હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરશે આ ૫ નેચરલ સપ્લીમેન્ટ્સ: જાણો નિષ્ણાત તબીબોનો અભિપ્રાય
આજની આધુનિક અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) ની સમસ્યા ઘર-ઘર સુધી પહોંચી ગઈ છે. સાયલન્ટ કિલર ગણાતું હાઈ બીપી ઘણીવાર કોઈ પણ બાહ્ય લક્ષણો દર્શાવ્યા વગર વધતું રહે છે, જે આગળ જતાં હૃદય રોગનો હુમલો, સ્ટ્રોક અને કિડની નિષ્ફળ જવા જેવા ગંભીર જોખમો ઊભા કરે છે. આવી પરિસ્થિતિમાં હેલ્ધી બ્લડ પ્રેશર જાળવી રાખવા માટે વિવિધ નેચરલ સપ્લીમેન્ટ્સ અંગેની ચર્ચા સોશિયલ મીડિયા અને તબીબી જગતમાં તેજ બની છે.
પ્રસિદ્ધ ફિઝિશિયન ડૉ. કુણાલ સૂદ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, કેટલાંક ચોક્કસ સપ્લીમેન્ટ્સ હૃદય અને રક્તવાહિનીઓના સ્વાસ્થ્યને ટેકો આપીને બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેમાં મુખ્યત્વે બીટરૂટ પાવડર, CoQ10, મેગ્નેશિયમ, હિબિસ્કસ ટી અને ઓમેગા-૩ ફેટી એસિડનો સમાવેશ થાય છે.

સપ્લીમેન્ટ્સ શરીરમાં કેવી રીતે કામ કરે છે?
તબીબી અભ્યાસો અનુસાર, આ દરેક સપ્લીમેન્ટની કાર્યપદ્ધતિ અલગ-અલગ છે:
- બીટરૂટ પાવડર: બીટરૂટમાં પુષ્કળ પ્રમાણમાં ડાયેટરી નાઈટ્રેટ હોય છે, જે શરીરમાં જઈને નાઈટ્રિક ઑકસાઈડમાં રૂપાંતરિત થાય છે. આ વાયુ રક્તવાહિનીઓને પહોળી અને આરામદાયક બનાવીને સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
- CoQ10: આ તત્વ કોષોની મિટોકોન્ડ્રીયલ એનર્જી પ્રોડક્શનને સપોર્ટ કરે છે અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે. ૮ થી ૧૨ અઠવાડિયાના સતત ઉપયોગ બાદ તે બીપીમાં થોડો સુધારો લાવી શકે છે.
- મેગ્નેશિયમ: મેગ્નેશિયમ રક્ત વાહિનીઓના સ્નાયુઓના સંકોચન અને કેલ્શિયમનું સંતુલન જાળવે છે. ખાસ કરીને શરીરમાં મેગ્નેશિયમની ઉણપ ધરાવતા લોકો માટે તે વધુ ફાયદાકારક છે.
- ઓમેગા-૩ ફેટી એસિડ: ઓમેગા-૩ માં રહેલા EPA અને DHA તત્વો શરીરમાં બળતરા (Inflammation) ઘટાડે છે. દરરોજ ૨ થી ૩ ગ્રામ જેટલું ઓમેગા-૩ લેવાથી હાઈ બીપીના દર્દીઓમાં સકારાત્મક અસરો જોવા મળી છે.
- હિબિસ્કસ ટી: મીઠા વગરની હિબિસ્કસ ચા (જાસુદના ફૂલની ચા) માં પોલિફેનોલ્સ હોય છે, જે નાઈટ્રિક ઓક્સાઈડ સિગ્નલિંગવધારે છે. આ સિવાય કચોરી અને કેમોમાઈલ ચા પણ મનને શાંત કરી બીપી નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
શું સપ્લીમેન્ટ્સ ડોક્ટરની દવાનો ઓપ્શન બની શકે?
કાર્ડિયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્થાપક ડૉ. સી.એમ. નાગેશ અને ડૉ. કુણાલ સૂદે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ સપ્લીમેન્ટ્સને કોઈ પણ સંજોગોમાં તબીબી સારવાર કે ડોક્ટર દ્વારા આપેલી ગોળીઓના વિકલ્પ તરીકે ન જોવા જોઈએ.
ડૉક્ટરોના મતે, ક્લિનિકલ રિસર્ચમાં આ તમામ સપ્લીમેન્ટ્સનું અલગ-અલગ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેથી તેમની અસરો એકસાથે ઉમેરી શકાતી નથી. જે લોકોના આહારમાં ફળો-શાકભાજી અને પોષક તત્વોની ઉણપ હોય, તેમને આનાથી વધુ ફાયદો થઈ શકે છે, પરંતુ સામાન્ય વસ્તીમાં તેની અસર મર્યાદિત હોઈ શકે છે.

વિના વિચારે સપ્લીમેન્ટ્સ લેવાના જોખમો
સપ્લીમેન્ટ્સ સંપૂર્ણપણે જોખમમુક્ત નથી હોતા. વધુ પડતું મેગ્નેશિયમ શરીરમાં જમા થવાથી કિડની રોગ ધરાવતા દર્દીઓમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. બીટરૂટ પ્રોડક્ટ્સ પ્રેશરની દવાઓ સાથે પ્રતિક્રિયા આપીને બીપી એકાએક ખૂબ નીચું લાવી શકે છે.
તેવી જ રીતે, બ્લડ થિનર (લોહી પાતળું કરવાની દવાઓ) લેતા દર્દીઓમાં ઓમેગા-૩ ના વધુ પડતા ઉપયોગથી રક્તસ્રાવનું જોખમ વધી જાય છે. હિબિસ્કસ ટી પણ કેટલીક એલોપેથિક દવાઓ સાથે કેમિકલ રિએક્શન કરી શકે છે.
ડોક્ટરોનું આખરી તારણ એ છે કે વધુ પડતા મીઠાનું સેવન, સ્થૂળતા, શારીરિક નિષ્ક્રિયતા અને અસ્વસ્થ જીવનશૈલી સુધાર્યા વગર માત્ર સપ્લીમેન્ટ્સ લેવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી શકતું નથી. જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર અને ડોક્ટરની સૂચના મુજબ નિયમિત દવાઓ જ હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણનો પાયો છે.
