બનાસકાંઠામાં ભાજપ–કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ
બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ વધુ ઘાટી બની છે. અમીરગઢ તાલુકાના કપાસિયા અને સરોતરા વિસ્તારમાં કેટલાક રસ્તાઓના મજબૂતીકરણ માટે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવાનો હતો. જોકે, તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વહેલી સવારે આ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરી દેતાં વિવાદ ઊભો થયો છે.
મળતી માહિતી મુજબ, મંત્રી પ્રવીણ માળી કપાસિયા મુકામે શિવગીરી બાપૂના ધામ ખાતે ખાતમુહૂર્ત કરવા આવનાર હતા. પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ત્રણ અલગ-અલગ સ્થળે વહેલી સવારે ખાતમુહૂર્ત કરી દીધું, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
ભાજપે અગાઉ કરી હતી જાહેરાત
આ કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. જેમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોને મંત્રીના હસ્તે થનારા ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી હતી.
કોંગ્રેસના ધારાસભ્યની પ્રતિક્રિયા
આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, આ રસ્તાઓ છેલ્લા લગભગ 60 વર્ષથી અસ્તિત્વમાં છે અને માત્ર રિસરફેસિંગનું કામ છે. આવા સામાન્ય અને નિયમિત કામ માટે ખાતમુહૂર્ત કરવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મંત્રી વહેલી સવારે આવવાના હતા તે પહેલાં જ મેં ત્રણ સ્થળે ખાતમુહૂર્ત કરી દીધું છે.
આ સાથે તેમણે આક્ષેપ કર્યો કે, જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોના હિતમાં કામ કરવું જોઈએ. સામાન્ય વિકાસ કાર્યોને રાજકીય પ્રચારનું સાધન બનાવવું યોગ્ય નથી. જો જનતા પર અન્યાય થશે તો લોકો ક્યારેય માફ નહીં કરે, તેમ પણ તેમણે જણાવ્યું.
આ ઘટનાને પગલે બનાસકાંઠામાં ફરી એકવાર રાજકીય ચર્ચા અને ગરમાગરમી જોવા મળી રહી છે.

