ભાડે અપાયેલા સરકારી આવાસો સામે કાર્યવાહી, ભાવનગરમાં વધુ સીલિંગની તૈયારી
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા હમીરજી પાર્ક ખાતે સરકારી આવાસ યોજનાના ગેરવપરાશ સામે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાડે અપાયેલા 46 આવાસોને સીલ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને હલચલ સર્જાઈ હતી. ગરીબ અને આવાસવિહોણા લોકો માટે બનાવાયેલા ઘરોનો વ્યાવસાયિક ઉપયોગ થતો હોવાનું બહાર આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.
સર્વે દરમિયાન ખુલ્લો થયો મોટો ગેરવહીવટ
મહાનગરપાલિકાએ થોડા દિવસો અગાઉ કરેલા વિશેષ સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. કુલ 320 આવાસોમાંથી આશરે 120 આવાસોમાં મૂળ લાભાર્થીઓના બદલે ભાડુઆતો રહેતા હોવાનું સામે આવ્યું હતું. કેટલાક મકાનોમાં તો તાળા લટકતા હોવાનું પણ જોવા મળ્યું હતું. આ આવાસો ગરીબ વર્ગને ઘર આપવા માટે બનાવાયા હોવા છતાં કેટલાક લોકોએ તેને આવકનું સાધન બનાવી દીધું હતું, જે યોજનાના હેતુ સામે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે.
નોટિસ બાદ પણ અવગણના, તેથી સીલની કાર્યવાહી
સર્વે પછી તંત્ર દ્વારા મકાનધારકોને નોટિસ આપી ત્રણ દિવસમાં ભાડુઆતોને ખાલી કરાવવાની તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં અનેક લાભાર્થીઓએ નોટિસને ગંભીરતાથી ન લેતા અંતે સખ્ત પગલું ભરવામાં આવ્યું. 120 ગેરરીતે ભાડે અપાયેલા આવાસોમાંથી 46 આવાસોને સીલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 74 મકાનધારકોએ લેખિતમાં ભાડે મકાન નહીં આપવાની બાહેધરી આપતાં તેમને હાલ રાહત આપવામાં આવી છે.
અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી માટે તંત્ર સજ્જ
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલી બીજી આવાસ યોજનામાં પણ આવી જ ગેરરીતિઓ સામે આવી છે. અહીં કરવામાં આવેલા સર્વેમાં 256 આવાસોમાંથી 104 આવાસોમાં મૂળ લાભાર્થી સિવાય અન્ય લોકો રહેતા હોવાનું જણાયું હતું. તેમને પણ તાત્કાલિક આવાસ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. મહાપાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે આવાસ યોજનાનો દુરુપયોગ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

