શું શેરબજાર તૂટે તો LIC ના પૈસા ડૂબી જાય? નાણા રાજ્ય મંત્રીએ સ્પષ્ટ કરી સ્થિતિ
જો તમારી પાસે ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની કોઈ પણ પોલિસી છે, તો તમારા માટે આ સમાચાર અત્યંત મહત્વના છે. દર મહિને કે દર વર્ષે તમે જે પ્રીમિયમની રકમ ભરો છો, તે પૈસા LIC ક્યાં રોકે છે અને શેરબજારમાં કડાકો આવે ત્યારે તમારા નાણાં કેટલા સુરક્ષિત રહે છે? આ અંગે અવારનવાર સામાન્ય લોકોના મનમાં અનેક સવાલો ઊઠતા હોય છે. લોકસભામાં પૂછાયેલા એક મહત્વપૂર્ણ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ દેશની સૌથી મોટી વીમા કંપની LIC ના રોકાણ, ફંડ મેનેજમેન્ટ અને નાણાકીય સુરક્ષાના નિયમો અંગે સંસદ સમક્ષ વિગતવાર માહિતી રજૂ કરી છે.
તમારા પ્રીમિયમના પૈસા ક્યાં રોકવામાં આવે છે?
સંસદમાં આપવામાં આવેલા જવાબ અનુસાર, ગ્રાહકો દ્વારા જમા કરાવવામાં આવતું ભંડોળ LIC દ્વારા અત્યંત જવાબદારીપૂર્વક અલગ-અલગ ક્ષેત્રોમાં રોકવામાં આવે છે. આ ફંડને મુખ્યત્વે સરકારી બોન્ડ્સ, સ્ટેટ ડેવલપમેન્ટ ડિબેન્ચર્સ, કોર્પોરેટ બોન્ડ્સ, દેશના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને શેરબજાર જેવા વિવિધ સુરક્ષિત સાધનોમાં રોકવામાં આવે છે.
LIC નો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શેરબજારમાંથી ટૂંકા ગાળામાં ઊંચું વળતર મેળવવાનો નથી. કંપનીની સૌથી પહેલી અને મુખ્ય પ્રાથમિકતા દેશના કરોડો પોલિસીધારકોના નાણાંની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાની અને તેમને લાંબા ગાળે સ્થિર તથા ગેરંટીડ વળતર આપવાની છે.

ગમે ત્યાં પૈસા રોકવા પર કડક નિયંત્રણો
LIC પોતાની મરજી મુજબ કોઈ એક કંપની કે ક્ષેત્રમાં ગમે તેટલી રકમ રોકી શકતી નથી. સંસદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કંપનીએ કેન્દ્ર સરકાર અને વીમા નિયામક IRDAI (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના નિર્ધારિત નિયમોની મર્યાદામાં રહીને જ તમામ રોકાણો કરવા પડે છે.
IRDAI ના કડક નિયમો મુજબ LIC કોઈપણ એક લિસ્ટેડ કંપનીમાં નક્કી કરેલી મર્યાદાથી વધુ હિસ્સેદારી ખરીદી શકતી નથી. આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં જો કોઈ ચોક્કસ કંપની નાણાકીય સંકટમાં આવે કે ડૂબી જાય, તો તેનાથી LIC ના પોર્ટફોલિયો પર કોઈ મોટું જોખમ ઊભું ન થાય.
શેરબજાર તૂટે તો શું તમારા પૈસા ડૂબી જાય?
ઘણા પોલિસીધારકોને ડર હોય છે કે શેરબજારના કડાકાથી તેમની પોલિસીના પૈસા ધોવાઈ જશે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. LIC ના કુલ ફંડનો બહુ મોટો હિસ્સો સરકારી જામીનગીરીઓ (Sovereign Guarantees) અને ફિક્સ્ડ ઈન્કમ સોર્સમાં રોકાયેલો હોય છે. આ જ કારણ છે કે જ્યારે શેરબજારમાં ભારે મનમૂકીને કડાકો આવે છે, ત્યારે પણ LIC ના સમગ્ર પોર્ટફોલિયો પર તેની બહુ મર્યાદિત અસર થાય છે.
જોખમ ઘટાડવા માટે LIC ‘ડાઈવર્સિફિકેશન’ (રોકાણનું વિવિધતાકરણ) ની વ્યૂહરચના અપનાવે છે. એટલે કે પૈસા કોઈ એક જગ્યાએ મૂકવાને બદલે અલગ-અલગ સેક્ટર્સ, ઈન્ડસ્ટ્રીઝ અને વિવિધ નાણાકીય સાધનોમાં વહેંચીને રોકાણ કરવામાં આવે છે. જો ક્યારેક શેરબજારમાં રોકેલા પૈસામાં અસ્થાયી ઘટાડો થાય, તો તેની ભરપાઈ સરકારી બોન્ડ્સ અને સેફ ડિપોઝિટ્સમાંથી મળતા સુરક્ષિત વ્યાજ દ્વારા સહજતાથી સરભર કરી લેવામાં આવે છે.

૧૦ થી ૩૦ વર્ષનું લાંબા ગાળાનું વિઝન
LIC ટૂંકા ગાળાના નફા-નુકસાનને ધ્યાનમાં રાખીને કામ કરતી નથી, પરંતુ ૧૦ થી ૩૦ વર્ષ જેવા લાંબા ગાળાના વિઝન સાથે રોકાણનું આયોજન કરે છે. આ કારણે બજારની ક્ષણિક મંદી કે ઉતાર-ચઢાવની ગ્રાહકોની પોલિસીની પાકતી મુદત (Maturity) પર મળતા નાણાં પર કોઈ પણ પ્રકારની નકારાત્મક અસર પડતી નથી. IRDAI ની સતત કડક દેખરેખ અને મોટા ભાગનું ભંડોળ સરકારી સિક્યોરિટીઝમાં સુરક્ષિત હોવાને કારણે LIC માં પોલિસીધારકોના હિત સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.