતિષ્ઠિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ જેવા હાઇ-સિક્યોરિટી અને વ્યવસ્ત વિસ્તારમાં પણ માત્ર જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં કૂતરા કરડવાની ૩૧ જેટલી ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આ ઘટનાઓમાં ભારતીય નાગરિકો ઉપરાંત વિદેશથી આવતા પર્યટકો (Foreign Tourists) ને પણ રખડતા કૂતરાઓએ બચકાં ભર્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી પર પણ નકારાત્મક અસર પડે છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે દેશભરમાં આવારા કૂતરા કરડવાના કારણે ‘રેબીઝ’ (હડકવા) ની બીમારી ફેલાઈ રહી છે અને તેના લીધે અકાળે મોતના મુખમાં ધકેલાઈ જતા માસૂમ બાળકો અને સામાન્ય લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ તમામ ગંભીર પાસાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે શ્વાન પ્રેમીઓની દલીલોને ફગાવીને સામાન્ય જનતાના હિત અને જીવવાના અધિકારને સર્વોપરી ગણાવ્યો છે.

