હિંમતનગરમાં જનવિરોધે ફેરવ્યો સરકારનો નિર્ણય, 11 ગામોને HUDAમાંથી બહાર કરવાનો પત્ર જારી
ગુજરાત સરકાર દ્વારા હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે સત્તાવાર પત્ર મારફતે HUDAમાંથી હિંમતનગર આસપાસના 11 ગામોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ આ સત્તામંડળની રચનાને લઈને વ્યાપક વિરોધ નોંધાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થયેલી બેઠક બાદ HUDAને સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ શહેરી વિકાસ વિભાગે આ નિર્ણય પર સત્તાવાર અમલ કર્યો છે.
HUDAના ડ્રાફ્ટ પ્લાન બાદ ઊભો થયો વિરોધનો વંટોળ
હિંમતનગરમાં શહેરી વિકાસ સત્તામંડળનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં જ સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો હતો. ખાસ કરીને તેમાં સમાવિષ્ટ 11 ગામોના રહેવાસીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ શરૂ થયો હતો. ગામલોકોએ હુડા રદ કરવાની માંગ સાથે બેઠકો અને ચર્ચાઓ યોજી હતી. આ વિરોધને વધુ સુવ્યવસ્થિત બનાવવા સરપંચો અને આગેવાનો દ્વારા એક સંયુક્ત સમિતિ રચવામાં આવી હતી. આગામી સમયમાં આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.
ડ્રાફ્ટ પ્લાનમાં 11 ગામોના સમાવેશથી વધી નારાજગી
રાજ્ય સરકારે હિંમતનગર શહેર માટે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી લાગુ કરી હતી. તંત્ર દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ પ્લાનમાં આસપાસના કુલ 11 ગામોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ નિર્ણયને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિકોનું માનવું હતું કે આ યોજના તેમના હિતોને નુકસાન પહોંચાડશે. જેના પગલે ગામ સ્તરે વિરોધ શરૂ કરીને તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
2015 જેવી સ્થિતિ ફરી સર્જાતા સરકાર પર દબાણ વધ્યું
હિંમતનગરમાં વર્ષ 2015માં પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ 11 ગામોના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધને પગલે તે સમયની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે HUDAને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હવે ફરી એકવાર એ જ પરિસ્થિતિ સર્જાતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતો અને ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આ યોજના સ્વીકારવા તૈયાર નથી.
જમીન કપાતના મુદ્દે ખેડૂતોમાં ભારે ચિંતા
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર HUDAના ડ્રાફ્ટ પ્લાનમાં લગભગ 40 ટકા જમીન કપાત થવાની જોગવાઈ દર્શાવવામાં આવી હતી. આ કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી હતી. નિયમો મુજબ જમીન સંપાદન ન થવાનું કહેવામાં આવતું હોવા છતાં પ્લાનમાં દર્શાવાયેલી જોગવાઈઓએ શંકા ઉભી કરી હતી. આ મુદ્દે ખેડૂતો દ્વારા અરજીઓ આપીને કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
35 હજાર ખેડૂત ખાતેદારોની જમીનનો મુદ્દો કેન્દ્રમાં
આ શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ 11 ગામોની અંદાજે 9 હજાર સર્વે નંબરની જમીન આવતી હતી. કુલ મળીને આશરે 20 હજાર એકર જમીન અને 35 હજાર જેટલા ખેડૂત ખાતેદારોની મિલકતોનો સમાવેશ થતો હતો. આ વિશાળ વ્યાપને કારણે વિરોધ વધુ તીવ્ર બન્યો હતો. બીજી તરફ સત્તામંડળના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે કોઈની જમીન કબજે લેવામાં નહીં આવે. રિંગ રોડ સહિત ઉપયોગમાં લેવાતી જમીન બદલ સમકક્ષ ફાઈનલ પ્લોટ આપવાની જોગવાઈ હોવાનું પણ જણાવાયું હતું.

