સેકટર ૨૪ અને ૨૮માં પાણીની લાઈન ભંગાણથી બીમારી, કેન્દ્રિય મંત્રીએ આપ્યા કડક આદેશ
ગાંધીનગર શહેરના સેકટર ૨૪, ૨૮ તેમજ આદિવાડા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી પુરવઠો દૂષિત થયો હતો. તેના કારણે બાળકો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ટાઈફોઈડની ઝપેટમાં આવ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ સમસ્યાએ શહેરના વહીવટી તંત્રને ચિંતામાં મુકી દીધું છે. આરોગ્યને અસર કરતી આ પરિસ્થિતિને લઈ તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.
સાંસદ અમિત શાહે તંત્રને કડક સૂચનાઓ આપી
પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઈ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સતર્ક બન્યા છે. તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી હતી. હાલની સ્થિતિ, સંક્રમણની વ્યાપકતા અને લેવામાં આવેલા પગલાં અંગે વિગત મેળવી હતી. તેમણે તંત્રને કોઈ પણ પ્રકારની ઢીલાશ ન રાખવા સ્પષ્ટ આદેશ આપ્યા છે.
આરોગ્ય સેવાઓ મજબૂત કરવાની સૂચના
કેન્દ્રીય ગૃહમંત્રીએ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ ઝડપી અને યોગ્ય સારવાર મળે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધતા દર્દીઓને ધ્યાનમાં રાખી વધારાની સુવિધાઓ ઊભી કરવા જણાવાયું છે. સાથે જ દર્દીઓના પરિવારજનોને કોઈ અસુવિધા ન થાય તે માટે વ્યવસ્થાઓ મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે.
પાઈપલાઈન સમારકામ અને નિવારક કાર્યવાહી
દૂષિત પાણીનું મૂળ કારણ બનેલી પાઈપલાઈન લીકેજ બાબતે અમિતભાઈ શાહે કડક વલણ દાખવ્યું છે. સેકટર ૨૪, ૨૮ અને આદિવાડા વિસ્તારમાં તાત્કાલિક સમારકામ કરવા આદેશ અપાયા છે. આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ પાઈપલાઈનની સઘન તપાસ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. પાણીના નમૂનાઓનું સતત પરીક્ષણ કરીને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવા તંત્રને જણાવાયું છે.

