મનપાની જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા કાર્યવાહી: ૫૪૨૮ ચોરસ મીટર ઓપન સ્પેસ ફરી ખુલ્લો
આણંદ મહાનગરપાલિકાના કમિશનરના આદેશ અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આણંદ રેલવે સ્ટેશનની બિલકુલ સામે આવેલા રાજા રણછોડરાય માર્કેટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન માર્કેટમાં ઊભી કરી દેવાયેલી અંદાજે 86 જેટલી ગેરકાયદેસર દુકાનોને તોડી પાડીને જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
કરોડોની કિંમતનો 5,428 ચોરસ મીટરનો પ્લોટ દબાણમુક્ત થયો
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આણંદ જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચે આવેલી ટી.પી. સ્કીમ નંબર 01 ના વિવિધ પ્લોટ પર કામગીરી હાથ ધરી હતી. જેમાં ફાઇનલ પ્લોટ નં. 269, 270 અને 271 માં ફેલાયેલા કાચા-પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. કુલ મળીને અંદાજે 5,428 ચોરસ મીટર જેટલી રસ્તાવાળી અને ‘ઓપન સ્પેસ’ના હેતુ માટે ફાળવાયેલી મનપાની માલિકીની જમીન હવે સંપૂર્ણપણે દબાણમુક્ત બની છે. આ જમીન શહેરના મુખ્ય માર્ગ પર હોવાથી તેની વ્યાપારી કિંમત ખૂબ જ ઊંચી હોવાનું માનવામાં આવે છે.
મનપાની જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામો સામે ઝુંબેશ ચાલુ રહેશે
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટરે આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, સરકારી જમીન કે મનપાની માલિકીના પ્લોટ પર કરવામાં આવેલા કોઈપણ પ્રકારના દબાણો ચલાવી લેવામાં આવશે નહીં. કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ગેરકાયદેસર રીતે ઉભા થયેલા કાચા કે પાકા બાંધકામો દૂર કરવાની ઝુંબેશ સતત ચાલુ રહેશે. આ કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં પણ મોટી રાહત થશે.

