સિંધુ જળ સંધિ પર નવો વળાંક: ભારતના કડક વલણથી પાકિસ્તાન ધૂઆંપૂઆં, ઇસ્લામાબાદમાં આંતરરાષ્ટ્રીય પરિષદ બોલાવી
ભારત સરકાર દ્વારા સિંધુ જળ સંધિ (Indut Waters Treaty) ની સમીક્ષા કરવા અને કડક વલણ અપનાવવાના સ્પષ્ટ સંકેતો બાદ પાકિસ્તાન સરકારી અને રાજદ્વારી સ્તરે ભારે દબાણ હેઠળ દેખાઈ રહ્યું છે. નવી દિલ્હીના મક્કમ વલણને કારણે અત્યાર સુધી કરાર પુનઃસ્થાપિત કરવા માટે વિનંતીઓ કરતું ઇસ્લામાબાદ હવે મૂંઝવણ અને આક્રોશના બેવડા મોડમાં આવી ગયું છે. વૈશ્વિક મંચો પર ભારત વિરુદ્ધ માહોલ બનાવવા અને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાના હેતુથી તાજેતરમાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સિંધુ જળ સંધિ પર એક વિશેષ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં પાકિસ્તાનના વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો, આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાતો અને જળ સંસાધન પ્રબંધકોએ ભાગ લીધો હતો, જ્યાં પાકિસ્તાની નેતાઓએ ભારતને ધમકી અને ચેતવણી આપવાના અંદાજમાં નિવેદનો આપ્યા છે.
‘આ કોઈ ઉપકાર નથી, આંતરરાષ્ટ્રીય કરાર છે’ – બિલાવલ ભુટ્ટો
પરિષદ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના વડા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક વલણ અપનાવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે, “સિંધુ જળ સંધિ એ ભારતે પાકિસ્તાન પર કરેલો કોઈ ઉપકાર કે મહેરબાની નથી. આ બે સાર્વભૌમ દેશો વચ્ચે વૈશ્વિક મધ્યસ્થતા દ્વારા થયેલો એક કાનૂની અને આંતરરાષ્ટ્રીય કરાર છે.” બિલાવલે ઉમેર્યું કે દક્ષિણ એશિયાના સ્થિર ભવિષ્ય માટે ભારતે આ સંધિની મર્યાદાઓ અને શરતોનું સન્માન કરવું જ પડશે અને એકપક્ષીય રીતે તેમાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી.
It was a privilege to address the seminar, “Indus Waters Treaty: An Instrument of Regional Peace and Stability,” where leading experts from Pakistan and abroad discussed one of the defining challenges of our time in South Asia.
I underscored that the Indus Waters Treaty is not…
— Ishaq Dar (@MIshaqDar50) June 30, 2026
શક્તિશાળી દેશોના એકપક્ષીય નિર્ણયો પર સવાલ
બીજી તરફ પાકિસ્તાનના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી મુસાદ્દીક મલિકે પણ સંધિના બચાવમાં વૈશ્વિક કાયદાનો રાગ આલાપ્યો હતો. તેમણે કહ્યું કે જો દુનિયાનો કોઈ એક શક્તિશાળી દેશ પોતાની મરજી મુજબ આંતરરાષ્ટ્રીય સંધિઓને સ્થગિત કે રદ કરવા લાગશે, તો ભવિષ્યમાં વિશ્વના કોઈપણ વૈશ્વિક કરારની વિશ્વસનીયતા બચશે નહીં. મલિકે સિંધુ જળ સંધિને વિશ્વના સૌથી મજબૂત અને સફળ કરારોમાંનો એક ગણાવીને પશ્ચિમી દેશોને આ મામલે હસ્તક્ષેપ કરવા પરોક્ષ રીતે અપીલ કરી હતી. પાકિસ્તાન આ મુદ્દાને પર્યાવરણ અને માનવ અધિકાર સાથે જોડીને વૈશ્વિક સમુદાયની સહાનુભૂતિ જીતવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે.

નાયબ વડાપ્રધાન ઇશાક ડારની ભારતને ધમકી
પરિષદમાં સૌથી તીખું વલણ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વર્તમાન વિદેશ મંત્રી ઇશાક ડારે અપનાવ્યું હતું. ભારતને સીધી ચેતવણી આપતા તેમણે જણાવ્યું કે, “સિંધુ જળ સંધિ માત્ર પાણીની વહેંચણી પૂરતો સીમિત દસ્તાવેજ નથી, પરંતુ તે સમગ્ર દક્ષિણ એશિયા ક્ષેત્રની શાંતિ, પ્રાદેશિક સ્થિરતા અને પરસ્પર સહયોગનો મજબૂત પાયો છે.” ડારે ભારત પર આક્ષેપ કરતા કહ્યું કે વહેંચાયેલા જળ સંસાધનોનો ઉપયોગ ક્યારેય પણ શસ્ત્ર (Weaponization of water) તરીકે ન કરવો જોઈએ. જો નવી દિલ્હી દ્વારા પાકિસ્તાનના કાનૂની અધિકારો સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે, તો તેની ભયાનક અસરો આખા પ્રદેશની શાંતિ પર પડશે અને દક્ષિણ એશિયાના લગભગ બે અબજ લોકોના હિતો જોખમાશે.
કાશ્મીર અને આતંકવાદ સામે ભારતની જળ નીતિ
વાસ્તવમાં, ભારત સરકારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના સતત નકારાત્મક વલણને ધ્યાનમાં રાખીને સિંધુ જળ સંધિની શરતોની કડક સમીક્ષા શરૂ કરી છે. ભારતનું માનવું છે કે બદલાયેલા ભૌગોલિક અને પર્યાવરણીય સંજોગોમાં ૧૯૬૦ના દાયકાના આ કરારમાં મોટા સુધારા જરૂરી છે. ભારતના આ આક્રમક વલણથી પાકિસ્તાન ચિંતિત છે કારણ કે તેની કૃષિ અને અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે સિંધુ નદી તંત્રના પાણી પર નિર્ભર છે. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના મતે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર ભલે ગમે તેટલી ધમકીઓ આપે, પરંતુ કાનૂની અને વ્યૂહાત્મક મોરચે ભારતનું પલ્લું હાલમાં ઘણું ભારે દેખાઈ રહ્યું છે.