CAPF વિરુદ્ધ IPS: અમિત શાહ આજે રાજ્યસભામાં રજૂ કરશે ઐતિહાસિક બિલ, જાણો શું બદલાશે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં ‘કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સામાન્ય વહીવટ) વિધેયક, 2026’ રજૂ કરવા જઈ રહ્યા છે. આ બિલ લાંબા સમયથી ચાલી રહેલા ‘કેડર ઓફિસર્સ વિરુદ્ધ IPS’ વિવાદને ઉકેલવા અને અર્ધલશ્કરી દળોના વહીવટમાં એકરૂપતા લાવવાના હેતુથી લાવવામાં આવ્યું છે. મે 2025માં સુપ્રીમ કોર્ટે આપેલા સીમાચિહ્નરૂપ ચુકાદા બાદ સરકાર દ્વારા આ કાયદાકીય પગલું ભરવામાં આવ્યું છે.
શું છે આ વિવાદનું મુખ્ય કારણ?
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) જેવા કે BSF, CRPF, ITBP અને CISFમાં બે પ્રકારના અધિકારીઓ સેવા આપે છે. પ્રથમ, કેડર અધિકારીઓ જેઓ UPSC દ્વારા સીધા આ દળોમાં ભરતી થાય છે. બીજા, IPS અધિકારીઓ જેઓ પ્રતિનિયુક્તિ (Deputation) પર રાજ્ય કેડરમાંથી અહીં આવે છે.
લાંબા સમયથી કેડર અધિકારીઓનો આરોપ છે કે ઉચ્ચ પદો પર IPS અધિકારીઓના વર્ચસ્વને કારણે તેમની બઢતી (Promotion) અટકી જાય છે. સુપ્રીમ કોર્ટે પણ નોંધ્યું હતું કે ઉચ્ચ હોદ્દાઓ પર બહારની નિમણૂકોને કારણે CAPF અધિકારીઓના મનોબળ પર અસર પડે છે. આ બાબતે કેટલાક નિવૃત્ત અધિકારીઓએ કોર્ટના આદેશનું પાલન ન થવા બદલ અવમાનના અરજી પણ દાખલ કરી છે.
નવા બિલમાં કઈ મુખ્ય જોગવાઈઓ છે?
આ વિધેયકનો મુખ્ય હેતુ તમામ અર્ધલશ્કરી દળો માટે એક સમાન કાયદો બનાવવાનો છે. હાલમાં CRPF, BSF અને ITBP જેવા દળો અલગ-અલગ નિયમો હેઠળ ચાલે છે. પ્રસ્તાવિત બિલ મુજબ:
- IG સ્તરના પદો: 50% જગ્યાઓ IPS અધિકારીઓ દ્વારા ભરવાનો પ્રસ્તાવ છે.
- ADG સ્તરના પદો: ઓછામાં ઓછી 67% જગ્યાઓ IPS અધિકારીઓ માટે અનામત રાખવામાં આવશે.
- SDG અને DG સ્તર: આ સર્વોચ્ચ પદો સંપૂર્ણપણે પ્રતિનિયુક્તિ (Deputation) દ્વારા જ ભરવામાં આવશે.
આ કાયદાથી શું પરિવર્તન આવશે?
સરકારનું માનવું છે કે આ બિલ પસાર થયા પછી વહીવટી જટિલતાઓ અને વારંવાર થતી કોર્ટબાજીમાં ઘટાડો થશે. સરકારનો તર્ક છે કે IPS અધિકારીઓની હાજરીથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારું સંકલન જળવાય છે, જે આંતરિક સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. જોકે, આ બિલથી કેડર અધિકારીઓની બઢતીમાં કેટલી રાહત મળશે તે જોવું રહ્યું.
આ કાયદો અમલી બનતા જ BSF, CRPF, ITBP, CISF અને SSB જેવા તમામ દળો એક વહીવટી માળખા હેઠળ આવી જશે, જેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે.

