ખેડૂતોને મગફળીમાં રૂ. 20 હજાર કરોડનું નુકસાન
દિલીપ પટેલ
અમદાવાદ, 6 ઓક્ટોબર 2025
સરકારના અપૂરતા ટેકાથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. એક તો પાછતરો વરસાદ થવાથી મગફળીનું ઉત્પાદન 66 લાખ ટનથી ઘટીને 50 લાખ ટન થઈ શકે છે. વળી ટેકાના ભાવ કરતાં નીચા ભાવે વેપારીઓને માલ વેચવો પડી રહ્યો છે. આ વધું ગણતાં ખેડૂતોને રૂ. 10 હજાર કરોડથી રૂ. 20 હજાર કરોડના નુકસાનીનો ભય ઉભો થયો છે. સરકાર પણ 20 ટકાથી વધારે મગફળી ટેકાના ભાવે ખરીદવાની નથી તેથી વેપારીઓ ખેડૂતોના માલની લૂંટ ચલાવી રહ્યા છે. કુદરતે ફટકો માર્યા પછી ભાજપ સરકારે પણ લપડાક મારી છે. તેથી વેપારીઓ મનમાન્યો ભાવ નક્કી કરીને ખેડૂતોને લૂંટી રહી છે. ટેકાના ભાવ કરતાં નીચા ભાવે માર્કેટિંગ યાર્ડ માલની હરાજી કરી શકે નહીં છતાં ભાજપ સંચાલીત માર્કેટીંગ યાર્ડમાં લૂંટ ચાલી રહી છે. બીજી બાજુ સૌરાષ્ટ્રની તેલ લોબીએ તેલના ભાવ વધારી દઈને ગુજરાતના નાગરિકોની રીતસર લૂંટ ચલાવી છે.
કોણ જવાબદાર
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, કૃષિ પ્રધાન, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, રાજ્ય કૃષિ પ્રધાન બચુ ખાબડ, કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કૃષિ વિભાગના સચિવ અંજુ શર્મા, જવાબદાર હોવા છતાં તેઓ ખેડૂતો માટે કંઈ કરવા તૈયાર નથી. અધૂરામાં પૂરું કરવા માંગતા હોય તેમ ભાજપ સંચાલીત 33 એપીએમસીમાં નીચા ભાવે લૂંટ ચલાવવા દેવામાં આવી રહી છે.
એક દિવસનું વેચાણ
12 ઓગસ્ટ 2025માં ગુજરાતના 19 માર્કેટ યાર્ડમાં કુલ 243.06 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા વેપારીઓએ 1206 રૂપિયાની હરાજી થઈ હતી. પોતાની ચીજનો ભાવ ખેડૂતો નક્કી કરતા નથી, વેપારીઓ નક્કી કરે છે. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1150 રૂ. અને નીચો ભાવ 920 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ડીસામાં 1125 રૂ., જેતપુરમાં 1111 રૂ., તલોદમાં 1100 રૂ., તળાજામાં 1091 રૂ., જૂનાગઢમાં 1010 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
18 હજાર કરોડનું નુકસાન
બજારમાં નીચો ભાવ રૂ. 890થી ઘટીને રૂ. 721 ખેડૂતો વેચી રહ્યા છે. મગફળીનો 100 કિલો – ક્વિન્ટલે રૂ.7263નો ટેકાનો ભાવ છે. 20 કિલોએ 2025-26માં વધીને 1,542 થયો છે. પણ ખેડૂતો પાસેથી અડધા ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. 20 કિલોના કે એક મણના સરેરાશ રૂ. 1 હજાર ગણવામા આવે તો 33 કરોડ મણનો ભાવ રૂ. 33000 કરોડની મગફળી વેચાશે. જે ખરેખર તો ટેકાના ભાવ પ્રમાણે રૂ. 50 હજાર 886 કરોડ રૂપિયા થવા જોઈતા હતા. આમ જો તમામ ખેડૂતો હાલ મગફળી વેચી દે તો તેને રૂ. 17 હજાર 886 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. માનો કે 50 ટકા ખેડૂતો અત્યારે તેની મગફળી વેચી દે તો પણ રૂ. 9 હજાર કરોડનું ભાવફેરનું થાય છે.
બજારમાં ભાવ
ખેડૂતો બજારમાં ટેકાના ભાવ કરતાં નીચા ભાવે વેચવા મજબૂર છે. બજારમાં માલ આવવા લાગતા મગફળીના ભાવમાં 20 કિલોએ રૂ.100થી 150 ઘટાડો થયો છે. રાજકોટ યાર્ડમાં 4 દિવસ પહેલા પ્રતિ મણ મગફળી રૂ. 890થી 1300ના ભાવ ખેડૂતોને મળ્યા હતા. આજે આ ભાવ ઘટીને રૂ. 721થી મહત્તમ રૂ. 1250 સુધી થયા છે. મગફળી સસ્તી થઈ છે.
ઉત્પાદનમાં નુકસાન
ગુજરાતમાં આ વર્ષે 22 લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતર કર્યું હતું. જે અગાઉ ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાં સરેરાશ 17.50 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. મગફળીનો અંદાજે 2025-26માં 66 લાખ ટન (666 કરોડ કિલો)નો મબલખ પાક ઉતરે એવો અંદાજ કૃષિ વિભાગે મૂક્યો છે. જે 33 કરોડ મણ થઈ શકે છે.
પણ છેલ્લા વરસાદના કારણે તે ઘટીને 50 લાખ ટન થવાની ખેડૂતોની ધારણા છે. આમ ખેડૂતોને ઉત્પાદનમાં મોટો ફટકો વડ્યો છે.
સરકાર ફરી ગઈ
સરકાર 19 ટકા મગફળી ટેકાના ભાવે ખરીદવાની છે. મગફળીની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષે અંદાજે 3,50,000 ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં મગફળીના સંગ્રહવાની પૂરતી સગવડ નથી. વધારે વરસાદથી ખેતીમાં કાઢેલી મગફળીના પાથરા સડવા લાગ્યા છે. તે ઉપાડવા માટે મજુરનો ભાવ પણ વધી ગયો છે. ડિઝલની મોંઘવારીથી થ્રેસરના ભાડા પણ વધ્યા છે.
સરકારે તાકીદના ધોરણે નિયમો હળવા કરીને કમસેકમ 20 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાની જરૂર છે. એક ખેડૂત પાસેથી 70 મણ જેટલી મગફળી સરકાર ખરીદવાની છે.
તેલમાં ભાવ વધારો
તેલ લોબીએ રોજના રૂ. 10નો ભાવ વધારો 15 કિલો મગફળીના ડબ્બા પેકિંગમાં કર્યો છે. સતત 4 દિવસ સાથે રૂ. 40નો વધારો કરીને લોકોને લૂંટવાનું શરૂ કર્યું છે. 4 દિવસથી કોઈ દેખીતા પરિબળો વગર ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે. 15 કિલો સિંગતેલના રૂ।. 2250-2300થી વધીને રૂ. 2290-2340 છે.
મગફળનું વાવેતર કેમ વધ્યું
ઊંચા ટેકાના ભાવ અને ટેકાના ભાવે સરકાર દ્વારા થતી ખરીદીને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મગફળીના બજારભાવ પણ ઊંચા રહ્યા છે. તેના કારણે ખેડૂતો માટે મગફળીનો પાક વધારે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે અને તેનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે.
મગફળીની ઉત્પાદકતા એટલે કે પ્રતિ વીઘે ઉતારો પણ એક મહત્ત્વનું પરિબળ બની ગયું છે. નવી સંશોધિત જાતોનાં બિયારણથી ઉત્પાદકતા વધી છે. તેથી ખેડૂતો મગફળી તરફ આકર્ષાઈ રહ્યા છે.
ગિરનાર-4 નામની મગફળીની જાત વધારે વાવે છે. જેમાં ઉત્પાદન વધારે આવે છે.

દેશમાં
ગુજરાતમાં મગફળીના વાવેતર વિસ્તારનો વિક્રમી 21 લાખ હેક્ટર 2020માં વાવેતર થયા હતા.
ભારતમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવા રાજ્યોમાં 70 લાખ હેક્ટરના વાવેતરનો અંદાજ છે. દેશમાં રવી અને ઉનાળુ સિઝનના વાવેતર સહિત મગફળીનો વાવેતર વિસ્તાર છેલ્લા પાંચ વર્ષમાં પચાસ લાખ હેક્ટરથી સાઠ લાખ હેક્ટરની આજુબાજુ રહ્યો છે.
12 વર્ષમાં બે ગણા ટેકાના ભાવ
2013-14માં મગફળીનો ટેકાનો ભાવ 652 રૂપિયા પ્રતિ મણ હતો. 2024-25માં તે 1,356 રૂપિયા હતો. 2025-26માં સરકારે તેમાં 96 રૂપિયાનો વધારો કરતાં તેને 1452 રૂપિયા પ્રતિ મણ છે.
12 વર્ષમાં મગફળીનો ટેકાનો ભાવ બે ગણો થયો છે.
કપાસનો ટેકાનો ભાવ 2013-14માં 802 રૂપિયા હતો તે 2025-26માં વધીને 1,542 થયો છે. એટલે કે કપાસનો ભાવ આ સમયગાળામાં બમણો થયો નથી. તેથી મગફળી વધારે વાવે છે. પણ સરકાર વધારે ખરીદી કરતી નથી.