લાઠીથી પાલનપુર સુધી નંદનવન સર્જન: AMRUT 2.0થી ગુજરાતના શહેરી વિસ્તારોમાં ગ્રીન સ્પેસનો વિકાસ
ભારતના શહેરોને જળ સુરક્ષિત અને પર્યાવરણની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવવાના વિઝન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ‘અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન ૨.૦’ (AMRUT 2.0) ની શરૂઆત કરી હતી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પાણી પુરવઠાની સુવિધા સુધારવાનો જ નથી, પરંતુ શહેરી વિસ્તારોમાં ‘ગ્રીન સ્પેસ’ એટલે કે બાગ-બગીચાઓ વિકસાવીને નાગરિકોને શુદ્ધ હવા અને મનોરંજનના સ્થળો પૂરા પાડવાનો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના અત્યંત અસરકારક રીતે અમલમાં મૂકાઈ રહી છે, જેના ભાગરૂપે રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં ઉજ્જડ થયેલા બગીચાઓને નવું જીવન મળી રહ્યું છે.
લાઠીમાં ભવાની ગાર્ડનનું નવસર્જન: ૧.૨૬ કરોડના ખર્ચે કાયાપલટ
અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકામાં આવેલું ભવાની ગાર્ડન એક સમયે બિનઉપયોગી અને બંજર હાલતમાં હતું. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે આશરે ૧૦,૯૩૬ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલા આ બગીચાને પુનઃવિકસિત કરવા માટે રૂ. ૧.૨૬ કરોડનો ખર્ચ કર્યો છે. આજે આ બગીચો સ્થાનિકો માટે એક નંદનવન સમાન બની ગયો છે. બગીચાના મૂળ વૃક્ષોને સાચવી રાખીને નવા દેશી પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે સ્થાનિક પક્ષીઓ માટે રહેઠાણ પૂરું પાડે છે. બગીચાની મધ્યમાં સફેદ અશ્વોનું આકર્ષક ફાઉન્ટેન અને બાળકો માટે પ્લે-એરિયા, ઓપન જિમ, યોગ કેન્દ્ર તેમજ નોલેજ સેન્ટર જેવી સુવિધાઓએ આ સ્થળને લોકપ્રિય બનાવ્યું છે.
પાલનપુરમાં કૈલાસવાટિકા: ૨.૨૫ કરોડના ખર્ચે ભવ્ય પુનઃવિકાસ
બનાસકાંઠાના પાલનપુર શહેરમાં પણ અમૃત ૨.૦ યોજનાની સફળતા જોવા મળી રહી છે. અહીં ૧૦,૦૦૦ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલી કૈલાસવાટિકાનો રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવ્યો છે. આધુનિક ગઝેબો, બેઠક વ્યવસ્થા અને દિવ્યાંગો માટેની ખાસ સુવિધાઓ સાથેનો આ બગીચો પાલનપુરના નાગરિકો માટે તાજગી મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ સાબિત થયો છે. શહેરી વિસ્તારોમાં વધી રહેલા કોંક્રિટના જંગલો વચ્ચે આવા ગ્રીન ઝોન હવાની ગુણવત્તા સુધારવા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
રાજ્યવ્યાપી લક્ષ્યાંક અને પર્યાવરણીય ફાયદા
ગુજરાત સરકાર દ્વારા અમૃત ૨.૦ અંતર્ગત રાજ્યભરની નગરપાલિકાઓમાં કુલ રૂ. ૧૧૭.૫૬ કરોડના ખર્ચે ૧૩૧ બગીચાઓ બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. જેમાંથી ૭૦ બગીચાઓનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને બાકીના ૬૧ બગીચાઓ પર કામગીરી પ્રગતિમાં છે. આ ગ્રીન સ્પેસ પ્રોજેક્ટ્સમાં સ્થાનિક વનસ્પતિનો ઉપયોગ થતો હોવાથી જાળવણીનો ખર્ચ ઓછો આવે છે અને ઓછાં પાણીમાં વધુ હરિયાળી મેળવી શકાય છે. આ પહેલથી શહેરી જીવનમાં ટકાઉપણું, શારીરિક સુખાકારી અને ઇકોલોજીકલ મજબૂતીમાં નોંધપાત્ર વધારો થયો છે.

