ધૂમ્રપાન ન કરનારાઓમાં કેમ વધી રહ્યા છે લંગ કેન્સરના કેસ? ભારતમાં ઝડપથી બદલાઈ રહ્યા છે આ ગંભીર બીમારીના લક્ષણો
વિશ્વભરમાં કેન્સરથી થતાં મૃત્યુઓમાં લંગ કેન્સર (ફેફસાંનું કેન્સર) સૌથી આગળ છે. ભારતીય ઉપખંડમાં પણ પુરુષો અને મહિલાઓ બંનેમાં જોવા મળતા ટોચના ૫ કેન્સરમાં તે સામેલ છે. એક જમાનો હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે ફેફસાંનું કેન્સર માત્ર વૃદ્ધ પુરુષો અથવા તો વર્ષોથી ભારે ધૂમ્રપાન (Smoking) કરતા લોકોને જ થાય છે. પરંતુ છેલ્લા એક દાયકામાં દર્દીઓની પ્રોફાઇલ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
આજે ફેફસાંના કેન્સરના નિદાન થતાં દર્દીઓમાં એક મોટો વર્ગ એવો છે જેમણે જિંદગીમાં ક્યારેય સિગારેટ કે બીડીને હાથ પણ નથી લગાડ્યો! આમાં ખાસ કરીને મહિલાઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. સિગારેટ ભલે હજી પણ કેન્સરનું મુખ્ય કારણ હોય, પણ ધૂમ્રપાન ન કરનારાઓમાં કેન્સર ફેલાવવા માટે ઘરગથ્થુ વાયુ પ્રદૂષણ (ગામડાઓમાં ચૂલાનો ધુમાડો અને બાયોમાસ ફ્યુઅલ), શહેરોનું ખતરનાક વાયુ પ્રદૂષણ (PM2.5), ઔદ્યોગિક ઝેરી રસાયણો (સિલિકા, એસ્બેસ્ટોસ અને હવામાં ભળતી ભારે ધાતુઓની રજકણો) તેમજ જેનિટિક (આનુવંશિક) પરિબળો મુખ્યત્વે જવાબદાર છે.

આ સિવાય બીજી એક ભયાનક બાબત એ છે કે હવે ૩૦ થી ૪૦ વર્ષની નાની વયના યુવાનો પણ આ ગંભીર બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. અગાઉ ભારતમાં ‘સ્કવોમસ સેલ કાર્સિનોમા’ પ્રકારનું કેન્સર વધુ જોવા મળતું હતું, પણ હવે નોન-સ્મોકિંગ દર્દીઓ વધવાના કારણે ‘એડીનોકાર્સિનોમા’ (Adenocarcinoma) સબટાઇપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે.
નિદાનમાં વિલંબ: ‘ટીબી’ (Tuberculosis) સમજવાની મોટી ભૂલ
ફેફસાંના કેન્સરમાં સામાન્ય રીતે સતત રહેતી ઉધરસ, થૂંકમાં લોહી આવવું, અચાનક વજન ઘટવું, છાતીમાં દુખાવો કે શ્વાસ ચઢવો જેવા લક્ષણો દેખાય છે. તકલીફ એ છે કે આ બધા જ લક્ષણો ક્ષય રોગ એટલે કે ટીબી (TB) ને મળતા આવે છે. ભારત જેવા દેશમાં જ્યાં ટીબીના દર્દીઓ ઘરે-ઘરે જોવા મળે છે, ત્યાં મોટાભાગે કેન્સરના લક્ષણોને ટીબી સમજી લેવામાં આવે છે.
ઘણા કિસ્સાઓમાં દર્દીઓને મહિનાઓ સુધી ટીબીની દવાઓ આપવામાં આવે છે, અને જ્યારે કોઈ સુધારો થતો નથી ત્યારે કેન્સરનું નિદાન થાય છે. આ વિલંબ દર્દી માટે જીવલેણ સાબિત થાય છે. હવે રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ માત્ર લક્ષણોના આધારે નહીં પણ લેબોરેટરી અને માઇક્રોબાયોલોજિકલ ટેસ્ટિંગ દ્વારા જ ટીબીનું નિદાન કરવાનું ફરજિયાત બનાવાયું છે. જો ઉધરસ લાંબા સમય સુધી ન મટે, તો બ્રોન્કોસ્કોપી (Bronchoscopy), EBUS કે બાયોપ્સી જેવા અદ્યતન ટેસ્ટ કરાવવા ખૂબ જરૂરી છે. આ સિવાય લિક્વિડ બાયોપ્સી જેવી નવી ટેકનોલોજી પણ વહેલા નિદાનમાં મદદરૂપ થઈ રહી છે.
ટાર્ગેટેડ થેરાપી અને પ્રિસિઝન કેર: સારવાર ક્ષેત્રે નવી ક્રાંતિ
ભારતમાં ફેફસાંના કેન્સરની સારવારમાં સૌથી મોટો પડકાર એ છે કે ૮૦ ટકાથી વધુ દર્દીઓ ત્રીજા કે ચોથા સ્ટેજમાં ડોક્ટર પાસે પહોંચે છે, જ્યારે ઓપરેશન (સર્જરી) કરીને કેન્સર દૂર કરવાનો સમય વીતી ચૂક્યો હોય છે. આમ છતાં, આધુનિક તબીબી વિજ્ઞાને આ દિશામાં આશાસ્પદ પ્રગતિ કરી છે.
અગાઉ તમામ કેન્સર દર્દીઓને એક સરખી કીમોથેરાપી (Chemotherapy) આપવામાં આવતી હતી. પરંતુ હવે ‘પ્રિસિઝન મેડિસિન’ અને ‘ટાર્ગેટેડ થેરાપી’ નો યુગ આવ્યો છે. હવે દર્દીના કેન્સરના કોષોની જેનિટિક તપાસ (Biomarker Testing) કરવામાં આવે છે. જો દર્દીમાં EGFR, ALK કે ROS1 જેવા ચોક્કસ મ્યુટેશન (જનીની બદલાવ) મળી આવે, તો તેમને કીમોથેરાપીના બદલે ચોક્કસ ગોળીઓ (Tyrosine Kinase Inhibitors) આપવામાં આવે છે.
આ ટાર્ગેટેડ ગોળીઓ માત્ર કેન્સરના ઝેરી કોષો પર જ હુમલો કરે છે અને શરીરના સારા કોષોને નુકસાન પહોંચાડતી નથી. આનાથી દર્દી આડઅસરો (Side Effects) વગર વધુ સારું અને લાંબુ આયુષ્ય જીવી શકે છે.

સાર્વજનિક સ્વાસ્થ્ય માટે પ્રાથમિક જરૂરિયાતો
ફેફસાંના કેન્સરને હવે માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્યની સમસ્યા ગણીને છોડી શકાય તેમ નથી, આ એક રાષ્ટ્રીય આરોગ્ય કટોકટી છે. આ રાક્ષસ સામે લડવા માટે સરકારી અને સામાજિક સ્તરે બહુવિધ પગલાં લેવાની જરૂર છે:
-
હવાની ગુણવત્તામાં સુધારો: ફેક્ટરીઓ અને વાહનોના પ્રદૂષણ પર કડક નિયંત્રણો લાવવા અને સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતો અપનાવવા.
-
બાયોમાર્કર ટેસ્ટિંગ સુલભ બનાવવું: ગામડાં અને નાના શહેરો સુધી કેન્સરના અદ્યતન જેનિટિક ટેસ્ટ સસ્તા અને સહેલાઈથી ઉપલબ્ધ કરાવવા.
-
ડોક્ટરોમાં જાગરૂકતા: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોને તાલીમ આપવી કે જો બિન-ધૂમ્રપાન કરનાર વ્યક્તિ પણ લાંબા સમયની ઉધરસની ફરિયાદ કરે, તો માત્ર ટીબી કે એસ્થમા સમજીને બેસી ન રહેવું પણ કેન્સરની તપાસ કરાવવી.
પશ્ચિમી દેશોમાં ‘લો ડ્રાઇવ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી’ (LDCT) દ્વારા ફેફસાંના કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં જૂના ટીબીના ડાઘા પણ સીટી સ્કેનમાં દેખાતા હોવાથી આ સ્ક્રીનિંગ પદ્ધતિમાં થોડા પડકારો છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ભારતીય દર્દીઓના ડેટા, ફેમિલી હિસ્ટ્રી અને પ્રદૂષણના સંપર્કના આધારે નવું સ્ક્રીનિંગ મોડેલ બનાવવામાં આવી રહ્યું છે.