આંગણવાડી અને પીએચસીના માર્ગદર્શનથી ચિંતા દૂર, સરકારની સહાયથી સુરક્ષિત પ્રસૂતિનો સફળ દાખલો
ગુજરાત સરકાર માતા અને બાળકોના સ્વાસ્થ્ય માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ ગર્ભધારણથી લઈને બાળકના જન્મ સુધી ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તાજેતરમાં ભુજ તાલુકાના સુખપર ગામના રહેવાસી આરતીબેન વેકરીયા માટે સરકારની આ મદદ આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. તેમની પ્રસૂતિમાં જટિલતા હોવા છતાં, સરકારી સહાય અને આધુનિક સારવારના કારણે માતા અને બાળક બંને આજે સંપૂર્ણ સ્વસ્થ અને સુરક્ષિત છે.
આર્થિક તંગી વચ્ચે ‘આયુષ્માન કાર્ડ’ બન્યું તારણહાર
આરતીબેને જણાવ્યું કે ગર્ભધારણ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થતા તેમણે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું કે ઓપરેશન (સિઝેરિયન) વગર પ્રસૂતિ શક્ય નથી. ઓપરેશનનો ખર્ચ ઘણો વધારે હોવાથી મધ્યમવર્ગીય પરિવાર માટે તે ચિંતાનો વિષય બન્યો હતો. આ મુશ્કેલ સમયમાં આંગણવાડી અને સ્થાનિક પીએચસી (PHC) સેન્ટરના ડોક્ટરોએ તેમને માર્ગદર્શન આપ્યું અને તાત્કાલિક ધોરણે ‘આયુષ્માન કાર્ડ’ કાઢી આપ્યું. આ કાર્ડના કારણે લાખોનો ખર્ચ બચી ગયો અને નિ:શુલ્ક સારવાર મળી.
સ્વસ્થ બાળકનો જન્મ અને મુખ્યમંત્રીશ્રીનો આભાર
સરકારની સમયસરની મદદથી આરતીબેનની પ્રસૂતિ સુખરૂપ સંપન્ન થઈ અને તેમણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. આરતીબેન અને તેમનો પરિવાર આ મદદ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માની રહ્યા છે. જો સરકારની આ યોજના ન હોત, તો પરિવાર મોટું આર્થિક દેવું કરવા મજબૂર બન્યો હોત. આજે આરતીબેન સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફર્યા છે અને સરકારની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.
આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર દ્વારા સતત દેખરેખ
પ્રસૂતિ બાદ પણ આરતીબેન અને તેમના બાળકની દરકાર લેવામાં આવી રહી છે. આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય કેન્દ્ર દ્વારા બાળકના રસીકરણ, નિયમિત સ્વાસ્થ્ય તપાસ અને માતાના પોષણ માટે સતત માર્ગદર્શન આપવામાં આવે છે. સરકારની આ કામગીરી દર્શાવે છે કે છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા માટે વહીવટી તંત્ર પૂરી સજ્જતા સાથે કામ કરી રહ્યું છે.
