આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સિનિયર અને જુનિયર ભાઈઓ-બહેનો માટે મેડિકલ ચેકઅપ, તાલીમ અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ
જૂનાગઢના ગિરિરાજ ગિરનાર પર ૧૮મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૬નું ભવ્ય આયોજન ૧ ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યું છે. ભારતભરના ૧૨ રાજ્યોમાંથી પસંદ થયેલા ૫૪૧ જેટલા સાહસિક યુવક-યુવતીઓ આ સ્પર્ધામાં ગિરનારના પગથિયાં ખૂંદી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. ગુજરાત રાજ્યના રમત-ગમત વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આંતરરાજ્ય સ્પર્ધા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
સ્પર્ધાની મુખ્ય વિગતો અને કેટેગરી નીચે મુજબ છે:
-
ભાઈઓ (સિનિયર અને જુનિયર): ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી કુલ ૫૫૦૦ પગથિયાંનું આરોહણ-અવરોહણ.
-
બહેનો (સિનિયર અને જુનિયર): ભવનાથ તળેટીથી માળી પરબ સુધી કુલ ૨૨૦૦ પગથિયાંનું આરોહણ-અવરોહણ.
-
સહભાગીઓ: સિનિયર ભાઈઓ ૧૯૬, જુનિયર ભાઈઓ ૧૩૪, સિનિયર બહેનો ૧૨૦ અને જુનિયર બહેનો ૯૧ એમ કુલ ૫૪૧ ખેલાડીઓ.
આ વર્ષે હૃદયરોગના વધતા કિસ્સાઓને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. તમામ સ્પર્ધકોનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. વધુમાં, ૩૧ જાન્યુઆરીના રોજ સાંજે ૫:૦૦ કલાકે તમામ ખેલાડીઓ, વ્યાયામ શિક્ષકો અને વ્યવસ્થાપકોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સી.પી.આર. (CPR) ની તાલીમ આપવામાં આવશે, જેથી કટોકટીના સમયે ત્વરિત તબીબી મદદ મળી રહે.
સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે વિજેતાઓને મેડલ, ટ્રોફી અને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા રહેવા, જમવા અને મેડિકલ સારવારની સગવડતા પૂરી પાડવા માટે ૮ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. સ્પર્ધકોનું રિપોર્ટિંગ ૩૦ જાન્યુઆરીના રોજ સનાતન ધર્મશાળા, ભવનાથ ખાતે શરૂ કરી દેવામાં આવ્યું છે.
