Stock Market New Rules: સોમવારથી NSE પર બદલાશે સવારનો ખેલ, જાણો 9:00 થી 9:15 વચ્ચે શું નવું થશે?
ભારતીય શેરબજારમાં રોકાણકારો અને ટ્રેડર્સ માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ સોમવાર, 7 સપ્ટેમ્બરથી પોતાના પ્રી-ઓપન સેશન (Pre-Open Session) ના નિયમોમાં મોટો ફેરફાર અમલી બનાવ્યો છે. જોકે, સવારના 9:00 થી 9:15 વાગ્યા સુધીનો કુલ સમયગાળો યથાવત રાખવામાં આવ્યો છે, પરંતુ આ 15 મિનિટના સેશન દરમિયાન ઓર્ડર એન્ટ્રી અને તેના મેચિંગની પ્રક્રિયામાં નવા તબક્કા ઉમેરવામાં આવ્યા છે. આ ફેરફારો મુખ્યત્વે માર્કેટમાં પારદર્શિતા વધારવા અને ભાવ નક્કી કરવાની પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે કરવામાં આવ્યા છે.

પ્રી-ઓપન સેશનના નવા નિયમો અને સમયપત્રક
નવા માળખા હેઠળ, 15 મિનિટના પ્રી-ઓપન સેશનને મુખ્ય ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યું છે:
સવારે 9:00 થી 9:05 વાગ્યા સુધી (ફેઝ-1):
સવારના પ્રથમ 5 મિનિટ દરમિયાન રોકાણકારો લિમિટ ઓર્ડર (Limit Orders) અને માર્કેટ ઓર્ડર (Market Orders) બંને મૂકી શકશે, તેમાં ફેરફાર કરી શકશે અથવા કેન્સલ પણ કરી શકશે.
સવારે 9:05 થી 9:10 વાગ્યા સુધી (ફેઝ-2):
આ બીજા તબક્કામાં માર્કેટ ઓર્ડર મૂકવા પર પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રોકાણકારો માત્ર લિમિટ ઓર્ડર જ સબમિટ, મોડિફાય કે કેન્સલ કરી શકશે. જો કોઈ આ સમયમાં માર્કેટ ઓર્ડર મૂકવાનો પ્રયાસ કરશે તો તે રિજેક્ટ થઈ જશે.
સવારે 9:10 થી 9:12 વાગ્યા સુધી (ઓર્ડર મેચિંગ અને ટ્રેડ કન્ફર્મેશન):
અગાઉ આ પ્રક્રિયા સવારે 9:08 થી 9:12 વાગ્યા સુધી ચાલતી હતી. હવે નવા નિયમ મુજબ, 9:10 થી 9:12 વાગ્યા સુધીમાં શેરનો ઓપનિંગ પ્રાઇસ (શરૂઆતી ભાવ) નક્કી કરવામાં આવશે, ઓર્ડર મેચ કરવામાં આવશે અને ટ્રેડ કન્ફર્મ થશે.
સવારે 9:12 થી 9:15 વાગ્યા સુધી (બફર પિરિયડ):
આ 3 મિનિટનો સમય બફર પિરિયડ તરીકે રહેશે, જેથી પ્રી-ઓપન સેશનમાંથી સામાન્ય ટ્રેડિંગ સેશનમાં પ્રક્રિયા સરળતાથી ટ્રાન્સફર થઈ શકે. સવારે 9:15 વાગ્યે સામાન્ય માર્કેટ ખુલશે.

કયા શેર અને સિક્યોરિટીઝ પર લાગુ થશે આ નિયમ?
આ નવો નિયમ માત્ર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) માં ટ્રેડ થતા કે માત્ર મોટા લાર્જ-કેપ શેરો પૂરતો સીમિત નથી. તે ઇક્વિટી કેશ માર્કેટની તમામ સિક્યોરિટીઝને આવરી લે છે.
મેઇન બોર્ડની મોટી કંપનીઓ ઉપરાંત, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (SME) ના શેરો, પાર્શિયલી પેઇડ-અપ શેરો, તેમજ InvITs (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) અને REITs (રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) પર પણ આ નિયમો સમાન રીતે લાગુ પડશે.
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ શું છે?
NSE દ્વારા આ ફેરફાર કરવાનો મુખ્ય હેતુ સેબી (SEBI) દ્વારા ઓગસ્ટમાં ઇક્વિટી કેશ માર્કેટમાં દાખલ કરવામાં આવેલા નવા ‘ક્લોઝિંગ ઓક્શન સેશન’ (CAS) સાથે ઓપનિંગ પ્રાઇસ પ્રક્રિયાનું તાલમેલ બેસાડવાનો છે.
CAS ફ્રેમવર્કનો ઉપયોગ બજાર બંધ થતી વખતે શેરનો સાચો ભાવ શોધવા માટે થાય છે, જેથી ટ્રેડિંગ વધુ પારદર્શક અને કાર્યક્ષમ બને. હવે પ્રી-ઓપન સેશનમાં પણ આ જ પ્રકારની પદ્ધતિ અપનાવવાથી કેશ માર્કેટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટ વચ્ચે વધુ સારું સંતુલન જળવાશે અને ટ્રેડિંગ વોલેટિલિટી (અસ્થિરતા) પર અંકુશ મેળવવામાં મદદ મળશે.
