રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવનાર સાયલા તાલુકાને આદર્શ બનાવવા ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’માં સંકલ્પ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આવેલા આશીર્વાદ વિકલાંગ ગૃહમાં જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિકની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’નો ગરિમાપૂર્ણ શુભારંભ કરવામાં આવ્યો હતો. અગાઉના અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવી ગૌરવ વધારનાર સાયલા તાલુકાને હવે આકાંક્ષી બ્લોક (ABP)ની શ્રેણીમાંથી બહાર લાવી એક મોડેલ તાલુકો બનાવવા માટે કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને કટિબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.
આરોગ્ય અને કુપોષણ મુક્તિ પર વિશેષ ભાર
કલેક્ટરશ્રીએ ખાસ કરીને ICDS વિભાગના મુખ્ય ઇન્ડિકેટરો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. આંગણવાડીમાં બાળકોના વજન અને ઊંચાઈના માપનમાં ચોકસાઈ રાખવા અને કુપોષણ નિવારવા માટે ‘માતૃત્વના ભાવ’ સાથે કામ કરવા સૂચના આપી હતી. કુપોષિત બાળકો માટે સાયલા તાલુકા વિકાસ અધિકારી દ્વારા શરૂ કરાયેલી ‘સરગવાની ચોકલેટ’ આપવાની પ્રોએક્ટિવ કામગીરીની તેમણે વિશેષ સરાહના કરી હતી.
શિક્ષણ અને માળખાકીય સુવિધાઓની પ્રાથમિકતા
શિક્ષણ ક્ષેત્રે કલેક્ટરશ્રીએ મહત્વની સૂચનાઓ આપતા જણાવ્યું હતું કે:
-
ડ્રોપઆઉટ રેશિયો: ધોરણ ૮ માંથી ૯ માં પ્રવેશતા કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની શિક્ષકોએ કાળજી લેવી.
-
શાળા સુવિધા: દરેક શાળામાં કુમાર અને કન્યાઓ માટે અલગ અને સ્વચ્છ શૌચાલયની સુવિધા સુનિશ્ચિત કરવી.
-
હિમોગ્લોબિન ટેસ્ટિંગ: ૧૮ વર્ષથી નીચેના તમામ બાળકો અને કિશોરીઓનું ચેકઅપ કરી જરૂરિયાત મુજબ આઈએફએની ગોળીઓ આપવી.
પશુપાલન અને જનભાગીદારી
પશુપાલન ક્ષેત્રે ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોનો સક્રિય સહયોગ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નીતિ આયોગના ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ હેઠળ ગુજરાતના ૧૩ તાલુકાઓમાં સાયલાનો સમાવેશ થયેલો છે, જેને સર્વાંગી વિકાસ દ્વારા મુખ્ય પ્રવાહમાં લાવવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
