ઈરાન સાથેના ‘પીસ ડીલ’થી યુએસ અને ઈઝરાયેલ વચ્ચે તણાવ: શું ટ્રમ્પના કરારમાં ઈઝરાયેલના હિતોની અવગણના થઈ છે?
મધ્ય-પૂર્વમાં હાલમાં એક નવો રાજદ્વારી ભૂકંપ આવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા એક ઐતિહાસિક શાંતિ કરારે માત્ર પ્રાદેશિક સંતુલન જ નહીં, પરંતુ અમેરિકા અને તેના સૌથી વિશ્વાસુ સાથી દેશ ઈઝરાયેલ વચ્ચેના સંબંધોમાં પણ તિરાડ પાડી દીધી છે. આ કરાર બાદ ઈઝરાયેલ અત્યંત નારાજ છે અને આ નારાજગીનો અવાજ ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રૂવેન અજાર દ્વારા સ્પષ્ટપણે સંભળાયો છે.
રાજદૂત અજારની તીખી પ્રતિક્રિયા
એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજદૂત અજારે આ કરાર સામે આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, આ ડીલમાં ઈઝરાયેલના સુરક્ષા હિતો સાથે સીધું સમાધાન કરવામાં આવ્યું છે. તેમના મતે, જો ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ અને તેની પ્રાદેશિક કટ્ટરપંથી સંગઠનોને મળતી મદદ પર રોક નહીં લાગે, તો આ ડીલ આવનારા સમયમાં વધુ એક વિનાશક યુદ્ધનું મૂળ બનશે. ઈઝરાયેલ માટે ઈરાનનો મિસાઈલ પ્રોગ્રામ અને હમાસ-હિઝબુલ્લાહ જેવા સંગઠનોને મળતું ભંડોળ અસ્તિત્વ ટકાવી રાખવાનો મુદ્દો છે.
ટ્રમ્પ ક્યાં ભૂલ કરી રહ્યા છે?
યુદ્ધના પ્રારંભિક તબક્કામાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ બંનેએ એકમતે ઈરાનના મિસાઈલ કાર્યક્રમને રોકવાનું પોતાનું મુખ્ય લક્ષ્ય ગણાવ્યું હતું. પરંતુ આ નવી 14-સૂત્રીય શાંતિ ડીલમાં આ મુદ્દાને સંપૂર્ણપણે બાજુ પર મૂકી દેવામાં આવ્યો છે. ટ્રમ્પના આ વલણથી ઈઝરાયેલ આઘાતમાં છે કે કેવી રીતે ઈરાન પર મિસાઈલ પ્રોગ્રામ બંધ કરવા માટે દબાણ નહીં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાજદૂત અઝારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ઈરાનની મિસાઈલો અને પ્રોક્સીઓ પર ટ્રમ્પ આટલા ચૂપ કેમ છે?
લેબનૉન અને ઈઝરાયેલની સુરક્ષાનો મુદ્દો
આ શાંતિ કરારમાં લેબનૉનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મુજબ ઈઝરાયેલ ત્યાં કોઈ પણ પ્રકારનું સૈન્ય ઓપરેશન કરી શકશે નહીં. આ જોગવાઈ પર રાજદૂત અજારે સ્પષ્ટ કર્યું છે કે, ઈઝરાયેલ દક્ષિણ લેબનૉનમાંથી પોતાની સેના પાછી નહીં ખેંચે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, “અમે અમારા આત્મરક્ષાના અધિકારને ક્યારેય નહીં છોડીએ. જો હિઝબુલ્લાહ આપણા પર હુમલો કરશે, તો ઈઝરાયેલ પોતાનો બચાવ જરૂર કરશે.” આ નિવેદન સીધું જ પ્રમુખ ટ્રમ્પને જવાબ છે, જેમણે તાજેતરમાં લેબનૉનમાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી.
ઈરાનને લશ્કરી રીતે હરાવવાનો દાવો
યુએસ વહીવટીતંત્ર સાથેના મતભેદો હોવા છતાં, રાજદૂત અજારે ઈઝરાયેલી સેનાની સફળતાઓને ગણાવીને પોતાનો પક્ષ મજબૂત કર્યો. તેમણે દાવો કર્યો કે ઈઝરાયેલે ઈરાનને લશ્કરી રીતે સંપૂર્ણ પરાજય આપ્યો છે. યુદ્ધમાં ઈરાનને 1 ટ્રિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું છે અને ઈઝરાયેલી સેનાએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખોમેની તથા તેમના ટોચના કમાન્ડરોનો ખાતમો બોલાવીને દેશના અસ્તિત્વ સામેના મોટા ખતરાને દૂર કર્યો છે.
શું ટ્રમ્પ-નેતન્યાહુના સંબંધોમાં ખટાશ આવી છે?
ઘણી એવી અટકળો ચાલી રહી છે કે ટ્રમ્પે નેતન્યાહુને મધ્ય-પૂર્વમાં એકલા પાડી દીધા છે. જોકે, રાજદૂત અઝારે આ વાતોને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે યાદ અપાવ્યું કે ટ્રમ્પે ભૂતકાળમાં યરૂશલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપીને અને ગોલાન હાઈટ્સ પર ઈઝરાયેલની સાર્વભૌમત્વને સ્વીકારીને જે ઐતિહાસિક નિર્ણયો લીધા છે, તે સાબિત કરે છે કે અમેરિકા ઈઝરાયેલના અસ્તિત્વ માટે કટિબદ્ધ છે.

