બાંગ્લાદેશનો મોટો નિર્ણય: ભારત સહિત અનેક દેશોને ચૂંટણી નિરીક્ષણ માટે આમંત્રણ
ભારત 12 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. શેખ હસીનાના પતન પછી બગડેલા સંબંધો સુધારવા માટે આ ચૂંટણી અત્યંત મહત્વની માનવામાં આવે છે. બાંગ્લાદેશે ભારતને આંતરરાષ્ટ્રીય નિરીક્ષક (ઓબ્ઝર્વર) તરીકે આમંત્રિત કર્યા છે.
બાંગ્લાદેશે તેની આગામી 13મી સંસદીય ચૂંટણી અને ‘જુલાઈ નેશનલ ચાર્ટર’ પર થનારા મતદાનમાં ભારતને આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ બંને પ્રક્રિયાઓ 12 ફેબ્રુઆરીએ થવાની છે. ભારતે હજુ સુધી પોતાની ઓબ્ઝર્વર ટીમ મોકલવાની પુષ્ટિ કરી નથી, તેથી ભારત તેમાં જોડાશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
330 આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો બાંગ્લાદેશ આવશે
પાડોશી દેશની વચગાળાની સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 330 આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ આવવાની પુષ્ટિ કરી છે. જેમાં 6 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, 16 દેશો અને 32 વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ છે. ગત 7 જાન્યુઆરી, 2024ની વિવાદાસ્પદ સામાન્ય ચૂંટણીની સરખામણીમાં આ સંખ્યા બમણાથી પણ વધુ છે.
કન્ફર્મ થયેલા મિશનમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC), યુરોપિયન યુનિયન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ છે. ‘એશિયન નેટવર્ક ફોર ફ્રી ઈલેક્શન’ (ANFREL) ના 28, કોમનવેલ્થ સેક્રેટરિએટના 25, ઇન્ટરનેશનલ રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટ (IRI) ના 7 અને નેશનલ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યૂટ (NDI) ના 1 સભ્ય પણ નિરીક્ષક તરીકે હાજર રહેશે.
સંખ્યા હજુ વધી શકે છે
વરિષ્ઠ સચિવ અને SDG કો-ઓર્ડિનેટર લામિયા મુર્શેદે જણાવ્યું હતું કે ઘણા દેશોએ હજુ સુધી તેમના પ્રતિનિધિમંડળની પુષ્ટિ કરી નથી, તેથી નિરીક્ષકોની સંખ્યા હજુ વધવાની અપેક્ષા છે. બાંગ્લાદેશે પાકિસ્તાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ઇજિપ્ત, ફ્રાન્સ, કુવૈત, મોરોક્કો, નાઇજીરિયા અને રોમાનિયા સહિત અન્ય ઘણા દેશોને પણ આમંત્રણ આપ્યું છે.
બાંગ્લાદેશ ચૂંટણી: લગભગ 50 રાજકીય પક્ષોના 2 હજાર ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો સંસદની 300 બેઠકો માટે ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીની સાથે ‘જુલાઈ નેશનલ ચાર્ટર’ હેઠળ કાર્યકારી સત્તાઓ પર સૂચિત મર્યાદાઓ અંગે લોકમત (રેફરન્ડમ) પણ યોજાશે.

