રમત, કલા અને સંગીતથી શિક્ષણ: ‘જાદુઈ પીટારા’થી બાળવાટિકામાં નવી દિશા
આજના આધુનિક યુગમાં બાળકો પુસ્તકોના બોજ નીચે ન દબાય અને રમત-ગમત સાથે પાયાનું શિક્ષણ મેળવે તે હેતુથી ગુજરાત સરકારે ‘જાદુઈ પીટારા’ની ભેટ આપી છે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ ના ૧૨.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને આ કીટનો સીધો લાભ મળશે. નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP-2020) ને ધ્યાને રાખીને ટોય બેઝ પેડાગોજી (રમકડાં આધારિત શિક્ષણ) અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
શું છે આ ‘જાદુઈ પીટારા’માં?
આ જાદુઈ પીટારા કોઈ સામાન્ય પેટી નથી, પરંતુ જ્ઞાનનો ખજાનો છે. જેમાં ૩૦ થી વધુ પ્રકારની વિવિધ સામગ્રીઓ સામેલ કરવામાં આવી છે:
-
સંગીત અને કલા: નાના સંગીતના સાધનો અને કલા પ્રવૃત્તિના સાધનો.
-
શૈક્ષણિક રમકડાં: પઝલ, મણકા, પપેટ્સ (કઠપૂતળી) અને રસોડા સેટ.
-
પ્રવૃત્તિ કાર્ડ્સ: રમત, પ્રોજેક્ટ અને સહપાઠી શિક્ષણ માટેની માર્ગદર્શિકા.
-
મૂલ્યાંકન સાધનો: બાળકોની શીખવાની ક્ષમતા ચકાસવા માટેના નવાચાર સાધનો.
‘જ્ઞાન સાથે ગમ્મત’ અને સર્વાંગી વિકાસ
શિક્ષણ વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવતા આ ૭૪ હજારથી વધુ જાદુઈ પીટારા દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા, તર્કશક્તિ અને સામાજિક કૌશલ્યોનો વિકાસ થશે. બાળકોને ગોખણિયા શિક્ષણમાંથી મુક્તિ આપીને પ્રવૃત્તિલક્ષી વાતાવરણ પૂરું પાડવા માટે શિક્ષકોને પણ ખાસ તાલીમ અને માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટથી પાયાના શિક્ષણમાં ક્રાંતિકારી બદલાવ આવશે અને બાળકો માટે શાળા એક આનંદદાયી સ્થળ બની રહેશે.
શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકારનું વિઝન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની આગેવાનીમાં આ અભિયાનને વેગ મળ્યો છે. અગાઉ શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો બાદ હવે ‘નિપુણ ભારત મિશન’ હેઠળ ગુજરાત પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન માટે મજબૂત પાયો નાખી રહ્યું છે. આ જાદુઈ પીટારા આજના ભૂલકાઓને આવતીકાલના સક્ષમ નાગરિકો બનાવવા માટેનું એક મહત્વનું પગથિયું સાબિત થશે.

