NEET પેપર લીક મામલે ચોંકાવનારો ખુલાસો: NTA ના જ એક્સપર્ટે પેપર લીક કર્યું? CBI એ સીનિયર બોટની ટીચર મનીષા મંધારેની ધરપકડ કરી
દેશભરની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘NEET-UG ૨૦૨૬’ ના પેપર લીક કૌભાંડે સમગ્ર દેશના શિક્ષણ જગત અને લાખો વિદ્યાર્થીઓને હચમચાવી મૂક્યા છે. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ના હાથમાં એક બહુ મોટી સફળતા લાગી છે. સીબીઆઈએ આ આખા કૌભાંડમાં બાયોલોજી (જીવવિજ્ઞાન) ના પેપર લીકની મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઈન્ડ) ગણાતી મહિલા શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
આ કેસની તપાસમાં એક એવો ચોંકાવનારો અને શરમજનક ખુલાસો થયો છે, જેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની આખી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. સીબીઆઈના સત્તાવાર અહેવાલ મુજબ, ધરપકડ કરાયેલી સીનિયર બોટની ટીચર મનીષા મંધારેને ખુદ NTA દ્વારા જ NEET-UG ૨૦૨૬ ની પરીક્ષા પ્રક્રિયામાં એક સત્તાવાર એક્સપર્ટ (નિષ્ણાત) તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ જ સત્તાવાર હોદ્દાના કારણે તેની પાસે બોટની (વનસ્પતિશાસ્ત્ર) અને ઝૂઓલોજી (પ્રાણીશાસ્ત્ર) ના અતિ ગુપ્ત પ્રશ્નપત્રો સુધીની સીધી અને સંપૂર્ણ પહોંચ હતી, જેનો તેણે દુરુપયોગ કર્યો હતો.
ખાસ કોચિંગ ક્લાસ અને કાવતરાનો પર્દાફાશ
સીબીઆઈની ઊંડી પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મનીષા મંધારે પુણેમાં પોતાના ઘરે જ વિદ્યાર્થીઓ માટે ખાસ અને ગુપ્ત કોચિંગ ક્લાસ ચલાવતી હતી. આ ક્લાસ સામાન્ય ટ્યુશન જેવા નહોતા. એપ્રિલ ૨૦૨૬ દરમિયાન તેણે પુણેની જ અન્ય એક મહિલા મનીષા વાઘમારે નામની વચેટિયા (એજન્ટ) મારફતે એવા અનેક નીટ (NEET) ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો જેઓ પેપર ખરીદવા માટે મોટી રકમ આપવા તૈયાર હતા. ઉલ્લેખનીય છે કે, કાવતરાની મુખ્ય કડી ગણાતી આ મનીષા વાઘમારેની પોલીસે ગત ૧૪ મેના રોજ જ ધરપકડ કરી લીધી હતી.
આ ગુપ્ત ક્લાસમાં મનીષા મંધારેએ વિદ્યાર્થીઓને બોટની અને ઝૂઓલોજીના એવા ઘણા સંભવિત પ્રશ્નો આપ્યા હતા જે પરીક્ષામાં પૂછાવાના હતા. તેણે વિદ્યાર્થીઓને આ પ્રશ્નો તેમની પર્સનલ નોટબુકમાં લખાવ્યા હતા અને કેટલીક પુસ્તકોમાં ખાસ માર્ક (ટીક) પણ કરાવ્યા હતા. જ્યારે સીબીઆઈએ ૩ મે ૨૦૨૬ ના રોજ લેવાયેલી અસલી NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે આ નોટબુકની સરખામણી કરી, ત્યારે મોટાભાગના પ્રશ્નો બેઠા મળી આવ્યા હતા. આ પુરાવા મળતા જ તપાસ એજન્સીએ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૬ અલગ-અલગ સ્થળોએ આક્રમક દરોડા પાડ્યા છે, જેમાં શંકાસ્પદ લેપટોપ, મહત્વના દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
દેશભરમાં દરોડા: અત્યાર સુધીમાં ૯ આરોપીઓ જેલના સળિયા પાછળ
આ સમગ્ર મામલો ત્યારે સત્તાવાર બન્યો જ્યારે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની લેખિત ફરિયાદના આધારે સીબીઆઈએ ૧૨ મે ૨૦૨૬ ના રોજ વિધિવત ગુનો નોંધી તપાસ પોતાના હાથમાં લીધી હતી. કેસ દાખલ થતાંની સાથે જ સીબીઆઈની કેટલીક ખાસ ટીમો બનાવવામાં આવી હતી અને દેશવ્યાપી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ પેપર લીક કૌભાંડના કનેક્શનમાં દેશના અલગ-અલગ શહેરો જેવા કે દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગર (અહમદનગર) માંથી કુલ ૯ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ પકડાયેલા આરોપીઓમાંથી ૫ લોકોને કોર્ટમાં રજૂ કરીને ૭ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાયા છે. જ્યારે શુક્રવારે પકડાયેલા અન્ય બે આરોપીઓને પુણેની સ્થાનિક અદાલતમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવ્યા છે.
કેમિસ્ટ્રી અને બાયોલોજી પેપર લીકના અસલી સ્ત્રોતની ઓળખ થઈ
તપાસ એજન્સીઓના સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે, અત્યાર સુધીની તીવ્ર તપાસ અને ક્રોસ-વેરિફિકેશનમાં કેમિસ્ટ્રી (રસાયણશાસ્ત્ર) અને બાયોલોજી (જીવવિજ્ઞાન) ના પેપર લીક થવાના મૂળ સ્ત્રોત (Original Source) સુધી પહોંચવામાં સફળતા મળી ગઈ છે. સીબીઆઈએ એવા તમામ વચેટિયાઓ અને દલાલોની યાદી તૈયાર કરી લીધી છે જેમણે અમીર ઘરના નબળા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ દલાલો જ વિદ્યાર્થીઓને એ સ્પેશિયલ ક્લાસ સુધી પહોંચાડતા હતા જ્યાં પરીક્ષાના પ્રશ્નો પહેલાથી જ લીક કરીને ગોખાવવામાં આવતા હતા. સીબીઆઈનું કહેવું છે કે આ મામલે હજુ પણ ઘણા શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે અને તપાસ એકદમ પ્રોફેશનલ અને નિષ્પક્ષ રીતે આગળ વધી રહી છે.
પીવી કુલકર્ણી અને મનીષા: એક્સપર્ટ્સની જુગલજોડી અને આગામી ધરપકડની સંભાવના
આ કૌભાંડમાં માત્ર બાયોલોજી જ નહીં, પરંતુ કેમિસ્ટ્રીનું પેપર પણ સમાન પદ્ધતિથી લીક કરવામાં આવ્યું હતું. કેમિસ્ટ્રીના લેક્ચરર પી. વી. કુલકર્ણી અને બોટની ટીચર મનીષા ગુરુનાથ મંધારે – આ બંને પ્રોફેસરોને NTA એ પોતાના પેનલમાં એક્સપર્ટ તરીકે રાખ્યા હતા. આ બંને નબળી માનસિકતા ધરાવતા શિક્ષકોએ પેપર લીક કરીને કરોડો રૂપિયા કમાવવા માટે પુણેની રહેવાસી મનીષા વાઘમારેનો સહારો લીધો હતો.
મનીષા વાઘમારેનું કામ માત્ર એટલું જ હતું કે તે મેડિકલ ક્ષેત્રે જવા માંગતા અતિ શ્રીમંત પરિવારોના એવા વિદ્યાર્થીઓ શોધતી જેઓ ગમે તેટલા પૈસા આપવા તૈયાર હોય. ગ્રાહકો (વિદ્યાર્થીઓ) નક્કી થયા બાદ પી. વી. કુલકર્ણી માટે કેમિસ્ટ્રીનો અને મનીષા મંધારે માટે બોટનીનો અલગ-અલગ સ્પેશિયલ ક્લાસ ગોઠવવામાં આવતો હતો, જ્યાં પેપર લીક કરીને પ્રશ્નોના જવાબો સોલ્વ કરાવાતા હતા.
અત્યારે મનીષા વાઘમારે સીબીઆઈ માટે આ કેસની સૌથી મજબૂત કડી સાબિત થઈ રહી છે. બેંકિંગ વ્યવહારોની તપાસ માટે તેનું બેંક એકાઉન્ટ પણ સીઝ (ફ્રીઝ) કરી દેવામાં આવ્યું છે. સીબીઆઈના ઉચ્ચ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી થોડા જ કલાકોમાં આ કૌભાંડમાં શિક્ષણ જગત અથવા સરકારી તંત્ર સાથે જોડાયેલી વધુ એક મોટી હસ્તીની ધરપકડ થવાની પૂરેપૂરી સંભાવના છે. કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરનારા આ નેટવર્કને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે સીબીઆઈ હાલ દિવસ-રાત એક કરી રહી છે.

