કનેક્ટ ગુજરાત અંતર્ગત યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવા સોશિયલ મીડિયા ઉપયોગની સૂચના
આણંદ સર્કિટ હાઉસ ખાતે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને ધારાસભ્યશ્રીઓએ રજૂ કરેલા લોકપ્રશ્નો પર તાત્કાલિક કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ સાથે વિવિધ કચેરીઓમાં કર્મચારીઓના બાકી પેન્શન કેસ વહેલી તકે પૂર્ણ કરવા અને વિભાગોને એકબીજાના સંકલનમાં રહી કાર્ય કરવા જણાવાયું હતું.
સરકારી કર્મચારીઓ માટે વિશેષ પહેલ: ફેબ્રુઆરી-માર્ચમાં ‘સેવા સેતુ’
સામાન્ય નાગરિકોની જેમ હવે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના સર્વિસ રિલેટેડ પ્રશ્નોના નિકાલ માટે આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વિશેષ ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજવામાં આવશે. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના પડતર પ્રશ્નોને કાયદાની મર્યાદામાં રહીને હલ કરવામાં આવશે. આ ઉપરાંત, વીજળીની બચત માટે કચેરી છોડતી વખતે વીજ ઉપકરણો અચૂક બંધ રાખવાની કડક સૂચના પણ આપવામાં આવી હતી.
પ્રાકૃતિક ખેતી અને મિશન લાઈફ પર ભાર
કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે અધિકારીઓને અનોખો અનુરોધ કર્યો હતો. બોરસદ ચોકડી પાસેના એટીક સેન્ટર ખાતે દર મંગળવારે બપોરે ૩ થી ૬ દરમિયાન વેચાતા પ્રાકૃતિક શાકભાજી અને અનાજની ખરીદી કરવા તેમણે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, શાળાઓમાં ‘મિશન લાઈફ’ ક્લબ બનાવી પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ વધારવા અને ‘કનેક્ટ ગુજરાત’ અંતર્ગત સોશિયલ મીડિયા દ્વારા સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા નિર્દેશ આપ્યા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

