એર ઇન્ડિયાની ખોટથી સિંગાપુર એરલાઇન્સ સંકટમાં! વિદેશમાં કેમ મચ્યો ભારે હંગામો?
ટાટા જૂથના નેતૃત્વ હેઠળ ચાલતી એર ઇન્ડિયાનો નાણાકીય સંકટ હવે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ દરિયાપાર સિંગાપુરની રાજનીતિમાં પણ ગરમાવો લાવી રહ્યો છે. અહેવાલો મુજબ, એર ઇન્ડિયાએ પોતાના સતત વધી રહેલા ઘાટામાંથી બહાર આવવા માટે રોકાણકારો પાસે ૧.૫ અબજ ડોલર (લગભગ ₹૧૨,૫૦૦ કરોડ) ના બેલઆઉટ પેકેજની માગ કરી છે. આ જંગી રકમની માગણીને કારણે સિંગાપુરની સંસદમાં તીખી ચર્ચા શરૂ થઈ ગઈ છે, જ્યાં વિરોધ પક્ષના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે સિંગાપુર એરલાઇન્સ (SIA) દ્વારા એર ઇન્ડિયામાં વધુ નાણાં રોકવાનો કોઈ તર્ક બનતો નથી.

સિંગાપુર સંસદમાં વિરોધના આકરા સૂર
સિંગાપુરની ‘વર્કર્સ પાર્ટી’ના સંસદસભ્ય કેનેથ તિઓંગ બૂન કિયટે સિંગાપુર એરલાઇન્સ દ્વારા એર ઇન્ડિયાને ભવિષ્યમાં આપવામાંજનારા કોઈપણ વધારાના ફંડનો આકરો વિરોધ કર્યો છે. વાસ્તવમાં, એર ઇન્ડિયામાં સિંગાપુર એરલાઇન્સ (SIA) ની આશરે ૨૫ ટકા હિસ્સેદારી છે. બીજી તરફ, SIA માં સૌથી મોટું શેરહોલ્ડિંગ ‘ટેમાસેક હોલ્ડિંગ્સ’ (Temasek Holdings) નું છે, જે સિંગાપુર સરકારની સત્તાવાર ઇન્વેસ્ટમેન્ટ કંપની છે.
સાંસદ તિઓંગે પરિવહન મંત્રી જેફ્રી સિયોને પત્ર લખીને આ અંગે મૌખિક જવાબ માંગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સિંગાપુરનો કોઈ પણ નાગરિક એર ઇન્ડિયા જેવી ખોટ કરતી એરલાઇનને પોતાના ટેક્સના નાણાંથી ટેકો આપવા બાધ્ય નથી. તેમણે ઉમેર્યું કે જો SIA એર ઇન્ડિયા પર દાવ લગાવવા માંગતી હોય, તો તેણે પોતાના ભંડોળનો ઉપયોગ કરવો જોઈએ, ટેમાસેક કે સિંગાપુરના કરદાતાઓના નાણાંનો બિલકુલ નહીં.
SIA ની બેલેન્સ શીટ પર ભારે બોજ
એર ઇન્ડિયાની કથળતી નાણાકીય સ્થિતિની સીધી અસર હવે સિંગાપુર એરલાઇન્સના પરફોર્મન્સ પર જોવા મળી રહી છે.
પ્રથમ ત્રિમાસિક ગાળામાં નુકસાન: ૨૦૨૨ પછી પહેલીવાર SIA ને પ્રથમ ત્રિમાસિક ગાળામાં મોટું ઓપરેટિંગ નુકસાન સહન કરવું પડ્યું છે.
જંગી ખોટ: એર ઇન્ડિયામાં છેલ્લા બે વર્ષના રોકાણના કારણે SIA ને લગભગ ૧.૩ અબજ સિંગાપુર ડોલર (૭૮૦ મિલિયન ડોલર) ની ઓપરેટિંગ ખોટ થઈ છે.
અગાઉનું રોકાણ: વિસ્તારાનું એર ઇન્ડિયામાં વિલીનીકરણ થયા બાદ, ૨૦૨૪ માં SIA એ ૮૨૨ મિલિયન સિંગાપુર ડોલરનું વધારાનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત, માર્ચમાં પોતાની હિસ્સેદારી જાળવી રાખવા માટે પણ તેમણે ૧૬૭ મિલિયન સિંગાપુર ડોલર મૂકવા પડ્યા હતા.
આમ, સતત વધી રહેલા આ રોકાણ અને સામે મળતા ખોટના આંકડાઓએ સિંગાપુરના વિદેશી રોકાણકારોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.

ટાટા માટે એર ઇન્ડિયાને પાટા પર લાવવી મુશ્કેલ
ટાટા સંસ માટે એર ઇન્ડિયાનો કાયાકલ્પ કરવો સરળ સાબિત નથી થઈ રહ્યો. નાણાકીય વર્ષ ૨૦૨૬ માં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની સંયુક્ત ખોટ વધીને ૨.૩૩ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના સરખામણીએ બમણા કરતા પણ વધુ છે.
| વિગત | સ્થિતિ / નાણાકીય આંકડા |
| જરૂરી બેલઆઉટ ફંડ | ૧.૫ અબજ ડોલર (આશરે ₹૧૨,૫૦૦ કરોડ) |
| SIA ની હિસ્સેદારી | ૨૫% |
| નાણાકીય વર્ષ ૨૦૨૬ નો ખોટ | ૨.૩૩ અબજ ડોલર |
| પરિવર્તનનો અંદાજિત સમય | ૫ થી ૧૦ વર્ષ |
ટાટા સંસના ચેરમેન એન. ચંદ્રશેખરને શેરધારકોને સંબોધતા અગાઉથી જ આગાહ કર્યા હતા કે આ એરલાઇનને સંપૂર્ણપણે નફાકારક બનાવવામાં ૫ થી ૧૦ વર્ષનો સમય લાગી શકે છે. તેમણે વર્તમાન સ્થિતિને એક ‘પરફેક્ટ સ્ટોર્મ’ (ચારે બાજુથી મુશ્કેલીઓનો ઘેરાવો) ગણાવી હતી. આ મુશ્કેલીઓ પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે:
૧. જૂનું ટેકનિકલ માળખું: દાયકાઓ જૂના સિસ્ટમ્સ અને પ્લેન્સના મેન્ટેનન્સમાં થતો ભારે ખર્ચ.
૨. પાર્ટ્સની અછત: વિમાનોના સુજોડી પાર્ટ્સ મળવામાં થતો વિલંબ.
૩. ઈંધણના ભાવ: વૈશ્વિક સ્તરે એવિએશન ફ્યુઅલ (ATF) ના વધતા ભાવ.
૪. જીઓપોલિટિકલ તણાવ: અમેરિકા-ઈરાન તણાવના કારણે એરરૂટ્સ બદલાતાં વધેલો ખર્ચ.
૫. ઓપરેશનલ આંચકા: જૂન ૨૦૨૫ માં અમદાવાદમાં થયેલી દુર્ઘટનાને કારણે એરલાઇન્સના ઈમેજ અને ઓપરેશન્સને પહોંચેલો ફટકો.
શેરધારકો અને વિશ્લેષકોના સવાલો
સિંગાપુરમાં માત્ર રાજકારણીઓ જ નહીં, પરંતુ સામાન્ય શેરધારકો પણ આ ડીલ પર સવાલો ઉઠાવી રહ્યા છે. સિક્યોરિટીઝ ઇન્વેસ્ટર્સ એસોસિએશન (સિંગાપુર) એ SIA પાસે એર ઇન્ડિયાને આપવામાં આવતા ફંડની મહત્તમ મર્યાદા સ્પષ્ટ કરવા માગ કરી છે.
“એર ઇન્ડિયામાં નાણાં રોકવા એ અમારી લાંબા ગાળાની ભારત વ્યૂહરચના (Long-term India Strategy) નો મહત્વનો ભાગ છે.”
— સિંગાપુર એરલાઇન્સ (SIA)
તેમ છતાં, ડીબીએસ (DBS) ના વિશ્લેષકોનું માનવું છે કે એર ઇન્ડિયાને નફામાં આવતા હજુ ઘણા વર્ષો લાગશે. બીજી તરફ, વિદેશી નિષ્ણાતોનું કહેવું છે કે સિંગાપુર સરકાર બચાવમાં એવો તર્ક આપી શકે છે કે SIA તેના પોતાના બેલેન્સ શીટના આધારે નિર્ણયો લઈ રહી છે, જેમાં સિંગાપુરના ટેક્સપેયર્સ કે ટેમાસેકનું નાણાં સીધી રીતે જોખમમાં નથી. હવે જોવાનું એ રહેશે કે ૮ સપ્ટેમ્બરે યોજાનાર સંસદીય સત્રમાં સિંગાપુર સરકાર આ મુદ્દે શું સ્પષ્ટતા કરે છે.
