મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ ખાતે ભક્તોની સુવિધા માટે ૨૪x૭ જીપીએસ મોનીટરીંગ સાથે વિશેષ બસ વ્યવસ્થા
જૂનાગઢના ગિરનારની ગોદમાં આગામી પાંચ દિવસ સુધી ભવ્ય મહાશિવરાત્રી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ‘મિનિ કુંભ મેળા’માં આવતા લાખો શ્રદ્ધાળુઓની મુસાફરી સુખદ અને સરળ રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST) દ્વારા વ્યાપક પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરિવહન ક્ષમતામાં મોટો વધારો
ગત વર્ષના ૨.૯૧ લાખ મુસાફરોના આંકડાને ધ્યાને રાખી આ વર્ષે એસ.ટી. નિગમે પોતાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે:
-
વધારાની ટ્રીપો: અંદાજે ૧૯૫ જેટલી વધારાની બસો દ્વારા ૭,૮૦૦થી વધુ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે.
-
લક્ષ્યાંક: આ વર્ષે અંદાજે ૩.૭૦ લાખ મુસાફરોને મેળાનો લાભ લેવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવાનું આયોજન છે.
-
તળેટી સુધીની સેવા: જૂનાગઢ મુખ્ય બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી શ્રદ્ધાળુઓને લઈ જવા માટે દૈનિક ૮૦ વધારાની બસો સતત દોડતી રહેશે.
આંતર-જિલ્લા કનેક્ટિવિટી અને સુરક્ષા
રાજ્યના અન્ય ખૂણેથી આવતા ભક્તો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે:
-
એક્સપ્રેસ બસો: જૂનાગઢ ડિવિઝનની ૬૫ અને અન્ય ડિવિઝનની ૫૦ મળીને કુલ ૧૧૫ એક્સપ્રેસ બસો આંતર-જિલ્લા સુવિધા માટે ફાળવવામાં આવી છે.
-
૨૪*૭ મોનીટરીંગ: મુસાફરોની સુરક્ષા અને સમયપાલન જળવાઈ રહે તે માટે તમામ બસોનું ૨૪ કલાક જીપીએસ (GPS) સિસ્ટમ દ્વારા લાઈવ મોનીટરીંગ કરવામાં આવશે.
શિવભક્તો માટે સુવિધા સભર આયોજન
આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. એસ.ટી. નિગમની આ સુદ્રઢ વ્યવસ્થાને કારણે લાખો શિવભક્તો કોઈપણ મુશ્કેલી વગર ભવનાથ મહાદેવના દર્શન કરી શકશે અને મેળાના ભક્તિમય વાતાવરણનો લ્હાવો લઈ શકશે.
