સોનું-ચાંદી ખરીદતી વખતે આ ૫ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર એક જ ખરીદીમાં થશ હજારોનું નુકસાન!
ભારતીય સંસ્કૃતિમાં સોના-ચાંદીના દાગીના ખરીદવા એ માત્ર એક શોખ કે શણગાર નથી, પરંતુ એક ખૂબ જ મહત્વપૂર્ણ નાણાકીય રોકાણ (Investment) ગણાય છે. જોકે, મોટાભાગના ગ્રાહકો જ્યારે પણ જ્વેલરી શોપમાં જાય છે, ત્યારે તેમનું આખું ધ્યાન માત્ર સુંદર અને આકર્ષક ડિઝાઇનો પસંદ કરવા પર જ કેન્દ્રિત હોય છે. પરંતુ માત્ર દેખાવ જોઈને ખરીદી કરવાનો આ નિર્ણય ક્યારેક ખિસ્સા પર ભારે પડી શકે છે. દાગીનો દેખાવમાં ગમે તેટલો સુંદર હોય, પણ જો તેની શુદ્ધતા, વજન અને તેના પર લાગતા છુપા ચાર્જિસ ન તપાસવામાં આવે, તો અજાણતાં જ હજારો રૂપિયાનું નુકસાન થઈ જાય છે. જ્વેલર્સ દ્વારા કરવામાં આવતી સામાન્ય ભૂલો અને ચાલાકીથી બચવા માટે ખરીદી કરતી વખતે કેટલીક પાયાની બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
મેકિંગ ચાર્જિસ અને દાગીનાની સરખામણી
સોના-ચાંદીના દાગીના બનાવતી વખતે જ્વેલર્સ તેની ડિઝાઇન મુજબ ‘મેકિંગ ચાર્જ’ એટલે કે ઘડામણ વસૂલે છે. પરંતુ ઘણા ખરીદદારો એ વાતથી અજાણ હોય છે કે જટિલ ડિઝાઇનો પર આ ચાર્જ ૩૦% થી લઈને પ૦% કે તેથી પણ વધુ હોઈ શકે છે. આ વધારાનો ચાર્જ તમારી ખરીદીનું બજેટ અચાનક ખૂબ વધારી દે છે, જે ભવિષ્યમાં દાગીનો વેચતી વખતે ક્યારેય પાછો મળતો નથી. તેથી કોઈપણ દાગીનો ફાઇનલ કરતા પહેલાં તરત જ ખરીદી લેવાને બદલે ૨ થી ૩ અલગ-અલગ જાણીતા જ્વેલર્સની મુલાકાત લેવી જોઈએ. દરેક દુકાને એક સરખા વજન અને ડિઝાઇન પર કેટલો મેકિંગ ચાર્જ લેવામાં આવે છે તેની સરખામણી કરવાથી શ્રેષ્ઠ ડીલ મળી શકે છે.
BIS હોલમાર્કિંગ અને શુદ્ધતાની ચકાસણી
દાગીના ખરીદતી વખતે તેના પર BIS (Bureau of Indian Standards) નો હોલમાર્ક છે કે નહીં તે ચકાસવું સૌથી મહત્વપૂર્ણ છે. હોલમાર્ક એ વાતની સત્તાવાર ગેરંટી આપે છે કે તમે જે સોનું ખરીદી રહ્યા છો તેની શુદ્ધતા (જેમ કે ૨૨ કેરેટ કે ૧૮ કેરેટ) સંપૂર્ણપણે સાચી છે. હોલમાર્ક વગરનું સોનું ખરીદવું એટલે પોતાના જ પૈસાનું જોખમ લેવા સમાન છે. આ ઉપરાંત, દુકાન પર પગ મૂકતા પહેલાં તમારા શહેરમાં સોના અને ચાંદીનો આજનો તાજો લાઈવ રેટ શું ચાલે છે તે જાણી લેવું ખૂબ જરૂરી છે. સાચા ભાવની ખબર હશે ત્યારે જ્વેલર તમને ગેરમાર્ગે દોરી શકશે નહીં.
બિલિંગ, ટેક્સ અને વજનનું પારદર્શક ગણિત
જ્યારે વેપારી ફાઇનલ બિલ બનાવે, ત્યારે સોનાની મૂળ કિંમત, તેના પર લાગેલો મેકિંગ ચાર્જ અને ટેક્સ (GST) અલગ-અલગ દર્શાવેલા છે કે નહીં તે ખાસ જોવું જોઈએ. ઘણીવાર બધું ભેગું કરીને એવો આંકડો બતાવવામાં આવે છે જેમાં ઓવરચાર્જિંગ છુપાયેલું હોય છે. ઘણા લોકો થોડા રૂપિયાનો GST ટેક્સ બચાવવા માટે કાચું બિલ કે સ્લિપ લઈને ખુશ થઈ જાય છે, પરંતુ ભવિષ્યમાં દાગીનામાં કોઈ ખામી નીકળે, એક્સચેન્જ કરાવવું હોય કે રીસેલ કરવું હોય, ત્યારે પક્કા બિલ વગર કોઈ કાનૂની પુરાવો રહેશે નહીં.
અંતમાં, સોનું અત્યંત મોંઘી ધાતુ હોવાથી તેના વજનમાં માત્ર થોડા મિલીગ્રામનો પણ તફાવત હોય તો કિંમતમાં હજારો રૂપિયાનો ફેર પડી જાય છે. તેથી જ્વેલર દાગીનાનું વજન કરે ત્યારે તમારી નજર સામે ડિજિટલ કાંટો હોય તે બાબત સુનિશ્ચિત કરવી જોઈએ અને કાંટા પરનો ચોક્કસ આંકડો જ બિલમાં લખાયો છે કે નહીં તે ચકાસવું જોઈએ. વજન, શુદ્ધતા, વ્યાજબી ચાર્જિસ અને પક્કા બિલની બાબતમાં સાવચેતી રાખવી એ જ એક સ્માર્ટ ગ્રાહકની સાચી ઓળખ છે.