80મો સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લાની પ્રાચિરથી દેશવાસીઓને સંબોધશે પીએમ નરેન્દ્ર મોદી
આજે સમગ્ર દેશ અત્યંત હર્ષ, ઉલ્લાસ અને દેશભક્તિના વાતાવરણમાં 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આઝાદીના આ મહાપર્વ નિમિત્તે દેશના ખૂણેખૂણામાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં આવેલા ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ઉજવણીના મુખ્ય કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રિરંગો લહેરાવીને દેશવાસીઓને સંબોધિત કરવાના છે. વડાપ્રધાનના આ સંબોધન અને ધ્વજવંદન સમારોહ પર આજે દેશના કરોડો નાગરિકોની નજર મંડાયેલી છે.
આઝાદીની ઉજવણી માટે દેશભરમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. તમામ સરકારી કાર્યાલયો, ઐતિહાસિક ઈમારતો, શાળાઓ અને કોલેજોને રોશની અને ત્રિરંગાથી સજાવવામાં આવ્યા છે. શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સવારથી જ પ્રભાતફેરી, ધ્વજવંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનો અને બાળકો ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
‘વંદે માતરમ’ ની 150મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ આયોજન
વર્ષ 2026ની આ સ્વતંત્રતા દિવસની ઉજવણી એક વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વર્ષે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી, આ પ્રસંગને વધુ યાદગાર બનાવવામાં આવ્યો છે. લાલ કિલ્લા પર યોજાનારા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રધ્વજ ફકરાવ્યા બાદ તરત જ ભારતીય સેનાનું બેન્ડ પવિત્ર અને પ્રેરણાદાયી ‘વંદે માતરમ’ ની ધૂન વગાડશે. ત્યારબાદ સમગ્ર પરિસરમાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ નો ઘોષ થશે.
આ વખતની ઉજવણીમાં દેશની ‘યુવા શક્તિ’ ની ભૂમિકા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમનો ફાળો મુખ્ય કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. દેશને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે યુવાનોની ભાગીદારી પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીના સંબોધન અને નવી યોજનાઓ પર દેશની નજર
દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લાની પ્રાચિરથી પ્રધાનમંત્રી મોદી દેશના ભવિષ્યનો રોડમેપ રજૂ કરશે. વિતેલા વર્ષોમાં દેશે હાસલ કરેલી સિદ્ધિઓની સમીક્ષા કરવાની સાથે સાથે, આગામી વર્ષો માટેના નવા લક્ષ્યાંકો અને જનકલ્યાણકારી યોજનાઓની જાહેરાત પીએમ મોદી કરી શકે છે. સુરક્ષા, આર્થિક પ્રગતિ, ટેક્નોલોજી અને સામાજિક ક્ષેત્રે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની દિશા આ ભાષણમાંથી મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ અને દેશભરમાંથી આવી રહેલા સ્વતંત્રતા પર્વના સમાચાર આ લાઈવ કવરેજમાં સતત ઉમેરવામાં આવશે. આઝાદીના આ પર્વે આખું ભારત એકતા અને અખંડિતતાના સૂત્રમાં બંધાઈને દેશભક્તિના રંગમાં બોળાયેલું નજરે પડે છે.
આજના આધુનિક યુગમાં ઊર્જાની વધતી જતી જરૂરિયાતો વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ચિપ્સ ઉત્પાદન અને વિશાળ ડેટા સેન્ટરો ચલાવવા માટે મોટી માત્રામાં વીજળીની આવશ્યકતા રહેશે. ઉર્જા સુરક્ષા એ સમયની સૌથી મોટી માગ છે અને ભારતે તે દિશામાં અત્યારથી જ અત્યંત મજબૂત અને પ્રભાવશાળી પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.
પરમાણુ ઊર્જા અને નવી નીતિઓ પર ભાર
વડાપ્રધાને પરમાણુ ઊર્જાને દેશની ઊર્જા સુરક્ષાનો મુખ્ય સ્ત્રોત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે સંસદમાં ‘શાંતિ કાયદો’ પસાર કરીને ભારતે એક નવા ધ્યેય તરફનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશમાં ૧૦૦ ગીગાવોટ (GW) પરમાણુ ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, વર્તમાન દાયકા દરમિયાન જ ૫ નવા પરમાણુ રિએક્ટર કાર્યરત કરવાનો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ભારત પાસે એક સ્થિર રાજકીય જનાદેશ, મજબૂત ન્યાયતંત્ર અને દેશને માર્ગદર્શન આપતું આદર્શ બંધારણ છે. આ તમામ અનુકૂળ પરિસ્થિતિઓને કારણે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર અને રોકાણ માટેનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.
કાર્ય સંસ્કૃતિ બદલવા અને લક્ષ્ય તરફ આગળ વધવા હાકલ
વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાની નેમ પુનઃ દોહરાવતા પીએમ મોદીએ જણાવ્યું કે, વિતેલા ૧૦-૧૨ વર્ષોમાં દેશવાસીઓએ દર્શાવેલી અદ્ભુત ક્ષમતાના આધારે જ આ પાયો તૈયાર થયો છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે આપણે આપણી નીતિઓ, વિચારસરણી અને કાર્ય સંસ્કૃતિમાં મોટો સુધારો કરવો પડશે. દેશની પ્રગતિની ગતિ હવે ધીમી પડી શકે નહીં.
આગામી પચ્ચીસ વર્ષો દેશ માટે અત્યંત નિર્ણાયક છે. ભારતે પોતાની નવી દિશા નક્કી કરી લીધી છે અને હવે કોઈ પણ વિલંબ વગર મક્કમ નિર્ધાર સાથે ધ્યેય તરફ આગળ વધવું પડશે, જેથી ભારત વિશ્વની અગ્રેસર આર્થિક અને તકનીકી સત્તા બની શકે.