‘ડિજિટલ એરેસ્ટ’ હવે કાયદાકીય ગુનો બનશે! કેન્દ્ર સરકાર કડક સજાની જોગવાઈ પર કરશે વિચાર
દેશભરમાં નિર્દોષ નાગરિકોને ડરાવી-ધમકાવીને લૂંટતા સાયબર ગુનેગારો અને ‘ડિજિટલ એરેસ્ટ’ ના કૌભાંડો સામે સુપ્રીમ કોર્ટે અત્યંત સખત આદેશો જારી કર્યા છે. સર્વોચ્ચ અદાલતે ભારતીય રિઝર્વ બેંક (RBI) ને “મ્યુલ એકાઉન્ટ્સ” એટલે કે કાળા નાણાંની હેરફેર માટે વપરાતા બનાવટી બેંક ખાતાઓ અને સાયબર છેતરપિંડી રોકવા માટે એક ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવાનો અને તેનો અમલ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનની બનેલી ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે સાયબર નાણાકીય ગુનાઓ પર લગામ લગાવવા અને પીડિતોને તેમના ખોવાયેલા નાણાં ઝડપથી પરત અપાવવા માટે એક સુઓ મોટો (સ્વયં સંજ્ઞાન) અરજી પર સુનાવણી કરતા આ મહત્વના આદેશો આપ્યા હતા.
‘ડિજિટલ એરેસ્ટ’ ને અલગ અને ગંભીર ગુનો ગણવા સુઝાવ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે ભારતીય ફોજદારી કાયદામાં ‘ડિજિટલ એરેસ્ટ’ ને એક અલગ અને ગંભીર ગુના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે અને તેના માટે સખત જેલવાસ તેમજ દંડની જોગવાઈ કરવામાં આવે.
ડિજિટલ એરેસ્ટમાં સાયબર ઠગો સીબીઆઈ (CBI), પોલીસ, ઈડી (ED) કે કસ્ટમ્સ અધિકારીઓનો ખોટો પોશાક કે આઈડી બતાવી વિડીયો કોલ કરે છે. તેઓ સામેવાળી વ્યક્તિને કાયદાકીય કેસમાં ફસાવવાની ધમકી આપી ડિજિટલ રીતે ‘ઘરમાં નજરકેદ’ કરી લે છે અને માનસિક દબાણ બનાવીને લાખો-કરોડો રૂપિયા પડાવી લે છે. આ પ્રવૃત્તિ પર વહેલી તકે કાયદાકીય રોક લગાવવી જરૂરી બની ગઈ છે.

રાજ્યો, અદાલતો અને પોલીસ માટે ખાસ આદેશો
સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કાયદાકીય તપાસ એજન્સીઓને સાયબર ફરિયાદોના ત્વરિત નિકાલ માટે એક વિશેષ મોડ્યુલ લાગુ કરવા કહ્યું છે. આ સાથે જ:
-
આરબીઆઈ દ્વારા બનાવવામાં આવનાર SOP ની નકલો તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને સોંપવામાં આવશે.
-
હાઈકોર્ટ આ માર્ગદર્શિકા નીચલી અદાલતો સુધી પહોંચાડશે જેથી કરીને સામાન્ય પીડિતોને કાયદાકીય રાહત મેળવવામાં મદદ મળે.
-
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ નાગરિકોને સાયબર ઠગાઈથી બચાવવા માટે સતત જાગૃતિ અભિયાન ચલાવવું પડશે.
-
બેંક ખાતાઓ અને ફરિયાદોના નિકાલ અંગે રાજ્યવાર અને બેંકવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જેથી અધિકારીઓની જવાબદારી નક્કી કરી શકાય.

ખાતાઓ ફ્રીઝ કરવા અને પૈસા વસૂલવા અંગે સ્પષ્ટતા
તપાસ દરમિયાન સાયબર સેલ દ્વારા ઘણીવાર સામાન્ય લોકો કે વેપારીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે આવા બેંક ખાતાઓ ફ્રીઝ કે અનફ્રીઝ કરવા સંબંધિત કેસોનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ જેથી નિર્દોષ લોકોને મુશ્કેલી ન પડે.
વધુમાં, કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી ઇન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટી (IDC) ને વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે ચર્ચા કરીને સાયબર ગુનાઓ અટકાવવા અને પીડિતોના ચોરાયેલા નાણાં ઝડપથી રિકવર (વસૂલ) કરવા માટે એક મજબૂત માળખું તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી હવે સાયબર ગુનેગારો પર ગાળિયો મજબૂત બનશે અને સામાન્ય જનતાને મોટી રાહત મળશે.