વિરાટ કોહલીએ તોડ્યું મૌન: ૨૦૨૨માં કેમ અચાનક છોડી દીધી હતી ભારતની ટેસ્ટ કેપ્ટનશીપ?
ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં વિરાટ કોહલીનું નામ એક એવા આક્રમક અને સફળ કેપ્ટન તરીકે નોંધાયેલું છે, જેણે ટીમ ઇન્ડિયાને વિદેશી ધરતી પર લડતા અને જીતતા શીખવાડ્યું. પરંતુ જાન્યુઆરી ૨૦૨૨માં જ્યારે તેણે અચાનક ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું, ત્યારે આખો ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું. આ ઘટનાના ચાર વર્ષ બાદ, હવે વિરાટ કોહલીએ પોતે આ ચોંકાવનારા નિર્ણય પાછળના અસલી કારણો પરથી પડદો ઉઠાવ્યો છે અને પોતાનું મૌન તોડ્યું છે.
૧૫ જાન્યુઆરી ૨૦૨૨: એક યુગનો અણધાર્યો અંત
એ તારીખ કોઈ ક્રિકેટ ચાહક ભૂલી શકે તેમ નથી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય ટીમ ૧-૨ થી ટેસ્ટ શ્રેણી હારી ગઈ અને તેના બરાબર એક દિવસ પછી વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તે ટેસ્ટ કેપ્ટન પદ છોડી રહ્યો છે. આ નિર્ણય એવા સમયે આવ્યો હતો જ્યારે તેના થોડા મહિના પહેલા જ તેણે ટ્વેન્ટી-૨૦ (T20I) ની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને વનડે (ODI) ના કેપ્ટન પદેથી તેને હટાવી દેવામાં આવ્યો હતો. કોહલીના આ નિર્ણય સાથે ભારતીય ટેસ્ટ ક્રિકેટના એક સુવર્ણ સાત વર્ષના કાર્યકાળનો અંત આવ્યો, જે દરમિયાન તેણે ૬૮ મેચોમાં ભારતનું નેતૃત્વ કરીને રેકોર્ડબ્રેક ૪૦ મેચોમાં જીત અપાવી હતી.
આજે, રાજીનામું આપ્યાના ચાર વર્ષ કરતાં પણ વધુ સમય પછી, કોહલીએ સ્વીકાર્યું છે કે નેતૃત્વની અતિશય માંગણીઓ અને જવાબદારીઓ તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર કરી રહી હતી.
“ટાંકીમાં કંઈ બચ્યું ન હતું, હું સંપૂર્ણપણે થાકી ગયો હતો”
તાજેતરમાં આરસીબી (RCB) ઇનોવેશન લેબ દરમિયાન વાતચીત કરતી વખતે વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડતી વખતની પોતાની માનસિક સ્થિતિ વિશે ખુલીને વાત કરી. કોહલીએ અત્યંત ભાવુક થતાં જણાવ્યું:
“હું એક એવી જગ્યાએ પહોંચી ગયો હતો જ્યાં હું અમારી બેટિંગ યુનિટનો મુખ્ય સ્તંભ અને ટીમ મેનેજમેન્ટ તથા નેતૃત્વનો મુખ્ય કેન્દ્ર બની ગયો હતો. સાચું કહું તો, મને શરૂઆતમાં બિલકુલ અહેસાસ નહોતો કે આ બંને બાબતો મારા રોજિંદા જીવન અને માનસિકતા પર કેટલો મોટો ભાર મૂકી રહી છે. હું માત્ર એ વાત માટે પ્રેરિત હતો કે ભારતીય ક્રિકેટ હંમેશા ટોચ પર રહે, અને આ ધૂનમાં મેં મારા પોતાના થાક પર ક્યારેય ધ્યાન જ ન આપ્યું. પરંતુ જ્યારે મેં કેપ્ટનશીપ છોડી, ત્યારે હું અંદરથી સંપૂર્ણપણે ખાલી થઈ ચૂક્યો હતો. મારી અંદરની ટાંકીમાં કંઈ જ બચ્યું ન હતું. હું માનસિક રીતે એટલો ભરાઈ ગયો હતો કે તે સ્થિતિ ખરેખર ભયાનક હતી.”
એડિલેડથી શરૂ થયેલી વિરાટ સફર
વિરાટ કોહલીની ટેસ્ટ કેપ્ટન તરીકેની સફર વર્ષ ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન શરૂ થઈ હતી, જ્યારે તત્કાલીન કેપ્ટન એમએસ ધોની અંગૂઠાની ઇજાના કારણે એડિલેડ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. કેપ્ટન તરીકેની પોતાની પહેલી જ મેચમાં કોહલીએ બંને ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દીધું હતું. જોકે, નીચલા ક્રમના બેટ્સમેનોના ધબકારાને કારણે ભારત તે મેચ જીતી શક્યું નહોતું, પરંતુ કોહલીએ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
ત્યારબાદ ૨૦૧૫ના ઓગસ્ટમાં, માત્ર ૨૬ વર્ષની ઉંમરે સત્તાવાર કેપ્ટન તરીકે પોતાની પ્રથમ શ્રેણીમાં તેણે ભારતને શ્રીલંકાની ધરતી પર ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતાડી,જે ૧૯૯૩ પછી ત્યાં ભારતની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીત હતી.અહીંથી જ વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીની જોડીનો સુવર્ણકાળ શરૂ થયો. આ ભાગીદારી હેઠળ ભારતે સતત પાંચ વર્ષ સુધી આઇસીસી (ICC) ટેસ્ટ મેસ જાળવી રાખી અને ૨૦૧૮-૧૯માં ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની અશક્ય સિદ્ધિ મેળવી.
નેતૃત્વના દબાણમાં ‘પોતાની જાત’ ને ગુમાવી દેવાનો ડર
આ અદભુત સફળતાઓ વચ્ચે કોહલીને ધીમે ધીમે અહેસાસ થવા લાગ્યો કે કેપ્ટનશીપની સતત ચાલતી પ્રક્રિયામાં તે ક્યાંક પોતાની જાતને ગુમાવી રહ્યો છે. ચોવીસ કલાક ટીમના પ્રદર્શન, રણનીતિ અને ખેલાડીઓના સંચાલનમાં વ્યસ્ત રહેવાને કારણે તેની પાસે પોતાના માટે બિલકુલ સમય બચતો નહોતો.
કોહલીએ નેતૃત્વની ફિલોસોફી સમજાવતા કહ્યું કે, “તમને કેપ્ટન બનાવવામાં આવે છે કારણ કે લોકો માને છે કે તમે સામાન્ય કરતાં વધુ જવાબદારી ઉઠાવી શકો છો. ઘણી રીતે, કેપ્ટનશીપ એ ક્રિકેટ કોચિંગ કરતાં પણ વધુ હ્યુમન મેનેજમેન્ટ (માણસોને સંભાળવાની કળા) છે. તમારે તમારી સાથે રમતા ખેલાડીઓની મનોસ્થિતિ સમજવી પડે છે અને તેમની પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કઈ રીતે કઢાવવું તે શોધવાનું હોય છે. આ બધું કરવા માટે, તમારે સતત એક એવી જગ્યાએ રહેવું પડે છે જ્યાં તમે તમારા પોતાના વિશે બિલકુલ વિચારી શકતા નથી.”
“નવ વર્ષ સુધી કોઈએ મને ન પૂછ્યું ?”
પોતાની ઇન્ટરવ્યૂના અંતમાં વિરાટે એક એવી વાત કહી જે સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવનની એકલતા અને માનસિક દબાણને સ્પષ્ટપણે રજૂ કરે છે. કોહલીએ ભાવુક સ્વરે ઉમેર્યું, “જ્યારે તમે કેપ્ટન હોવ છો, ત્યારે તમારા મનમાં એ વિચાર પણ નથી આવતો કે કોઈ તમને આવીને પૂછશે કે’શું તમે ઠીક છો?’ પરંતુ જ્યારે મારો કેપ્ટનશીપનો કાર્યકાળ પૂરો થયો અને મેં શાંતિથી પાછળ ફરીને જોયું, ત્યારે મને સમજાયું કે આટલા અસાધારણ દબાણ વચ્ચે લગભગ નવ વર્ષ સુધી કોઈએ મને ખરેખર આ સાદો પ્રશ્ન પૂછ્યો ન હતો કે’વિરાટ, તું કેમ છે?'”

