હવામાન વિભાગની ગંભીર ચેતવણી: દેશના ૨૧ રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા
દેશભરમાં ચોમાસાની આક્રમક પ્રગતિ અને વાતાવરણમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ અત્યંત ચિંતાજનક ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન મુજબ, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને ગુજરાત સહિત દેશના ૨૧ જેટલા રાજ્યોમાં મુસળધાર વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવાની પ્રબળ શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ૭૦ થી ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિની વાવાઝોડું આવી શકે છે, જેના કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તરીય પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર સક્રિય ચક્રવાતી પરિભ્રમણ અને રાજસ્થાનની આસપાસ રચાયેલી સિસ્ટમને કારણે ગંગાના મેદાની વિસ્તારોમાં ભારે વિનાશક હવામાન સર્જાઈ શકે છે.
પર્વતીય પ્રદેશોમાં ભૂસ્ખલન અને દરિયાકિનારે એલર્ટ
પૂર્વ અને ઉત્તર ભારતના પહાડી રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં મૂસળધાર વરસાદને કારણે ભૂસ્ખલન (Landslide) અને વાદળ ફાટવાની ઘટનાઓ સામે સતર્ક રહેવા જણાવાયું છે. પૂર્વ ભારતના રાજ્યોમાં તીવ્ર વીજળીના કડાકા અને મોટા કદના કરા પડવાની શક્યતા દર્શાવાઈ છે. દરિયાઈ વિસ્તારોમાં ઉત્પાત વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને પોતાના પાકની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવા સલાહ આપવામાં આવી છે.

રાજ્યવાર હવામાનની સ્થિતિ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર, મેરઠ, આગ્રા, કાનપુર, ગોરખપુર અને પ્રયાગરાજ જેવા વિસ્તારોમાં ૭૫ કિમીની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. પાટનગર લખનૌમાં તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. બિહારના પટના, ગયા, મુઝફ્ફરપુર અને ભાગલપુર સહિતના જિલ્લાઓમાં ૬૦ થી ૭૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે.
પાટનગર દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જ્યાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સુધી રહેશે. ઝારખંડના રાંચી, જમશેદપુર અને દેવઘરમાં ૬૦ કિમીની ઝડપે તોફાની પવન આવવાની ધારણા છે.
ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનિતાલ અને ઋષિકેશમાં ૫૫ કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશના મનાલી, શિમલા અને કાંગડામાં પારો ગગડીને ૧૧ થી ૧૬ ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા, અનંતનાગ અને શ્રીનગરમાં પણ ૫૫ કિમીની ઝડપે તોફાનની શક્યતા છે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળના કોલકાતા, દાર્જિલિંગ અને પુરુલિયા; પંજાબના અમૃતસર અને ભટિંડા; રાજસ્થાનના જયપુર, જેસલમેર અને ઉદયપુર; તેમજ મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં ૫૦ થી ૬૦ કિમીની ઝડપે ચક્રવાતી પવન સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ ચોમાસુ ભારે આક્રમક મૂડમાં રહેશે.
