ગાયના છાણથી સ્વચ્છ ઊર્જા અને ખાતર ઉત્પાદન, ખેડૂતોની આવક વધારતું બનાસ મોડલ દેશભરમાં ફેલાઈ રહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતનું બનાસ બાયો-સીએનજી મોડલ અત્યારે દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી દ્વારા વિકસિત આ પ્રોજેક્ટ ગાયના છાણ જેવા જૈવિક કચરામાંથી સ્વચ્છ બળતણ અને જૈવિક ખાતર બનાવી રહ્યો છે. આ મોડલની સફળતા એટલી પ્રભાવશાળી છે કે કેન્દ્રીય મંત્રાલયોના સહયોગથી હવે દેશના અન્ય ૧૫ રાજ્યો પણ આ પદ્ધતિ અપનાવવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ માત્ર પર્યાવરણની જાળવણી જ નથી કરતો, પરંતુ ગ્રામીણ અર્થતંત્રમાં નવી જાન ફૂંકી રહ્યો છે.
બજેટમાં ૬૦ કરોડની ફાળવણી સાથે રાજ્ય સરકારનું પ્રોત્સાહન
ગુજરાત સરકારે આ ગ્રીન એનર્જી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે પોતાના બજેટમાં ૬૦ કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ કરી છે. આ ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યની સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા નવા બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપિત કરવાનો છે. સરકારની યોજના મુજબ આગામી સમયમાં રાજ્યમાં તબક્કાવાર રીતે ૧૦ જેટલા નવા પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આનાથી ડેરી ક્ષેત્ર માત્ર દૂધ ઉત્પાદન પૂરતું મર્યાદિત ન રહેતા સ્વચ્છ ઊર્જા ઉત્પાદનનું પણ મોટું કેન્દ્ર બનશે, જે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટું ડગલું છે.
પશુપાલકો માટે વધારાની આવક અને રોજગારીની તકો
બનાસકાંઠામાં કાર્યરત આ પ્લાન્ટ્સ આસપાસના ૨૦ થી ૨૫ ગામોના પશુપાલક પરિવારો માટે આવકનું નવું સાધન બન્યા છે. પશુપાલકો પાસેથી એક રૂપિયે કિલોના ભાવે છાણ ખરીદવામાં આવે છે, જેનાથી સેંકડો પરિવારોને આર્થિક ટેકો મળે છે. છાણના સંગ્રહ અને પ્લાન્ટ સુધીના પરિવહન માટે ટ્રેક્ટર-ટ્રોલીના વ્યવસ્થાપનથી સ્થાનિક સ્તરે અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે. આ મોડલ સાબિત કરે છે કે પશુપાલન સાથે સંકળાયેલો કચરો પણ જો યોગ્ય રીતે મેનેજ કરવામાં આવે, તો તે ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સમૃદ્ધિ લાવી શકે છે.
ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે પ્રદૂષણમાં મોટો ઘટાડો
આ પ્રોજેક્ટ આર્થિક ફાયદાની સાથે પર્યાવરણ માટે પણ ક્રાંતિકારી સાબિત થયો છે. એક અંદાજ મુજબ, આ પ્લાન્ટ વાર્ષિક આશરે ૬,૭૫૦ ટન જેટલા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરે છે. પ્લાન્ટમાં દરરોજ ૧,૮૦૦ કિલો બાયો-સીએનજીની સાથે મોટા પ્રમાણમાં ઘન અને પ્રવાહી જૈવિક ખાતરનું ઉત્પાદન થાય છે. રાસાયણિક ખાતરોનો વિકલ્પ પૂરો પાડતા આ જૈવિક ખાતરો જમીનની ફળદ્રુપતા વધારે છે. આમ, સ્વચ્છ ઇંધણ અને ઝેરમુક્ત ખેતીના સમન્વયથી ‘ગ્રીન બનાસકાંઠા’ અને ‘ગ્રીન ગુજરાત’નો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે.

