ખાંડના વધારાના સ્ટોક પર સરકારની મોટી કાર્યવાહી, હવે શું થશે ભાવનું?
આગામી તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ ખાંડનો મોટો વપરાશ કરતા ઉદ્યોગો, બિસ્કિટ-બ્રેડ ઉત્પાદકો અને મીઠાઈના વેપારીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. સરકારે બિસ્કિટ અને બેકરી બનાવતી અગ્રણી કંપનીઓની તે માંગણીને આકરા શબ્દોમાં ફગાવી દીધી છે, જેમાં તેમણે નિયત મર્યાદા કરતાં વધુ રાખેલા ખાંડના સ્ટોકને વેચવા માટે વધારાનો સમય માંગ્યો હતો.
કેન્દ્ર સરકારે તમામ સંબંધિત કંપનીઓ અને વેપારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓ આગામી 31 ઓગસ્ટ સુધીમાં પોતાના તમામ વધારાના સ્ટોકનો નિકાલ કરે. નોંધનીય છે કે સરકારે તાજેતરમાં જ ખાંડનો સ્ટોક રાખવાની સમયમર્યાદા 30 દિવસથી ઘટાડીને માત્ર 15 દિવસ કરી દીધી છે. આ નવા નિયમ અનુસાર, હવે બલ્ક યુઝર્સ એટલે કે મોટા પાયે ખાંડનો ઉપયોગ કરતી કંપનીઓ પોતાની સામાન્ય જરૂરિયાતનો માત્ર 15 દિવસનો જ સ્ટોક રાખી શકશે.

આ મુદ્દે ખાદ્ય સચિવ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશની કેટલીક જાણીતી FMCG કંપનીઓએ ચેતવણી આપી હતી કે જો તેમણે અત્યારે આકરા પગલાં હેઠળ પોતાનો સ્ટોક બજારમાં વેચી દેવો પડશે, અને પછીથી પોતાની ઉત્પાદન જરૂરિયાતો માટે બજારમાંથી નવી ખરીદી કરવી પડશે, તો તેનાથી ખાંડના ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવી શકે છે. આ ઉપરાંત, પુરવઠામાં વિક્ષેપ પડવાને કારણે આંતરરાષ્ટ્રીય એક્સપોર્ટ ઓર્ડર્સ સમયસર પૂરા કરવામાં ભારે મુશ્કેલી પડશે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
કંપનીઓએ સંગ્રહખોરી અને સટ્ટાખોરીના આરોપો ફગાવ્યા
બીજી તરફ, સરકારી ટ્રેડ ઓફિશિયલ્સનું માનવું છે કે જો આ વધારાનો સ્ટોક 31 ઓગસ્ટ સુધીમાં ખુલ્લા બજારમાં આવી જશે, તો તેનાથી ખાંડની ઉપલબ્ધતા વધશે અને કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થશે. સરકારનું આ આકરું પગલું ‘ઇન્ડિયન શુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન’ (ISMA) ના તે આરોપો પછી આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોટી FMCG કંપનીઓ અને બલ્ક બાયર્સે ખાંડનો ગેરકાયદેસર સંગ્રહ કરી રાખ્યો છે.
જોકે, બિસ્કિટ અને કન્ફેક્શનરી બનાવતી કંપનીઓએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. બિસ્કિટ બનાવતી એક લિસ્ટેડ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “અમે અમારી દૈનિક ઉત્પાદન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ સીઝનલ સ્ટોક રાખીએ છીએ. અમારો હેતુ ફરીથી વેચવાનો કે બજારમાં સટ્ટાખોરી કરવાનો હોતો જ નથી. અમે સાબિત કરી શકીએ છીએ કે અમે ખરીદેલી ખાંડનો એક-એક કિલોગ્રાામ જથ્થો બિસ્કિટ, કેન્ડી કે અન્ય ખાદ્યચીજો બનાવવામાં જ વપરાયો છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે ખાંડને પ્રોસેસ કરીને સામાન્ય નાગરિકો માટે ખાદ્યપદાર્થો બનાવીએ છીએ. જો અમારે અત્યારે કાયદાના ડરે હેજ્ડ (hedged) ખાંડ વેચવી પડશે, તો 15 દિવસ પછી અમારે ફરીથી મોટી માત્રામાં બજારમાંથી ખરીદી કરવા ઉતરવું પડશે, જેનાથી બજારમાં અસ્થિરતા આવશે અને કિંમતો વધવાનું જોખમ ઊભું થશે. જોકે, કેટલીક કંપનીઓ એ વાતથી ખુશ પણ છે કે આ પગલાથી ભાવમાં થતા સતત વધારા પર લગામ લાગશે.
સરકારનો નિર્ણય યોગ્ય: પાર્લે અને ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ્સનો ટેકો
બીજી તરફ, દેશની અગ્રણી બિસ્કિટ ઉત્પાદક કંપની પાર્લે (Parle) એ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. પાર્લેના ચીફ માર્કેટિંગ ઓફિસર મયંક શાહે જણાવ્યું હતું કે, “અમે હંમેશા સરકારી નિયમો અનુસાર જ સ્ટોક રાખીએ છીએ. અમારી દૈનિક વપરાશની જરૂરિયાત એટલી મોટી છે કે અમે ઇચ્છવા છતાં પણ લાંબા સમય માટે ખાંડનો વધારાનો સ્ટોક કરી શકતા નથી. સરકારના આ સખત પગલાં પછી બજારમાં ખાંડના ભાવમાં નરમ વલણ જોવા મળ્યું છે અને તેનાથી કૃત્રિમ સટ્ટાખોરી કરનારાઓ પર ચોક્કસ લગામ લાગશે.”
ઉદ્યોગને આશા છે કે જો તમામ જથ્થાબંધ ખરીદદારો આ સ્ટોક મર્યાદાનું પ્રામાણિકતાથી પાલન કરશે, તો આવનારા દિવસોમાં ખાંડના ભાવ હજુ પણ નીચે આવી શકે છે. સુગર ઇન્ડસ્ટ્રીના સિનિયર એનાલિસ્ટ જી. કે. સૂદના જણાવ્યા મુજબ, જો મોટા ખરીદદારો અને વેપારીઓ કાનૂની મર્યાદાથી વધુ રાખેલો સ્ટોક ખુલ્લા બજારમાં મુક્ત કરશે, તો માર્કેટમાં અંદાજે 3 થી 4 લાખ ટન વધારાની ખાંડ ઉપલબ્ધ થશે, જે તહેવારોની સીઝનમાં ગ્રાહકો માટે રાહતરૂપ સાબિત થશે.

MNCs અને ફાર્મા ક્ષેત્ર માટે પુરવઠાનું સંકટ ઊભું થવાની ભીતિ
જોકે, આ નિર્ણયથી તમામ ક્ષેત્રો ખુશ નથી. કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બહુરાષ્ટ્રીય FMCG કંપનીઓ અને ફાર્માસ્યુટિકલ (દવાઓ બનાવતી) કંપનીઓને આ નિર્ણયથી ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. આ કંપનીઓને ઉત્પાદન માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલી ચોક્કસ મિલોમાંથી વિશિષ્ટ ગ્રેડ (Special Grade) ની જ ખાંડ વાપરવાની મંજૂરી હોય છે. 15 દિવસની સ્ટોક લિમિટના કારણે તેમને સમયસર યોગ્ય ક્વોલિટીનો જથ્થો મળવામાં તકલીફ પડી શકે છે.
ઉપરાંત, ISMA દ્વારા કરવામાં આવેલા દાવા અંગે વાત કરતા એનાલિસ્ટ જી. કે. સૂદે ઉમેર્યું હતું કે, શુગર મિલિંગ એસોસિએશન દ્વારા પોતાનો વાંક છુપાવવા માટે પોતાના જ મુખ્ય ગ્રાહકો (બલ્ક બાયર્સ) પર તમામ દોષ ઢોળી દેવો એ વેપારી નૈતિકતાની વિરુદ્ધ છે.
દરમિયાન, સ્ટોક મર્યાદાના કડક અમલ માટે પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ ભાગોમાં ખાંડના મોટા વેપારીઓના ગોડાઉનો પર ઈન્કમટેક્સ અને ખાદ્ય વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાને કારણે સમગ્ર વેપારી આલમમાં ભારે અફડાતફડી અને ફફડાટનો માહોલ સર્જાયો છે. તહેવારો ટાણે જ સરકારના આ વલણથી બજાર કઈ તરફ જશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
