૫૦ દેશોના ૧૩૫ પતંગવીરો સાથે જર્મનીના ચાન્સેલર પણ ગુજરાતના ઉત્સવમાં આપશે હાજરી
અમદાવાદના આકાશમાં ફરી એકવાર રંગબેરંગી પતંગોની આતશબાજી જોવા મળશે. આગામી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ ગૌરવશાળી પ્રસંગે જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહી ઉત્સવની શોભા વધારશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ મહોત્સવને વૈશ્વિક સ્તરે યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ વર્ષે પતંગ મહોત્સવમાં વિશ્વના ૫૦ દેશોના ૧૩૫ જેટલા કુશળ પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત ભારતના ૧૩ રાજ્યો અને ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં પતંગવીરો સહભાગી થવાના છે. કુલ મળીને ૧૦૦૦થી વધુ પતંગબાજો જ્યારે રિવરફ્રન્ટ પર એકઠા થશે ત્યારે આકાશમાં વિવિધ આકાર અને કદના અનોખા પતંગો આકર્ષણનું કેન્દ્ર બનશે. ૧૨ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ચાલનારા આ મહોત્સવમાં રાત્રિ દરમિયાન પણ પતંગ ઉડાડવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
સ્થાપત્ય અને સંસ્કૃતિનો અનોખો સંગમ
અમદાવાદની વિરાસતને ઉજાગર કરવા માટે મહોત્સવના સ્થળે હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવશે. મુલાકાતીઓ માટે પતંગ મ્યુઝિયમ અને આકર્ષક ફોટો વોલ જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે જે પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિનો પરિચય કરાવશે. મનોરંજનના ભાગરૂપે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે પોતાની રજૂઆતથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.
સ્થાનિક રોજગારી અને પ્રવાસનને પ્રોત્સાહન
મહોત્સવના સ્થળે ૨૫ જેટલા હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવશે જે સ્થાનિક કારીગરો અને ખાનપાનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે. ગુજરાત ટૂરિઝમ વિભાગના અંદાજ મુજબ આ વર્ષે મુલાકાતીઓની સંખ્યા પાંચ લાખને વટાવી શકે છે. ગયા વર્ષે પણ લાખો પ્રવાસીઓએ આ ઉત્સવનો લાભ લીધો હતો જેના કારણે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી રહી છે.
રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ ઉત્સવની લહેર
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત ન રહેતા રાજ્યના અન્ય મહત્વના પ્રવાસન સ્થળોએ પણ યોજાશે. તા ૧૦ જાન્યુઆરીએ રાજકોટ, સુરત અને ધોળાવીરામાં આયોજન કરાયું છે જ્યારે ૧૧ જાન્યુઆરીએ વડનગર, શિવરાજપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગબાજો ઉડાન ભરશે. વડોદરામાં ૧૩ જાન્યુઆરીએ આ મહોત્સવનું આયોજન થશે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસનને રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવાનો છે.

