ભાવનગર ભરતનગર પોલીસ મથકના ચાર પોલીસ કોન્સ્ટેબલો ફોર્ચ્યુનર કાર માં આરોપી ને લઈ ગુજરાત આવતા હતા ત્યારે રાજસ્થાનના જયપુર પાસે શાહપુરના ભાભરુ નજીક થયેલા
અકસ્માતમાં કાર માં સવાર ચારેય કોન્સ્ટેબલો શક્તિસિંહ ગોહિલ, મનસુખ બાલધિયા, ઈરફાન આગવાન અને ભીખુભાઇ બુકેરા અને આરોપી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા હતા.
આ ઘટના ને પગલે પોલીસબેડામાં શોક ની લાગણી ફેલાઇ છે, ફરજ દરમ્યાન શહીદ થયેલા ચારેય પોલીસ કોન્સ્ટેબલોના પાર્થિવ દેહને ત્રણ પ્લેન મારફતે ભાવનગર એરપોર્ટ અને ત્યાંથી નવાપરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ડીજીપી, આઈજી, એસપી સહિતના પોલીસ અધિકારીઓ તથા રાજકીય આગેવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
મોડી રાત્રીના 11 કલાકે 3 પ્લેન મારફતે ચારેય પાર્થિવ દેહ ભાવનગર એરપોર્ટ પહોંચ્યા બાદ ધર્મ રથમાં પુરા સન્માન સાથે ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા પણ હાજર હતા અને શહીદો ને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ આઈજી, એસપી, એએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ભાવનગર પોલીસ બેડામાં બનેલા દુઃખદ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ શહીદ જવાનોના પરિવાર ને સરકાર અને પોલીસ વિભાગ દ્વારા મળવાપાત્ર સહાય ની જાહેરાત કરી હતી, જેમાં 2.5 લાખના ત્વરિત સહાયના ચેક ડીજીપી ના હસ્તે સ્થળ પર જ શહીદ પોલીસ જવાનો ના પરિવાર ને અર્પણ કરાયા હતા તેમજ મુખ્યમંત્રી દ્વારા દરેક જવાનના પરિવારને 4-4 લાખની સહાય જાહેર, હેડ કોન્સ્ટેબલ મનસુખ કાબાભાઈ બાલધિયા ને ઇન્સ્યોરન્સ સહિત 1 કરોડ 35 લાખ, જ્યારે બાકીના ત્રણે કોન્સ્ટેબલ ને 55 લાખ, 10-10 લાખ પોલીસ વેલ્ફેર ફંડ માંથી, તેમજ 10-10 લાખ સેન્ટ્રલ વેલ્ફેર ફંડ માંથી આપવાની જાહેરાત ડીજીપી આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં આ બનાવને પગલે શોક ની લાગણી પ્રસરી હતી અને મોટી સંખ્યામાં લોકો શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા જોડાયા હતા.