પીએમ સ્વનિધિ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ બદલ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સન્માન
રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત GNLU ખાતે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં “સ્વનિધિ સમારોહ-૨૦૨૬” અને એવોર્ડ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીએ લાભાર્થીઓને લોન સહાયના ચેક અને ક્રેડિટ કાર્ડના મંજૂરી પત્રો પણ એનાયત કર્યા હતા.
એવોર્ડ્સની યાદી: કયા શહેરને કયો ક્રમ મળ્યો?
રાજ્યમાં પીએમ સ્વનિધિ યોજનાના સફળ અમલીકરણ માટે વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા:
-
મેગા સિટી કેટેગરી: અમદાવાદ મહાનગરપાલિકા (પ્રથમ), સુરત મહાનગરપાલિકા (દ્વિતીય).
-
મેજર સિટી કેટેગરી: ભાવનગર (પ્રથમ), જામનગર (દ્વિતીય), અને જૂનાગઢ (તૃતીય).
-
નગરપાલિકા કેટેગરી: હિંમતનગર (પ્રથમ), મહુવા (દ્વિતીય), અને પેટલાદ (તૃતીય).
-
સ્વનિધિ સમૃદ્ધિ અભિયાન (ન.પા.): બારડોલી (પ્રથમ), પાલીતાણા (દ્વિતીય), અને વિસાવદર (તૃતીય).
ઉપરાંત, શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઊંઝા, ડાકોર, હાલોલ અને બોરસદ સહિતની સંસ્થાઓને પણ બિરદાવવામાં આવી હતી.
‘આત્મનિર્ભર સખી’ લોગો અને નવી વેબસાઈટનું લોન્ચિંગ
મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે મંત્રીએ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા બનાવવામાં આવતી ચીજવસ્તુઓના પ્રમોશન માટે “સર્જનથી સમૃદ્ધિ સુધી – આત્મનિર્ભર સખી” લોગોનું અનાવરણ કર્યું હતું. આ સાથે ગુજરાત શહેરી આજીવિકા મિશનની નવીન વેબસાઈટ પણ ખુલ્લી મૂકવામાં આવી હતી.
૨૦૨૫: શહેરી વિકાસ વર્ષ અને ૨૦૩૦ સુધીની સુરક્ષા
મંત્રી કનુભાઈ દેસાઈએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડના સમયમાં નાના ફેરિયાઓ માટે શરૂ કરેલી આ યોજના હવે વર્ષ ૨૦૩૦ સુધી લંબાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરીને શહેરોના આંતરમાળખા માટે મોટું બજેટ ફાળવ્યું છે. ગુજરાત આજે ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પણ દેશમાં મોખરે છે.
અગ્ર સચિવ એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શહેરી નાગરિકોની સુખાકારી માટે કટિબદ્ધ છે અને નગરપાલિકાના કર્મચારીઓની મહેનતથી જ આજે છેવાડાના વેન્ડર્સ સુધી આર્થિક સહાય પહોંચી રહી છે.

