સવારે ઉઠતા જ ભારે થાક અને આળસ અનુભવાય છે?
રક્તમાં શર્કરાનું (બ્લડ સુગર) સરેરાશ પ્રમાણ માપવા માટે HbA1c ટેસ્ટ અત્યંત મહત્વનો ગણાય છે. જ્યારે આ ટેસ્ટનું પરિણામ ૭ ટકાથી ઉપર આવે છે, ત્યારે તે શરીરમાં ડાયાબિટીસની અનિયંત્રિત સ્થિતિ અને ભવિષ્યના સ્વાસ્થ્ય જોખમો તરફ ઈશારો કરે છે. આ સ્થિતિમાં માત્ર દવાઓ જ નહીં, પરંતુ જીવનશૈલીમાં સચોટ બદલાવ લાવવા માટે તબીબી માર્ગદર્શન અનિવાર્ય બની જાય છે.
તબીબી વિજ્ઞાન અનુસાર, HbA1c ટેસ્ટ એ વ્યક્તિના છેલ્લા ૩ મહિનાના સરેરાશ બ્લડ સુગર લેવલને દર્શાવે છે. મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટ ડૉ. પ્રણવ ઘોડીના જણાવ્યા અનુસાર, મોટાભાગના પુખ્ત વયના લોકો માટે HbA1c નું આદર્શ લક્ષ્ય ૭ ટકાથી નીચે હોવું જોઈએ. જો આ આંકડો ૭ ટકાની સપાટી વટાવી જાય છે, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સામાન્ય કરતાં સતત વધારે રહ્યું છે. જો કે, ઉંમર અને અન્ય શારીરિક જટિલતાઓને આધારે આ લક્ષ્યાંકમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે વ્યક્તિગત સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બને છે.
વધેલા HbA1c લેવલથી શરીરમાં કેમ વર્તાય છે અતિશય થાક?
ઘણા ડાયાબિટીસના દર્દીઓ સતત નબળાઈ અને થાકની ફરિયાદ કરતા હોય છે. ડૉ. પ્રણવ ઘોડી આ પાછળના મુખ્ય કારણો સ્પષ્ટ કરતાં જણાવે છે કે, જ્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઊંચું હોય છે, ત્યારે શરીરના કોષો તે શર્કરાનો ઉર્જા અથવા બળતણ તરીકે અસરકારક ઉપયોગ કરી શકતા નથી. આ ઉપરાંત, બ્લડ સુગરમાં અચાનક થતી વધઘટ ઊર્જાના સ્તરને સીધી અસર કરે છે, જેના લીધે સવારે ઉઠતી વખતે જ લોકોને ભારે થાક લાગે છે.
વધુમાં, લોહીમાં સુગર વધવાને કારણે રાત્રિના સમયે વારંવાર પેશાબ કરવા જવું પડે છે, જેનાથી દર્દીની ઊંઘમાં ખલેલ પહોંચે છે. પૂરતી ઊંઘ ન મળવાના કારણે આ થાક ક્રોનિક (લાંબા ગાળાનો) બની જાય છે.
અન્ય કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ જવાબદાર હોઈ શકે?
ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતો આ થાક માત્ર સુગર લેવલ આધારિત જ હોય તેવું જરૂરી નથી. ડાયાબિટીસની સાથે શરીરમાં થાઇરોઇડ ડિસઓર્ડર, વિટામિન B12 કે વિટામિન D ની ઉણપ અને સ્લીપ એપનિયા (ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થવી) જેવી અન્ય બીમારીઓ પણ થાક વધારવા માટે સક્રિય ભાગ ભજવે છે. કેટલીકવાર અયોગ્ય આહાર, શારીરિક શ્રમનો અભાવ અથવા ચાલુ દવાઓની આડઅસર પણ નબળાઈનું કારણ બની શકે છે.
ડાયાબિટીસ નિયંત્રણ અને ઉર્જા વધારવા માટેના જરૂરી પગલાં
જો રિપોર્ટમાં HbA1c નું સ્તર ૭ ટકાથી વધુ જોવા મળે, તો નિષ્ણાતો નીચે મુજબની આદતો અપનાવવાની સલાહ આપે છે:
-
નિયમિત સુગર ચેકઅપ: જો સવારે ભૂખ્યા પેટે (ફાસ્ટિંગ) બ્લડ સુગર લેવલ ૧૩૦ mg/dL થી વધુ આવતું હોય, તો તબીબી સલાહ અનુસાર દવાઓના ડોઝમાં ફેરફાર કરવો જરૂરી બને છે.
-
રાત્રિભોજનમાં સાવધાની: મોડી રાત્રે ભારે ખોરાક લેવાથી રાત્રિ દરમિયાન ગ્લુકોઝમાં અચાનક ઉછાળો આવે છે. આથી, રાત્રે વહેલું અને હળવું ભોજન લેવું જેમાં જટિલ કાર્બોહાઇડ્રેટ્સ, લીન પ્રોટીન અને ફાઇબર સામેલ હોય.
-
પૂરતી ઊંઘ અને કસરત: રોજ ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. તેની સાથે દરરોજ ૨૦ થી ૩૦ મિનિટ નિયમિત કસરત અથવા યોગ કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા સુધરે છે અને કુદરતી ઉર્જા વધે છે.
-
અન્ય બ્લડ ટેસ્ટ: સમયસર થાઇરોઇડ અને આવશ્યક વિટામિન્સની તપાસ કરાવતા રહેવું જોઈએ.
ડાયાબિટીસના દર્દીઓએ શરીરમાં વરતાતા સતત થાકને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ. યોગ્ય બ્લડ સુગર મેનેજમેન્ટ, આહારમાં શિસ્ત અને ડૉક્ટરના સચોટ માર્ગદર્શન હેઠળ સારવાર મેળવવાથી વ્યક્તિ પોતાનું હેલ્ધી એનર્જી લેવલ સરળતાથી પાછું મેળવી શકે છે.

