AFG vs SL: મધ્ય પૂર્વમાં તણાવને કારણે અફઘાનિસ્તાન-શ્રીલંકા સિરીઝ અનિશ્ચિતકાળ માટે સ્થગિત
ટી20 વર્લ્ડ કપ 2026ની સમાપ્તિ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી એકવાર દ્વિપક્ષીય શ્રેણીઓનો ધમધમાટ શરૂ થયો છે. જોકે, ક્રિકેટ ચાહકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વ માં પ્રવર્તતા વર્તમાન તણાવ અને અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી લિમિટેડ ઓવર્સની સિરીઝને અનિશ્ચિતકાળ માટે ટાળી દેવામાં આવી છે.
યુએઈમાં રમાવાનો હતો મુકાબલો
અગાઉ જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 13 થી 25 માર્ચ દરમિયાન યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચોની શ્રેણી રમાવાની હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ સુરક્ષા અને વ્યવસ્થાપનના કારણોસર હવે આ મેચો હાલ પૂરતી રદ કરવામાં આવી છે.
વૈકલ્પિક આયોજનમાં પડી મુશ્કેલી
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ નસીબ ખાને ‘ક્રિકબઝ’ સાથેની વાતચીતમાં આ નિર્ણયની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે મધ્ય પૂર્વની સ્થિતિને જોતા આ વ્હાઇટ-બોલ સિરીઝને પોસ્ટપોન કરી છે. અમે આ મેચો શ્રીલંકામાં આયોજિત કરવા માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સાથે સતત સંપર્કમાં હતા અને અન્ય વિકલ્પો પણ તપાસ્યા હતા. જોકે, ટૂંકા સમયમાં UAE થી શ્રીલંકા માટે ફ્લાઈટ્સની ઉપલબ્ધતા, હોટેલ બુકિંગ, ગ્રાઉન્ડ અને સિક્યોરિટીની વ્યવસ્થા કરવી અત્યંત પડકારજનક હતી. આથી, અંતે અમે સિરીઝ ટાળવાનો નિર્ણય લીધો છે.”
વર્ષના અંતમાં રમાઈ શકે છે શ્રેણી
ACB ના જણાવ્યા અનુસાર, હવે આ શ્રેણી આ વર્ષના અંતમાં યોજવાની યોજના બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ આગામી શ્રેણી માટે અફઘાનિસ્તાને રાશિદ ખાનની જગ્યાએ ઇબ્રાહિમ ઝાદરાનને નવા ટી20 કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા, જેમના નેતૃત્વમાં ટીમ પ્રથમ વખત મેદાનમાં ઉતરવાની હતી.

