જન્મદિવસની ઉજવણી બની કાળમુખી: ૨૫૧ની ઝડપે દોડતી કાર બની કબર, જાણો શું છે મામલો?
મુંબઈ-વડોદરા હાઈવે પર બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. રવિવારે વહેલી સવારે એક લક્ઝરી કાર, જે કથિત રીતે ૨૫૧ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી, તે ડિવાઈડર સાથે અથડાતા બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં યોગેશ નેગી અને રેબેકા જેકબ નામના બે મિત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે કાર ચલાવી રહેલો અંગદ ગિલ ચમત્કારિક રીતે બચી ગયો હતો.
જન્મદિવસની ઉજવણી બની કાળમુખી
યોગેશ નેગીનો ૨૬મો જન્મદિવસ હતો. આ ખુશીના પ્રસંગને માણવા માટે યોગેશ, રેબેકા અને અંગદ ગિલ એકસાથે બહાર નીકળ્યા હતા. રાત્રિનો સમય હતો અને રસ્તો ખાલી હોવાથી, તેઓએ BMW Z-સીરીઝની કન્વર્ટિબલ કારની ગતિ મર્યાદાની તમામ હદો વટાવી દીધી હતી. બદલાપુર પાસે નિર્માણાધીન હાઈવે પર જ્યારે આ કાર ડિવાઈડર સાથે અથડાઈ, ત્યારે ટક્કર એટલી જોરદાર હતી કે કારના કુરચા ઉડી ગયા હતા. અકસ્માત કેટલો ગંભીર હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે કારમાં સવાર ત્રણેય યુવાનો કારમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માત બાદ કાર એક લોખંડના ભંગારના ઢગલા જેવી થઈ ગઈ હતી.
પોલીસની કાર્યવાહી અને તપાસ
ઘટના બાદ બદલાપુર પોલીસે કાર ચલાવી રહેલા અંગદ ગિલ વિરુદ્ધ FIR નોંધી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન ગોરેના જણાવ્યા અનુસાર, ગિલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ અને ૨૮૧ તથા મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કરી રહી છે જેથી કારની સચોટ ગતિ અને અકસ્માતનું કારણ જાણી શકાય. સાથે જ, પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું ત્રણેય યુવાનોએ દારૂનું સેવન કર્યું હતું કે કેમ. ફોરેન્સિક અને આરટીઓ ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કર્યા છે.
નિર્માણાધીન હાઈવેની સુરક્ષા સામે સવાલો
આ અકસ્માતે હાઈવેના નિર્માણકાર્ય અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હકીકતમાં, મુંબઈ-વડોદરા હાઈવેનો આ ભાગ હજુ પણ કામ હેઠળ છે અને સામાન્ય વાહનવ્યવહાર માટે ખુલ્લો નથી. એનએચએઆઈ (NHAI) ના પ્રોજેક્ટ ડિરેક્ટર સુહાસ ચિટનિસે સ્પષ્ટ કર્યું છે કે આ રસ્તો માત્ર નિર્માણ કાર્યમાં જોડાયેલા કર્મચારીઓ માટે હતો. જોકે, સ્થાનિક લોકોએ શોર્ટકટ માટે અથવા તો સ્ટંટ કરવા માટે આ રસ્તાનો અનધિકૃત રીતે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.
સ્થાનિક ટ્રાફિક ડીસીપી પંકજ શિરસાથે જણાવ્યું હતું કે, તેમણે તપાસ દરમિયાન આ સમગ્ર સ્ટ્રેચ પર ઓછામાં ઓછા ૧૫ ગેરકાયદેસર એન્ટ્રી પોઈન્ટ્સ શોધી કાઢ્યા છે. આ રસ્તા પર પૂરતી લાઈટો કે સાઈનેજની વ્યવસ્થા નથી, તેમ છતાં લોકો જીવના જોખમે તેનો ઉપયોગ કરી રહ્યા છે. કંપની દ્વારા મૂકવામાં આવેલા બેરિકેડ્સ કે પાણીના ડ્રમ પણ સ્થાનિકો દ્વારા હટાવી દેવામાં આવે છે, જે અત્યંત જોખમી છે.
