પ્રવાસની વિગતો અને હોસ્પિટલનું સરનામું આપવું પડશે: સુપ્રીમ કોર્ટે અભિષેક બેનર્જી સામે મૂકી કડક શરતો
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અને લોકસભા સાંસદ અભિષેક બેનર્જીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમને આંખની સારવાર કરાવવા માટે સપ્ટેમ્બર મહિના દરમિયાન ત્રણ અઠવાડિયા માટે વિદેશ જવાની પરવાનગી આપી દીધી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કેટલીક કડક અને મહત્વપૂર્ણ શરતોને આધીન આ મંજૂરી આપી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વિદેશમાં પોતાની પસંદગીના સ્થળે યોગ્ય સારવાર મેળવવી એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, અભિષેક બેનર્જી આ પ્રવાસ માટે માત્ર પોતાના રાજદ્વારી પાસપોર્ટ (Diplomatic Passport) નો જ ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત, તેમણે પ્રવાસ પર જતાં પહેલાં તપાસ એજન્સીઓને પોતાનો સંપૂર્ણ પ્રવાસ કાર્યક્રમ, વિદેશમાં રોકાણનું ચોક્કસ સરનામું, સારવાર કરનાર ડૉક્ટર્સ અને હોસ્પિટલની વિગતો, રોકાણનો સમયગાળો તેમજ ફ્લાઈટની તમામ માહિતી આપવી ફરજિયાત રહેશે. અદાલતે આ તપાસ એજન્સીઓને નિર્દેશ આપ્યો છે કે બેનર્જી દ્વારા પૂરી પાડવામાં આવેલી તમામ અંગત અને તબીબી માહિતી સંપૂર્ણપણે ગોપનીય રાખવાની રહેશે.

કેમ મૂકવામાં આવ્યો હતો મુસાફરી પર પ્રતિબંધ?
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણો આપવા અંગેના એક ફોજદારી કેસની સુનાવણી કરતી વખતે કોલકાતા હાઈકોર્ટે અભિષેક બેનર્જીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. મે મહિનામાં હાઈકોર્ટે તેમને ધરપકડ સામે રક્ષણ આપતાં તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હાઈકોર્ટની આગોતરી મંજૂરી વિના દેશ છોડીને વિદેશ જઈ શકશે નહીં.

આ બાદ જૂન મહિનામાં અભિષેક બેનર્જીએ પોતાની આંખની સારવાર માટે વિદેશ જવાની પરવાનગી માંગતી અરજી કોલકાતા હાઈકોર્ટમાં દાખલ કરી હતી. હાઈકોર્ટે શરૂઆતમાં તેમને કોલકાતાની સરકારી SSKM હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે જો ત્યાંના ડૉક્ટર્સ વિદેશમાં સારવારની ભલામણ કરશે તો જ તેઓ અરજી પર વિચાર કરશે. બાદમાં હાઈકોર્ટે તેમની વિદેશ જવાની અરજી ફગાવી દીધી હતી.
હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો
હાઈકોર્ટના આ નિર્ણય સામે અભિષેક બેનર્જીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બેન્ચે અવલોકન કર્યું હતું કે વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબના સ્થળે અને યોગ્ય તબીબી નિષ્ણાતો પાસે સારવાર કરાવવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના આદેશમાં સુધારો કરીને ટીએમસી સાંસદને સપ્ટેમ્બરમાં ત્રણ અઠવાડિયા માટે વિદેશ જવાની લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી અભિષેક બેનર્જી માટે વિદેશમાં જરૂરી તબીબી સારવાર મેળવવાનો રસ્તો હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે.