આવકવેરાના નવા નિયમો લાગુ, નાની ભૂલો પર કડક દંડ અને જેલની સજામાંથી મળશે મુક્તિ
આવકવેરા પ્રણાલીને વધુ પારદર્શક, સરળ અને કરદાતા-સાનુકૂળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાના નિયમોમાં યુગપ્રવર્તક ફેરફારો કરવામાં આવ્યા છે. ૧ એપ્રિલ ૨૦૨૬થી લાગુ થયેલા નવા આવકવેરા કાયદા અને નિયમો હેઠળ નાના કરદાતાઓ, પગારદાર વર્ગ અને વિદેશી મિલકતો કે શેરો ધરાવતા લોકોને નાની ભૂલો માટે ભારે દંડ અને અદાલતી કાર્યવાહીમાંથી મોટી રાહત આપવામાં આવી છે.
આવકવેરા કાયદો, ૨૦૨૫ અને આવકવેરા નિયમો, ૨૦૨૬ હેઠળ ટેક્સ પ્રણાલીમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા સુધારાઓનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય કરદાતા કે જેમણે અજાણતા અથવા ટેકનિકલ કારણોસર આઈટીઆરમાં ભૂલ કરી હોય, તેમને ઈરાદાપૂર્વક કરચોરી કરનારા ગુનેગારોની જેમ દંડિત ન કરવામાં આવે. તાજેતરમાં એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન (ESOP) અને નાની વિદેશી સંપત્તિઓના ડિસ્કલોઝરમાં થયેલી વિસંગતતાઓને પગલે ફટકારવામાં આવેલા ભારે દંડના કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નિયમોને વધુ માનવીય અને વ્યવહારુ બનાવ્યા છે.
નવા સુધારા હેઠળ અમલમાં આવેલા ૭ મુખ્ય નિયમો નીચે મુજબ છે:

૧. આવકની ખોટી રજૂઆત પર દંડમાં રાહત
જો કોઈ કરદાતાથી આવક દર્શાવવામાં અજાણતા ભૂલ થઈ હોય, તો ચોક્કસ શરતો પૂરી કરીને તેઓ કાનૂની મુકદ્દમામાંથી બચી શકે છે. જો કરદાતા બાકી ટેક્સ, વ્યાજ અને વધારાનો ટેક્સ ભરી દે છે, તો તેમણે લાંબી અપીલ પ્રક્રિયામાં ઉતરવું નહીં પડે. સામાન્ય અંડર-રિપોર્ટિંગ માટે વધારાનો ટેક્સ ૧૦૦ ટકા સુધી અને અઘોષિત આવક માટે મહત્તમ ૧૨૦ ટકા સુધી મર્યાદિત રાખવામાં આવ્યો છે.
૨. વિદેશી સંપત્તિઓ પર કાળા નાણાં કાયદામાંથી મુક્તિ
ઈએસઓપી (ESOP) શેર કે નાના વિદેશી બેંક ખાતા ધરાવતા કર્મચારીઓને ભૂતકાળમાં કાળા નાણા કાયદા હેઠળ ભારે દંડનો સામનો કરવો પડ્યો હતો. હવે ૧ ઓક્ટોબર ૨૦૨૪થી લાગુ થયેલી જોગવાઈ મુજબ, જો કોઈ વ્યક્તિની વિદેશી સ્થાવર મિલકત સિવાયની સંપત્તિનું કુલ મૂલ્ય ૨૦ લાખ રૂપિયાથી વધુ ન હોય, તો કાળા નાણાં કાયદાની કલમ ૪૯ અને ૫૦ હેઠળ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં.
૩. ક્રિપ્ટો વ્યવહારો પર કડક નજર અને નિયમન
એક તરફ જ્યાં સામાન્ય કરદાતાઓને રાહત મળી છે, ત્યાં ક્રિપ્ટો અને ડિજિટલ એસેટ્સના વ્યવહારો પર દેખરેખ કડક બનાવવામાં આવી છે. ક્રિપ્ટો એસેટ સંબંધિત સ્ટેટમેન્ટ સમયસર રજૂ ન કરવા બદલ દૈનિક ૨૦૦ રૂપિયાનો વિલંબ દંડ લાગશે. જ્યારે ખોટી માહિતી આપવા કે ભૂલ ન સુધારવા બદલ ૫૦,૦૦૦ રૂપિયાનો નિશ્ચિત દંડ આકારવામાં આવશે.

૪. ક્રિમિનલ પ્રોસિજર અને સજાનું સરળીકરણ
આવકવેરાના નાના અપરાધો માટે સખત કેદની જગ્યાએ સાદી કેદની જોગવાઈ કરવામાં આવી છે. ૧૦ લાખ અને ૫૦ લાખ રૂપિયાની કર રકમને થ્રેશોલ્ડ લિમિટ તરીકે નક્કી કરીને ગુનાની ગંભીરતા મુજબ સજા નક્કી થશે. ઘણા કિસ્સાઓમાં જેલની સજા નાબૂદ કરીને માત્ર આર્થિક દંડની જોગવાઈ રાખવામાં આવી છે.
૫. દંડને બદલે નિશ્ચિત ફી (Fixed Fees) ની પદ્ધતિ
ઓડિટ રિપોર્ટ જમા કરાવવામાં વિલંબ, ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ અથવા નાણાકીય વ્યવહારોના નિવેદનો (SFTs) માં ભૂલ જેવા કેસોમાં હવે અણધારી રકમનો દંડ ફટકારવાને બદલે ફિક્સ્ડ ફી લાગુ કરવામાં આવી રહી છે. જોકે, ટેક્સ સરવે કે તપાસ દરમિયાન સત્તાવાળાઓને સહકાર ન આપવા બદલ દંડ ૧,૦૦૦ થી વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે.
૬. આકારણી ઓર્ડર સાથે જ દંડનું નિર્ધારણ
૧ એપ્રિલ ૨૦૨૬થી દંડની પ્રક્રિયાને અલગ રાખવાને બદલે આકારણી (Assessment) પ્રક્રિયામાં જ આવરી લેવાશે. કર અધિકારીઓએ આકારણી દરમિયાન જ શો-કોઝ નોટિસ આપવી પડશે. ૧ એપ્રિલ ૨૦૨૭ પછીના તમામ પુનઃમૂલ્યાંકન કેસમાં દંડનો આદેશ મુખ્ય આકારણી હુકમ સાથે જ જારી કરી દેવાશે.
૭. અપીલ સમયગાળા દરમિયાન દંડ પર વ્યાજ નહીં
કરદાતાઓ માટે મોટી રાહત એ છે કે જો તેઓ કોઈ દંડ સામે આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT) અથવા સક્ષમ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરે છે, તો અપીલ પેન્ડિંગ હોય તેટલા સમયગાળા દરમિયાન દંડની રકમ પર કોઈ વ્યાજ ચઢશે નહીં.
આ તમામ સુધારાઓથી દેશના સામાન્ય કરદાતાઓનો કાનૂની ગૂંચવણો અને માનસિક તણાવ ઓછો થશે તેમજ વિવાદોનો ઝડપી નિકાલ શક્ય બનશે.