યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ સુરક્ષિત ભારત પહોંચ્યું, UAE હુમલાના એક દિવસ પહેલા જ થયું હતું રવાના
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતું ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’ સુરક્ષિત રીતે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર પહોંચી ગયું છે. આ જહાજ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ પણ નુકસાન વિના બહાર નીકળનારું ત્રીજું ભારતીય જહાજ બન્યું છે. બુધવારે વહેલી સવારે 5:51 કલાકે આ ટેન્કર મુંદ્રાના દરિયાકાંઠે લંગારવામાં આવ્યું હતું.
આ ટેન્કર યુએઈના ફુજૈરાહ પોર્ટ પરથી અંદાજે 80,000 ટન ‘મર્બન ક્રૂડ ઓઈલ’ ભરીને ભારત આવવા રવાના થયું હતું. ભારતની રિફાઇનરીઓ માટે આ તેલ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. 18 માર્ચ એટલે કે બુધવારની સવારે આ જહાજ ભારત પહોંચતા ઉર્જા પુરવઠાને લઈને મોટી સફળતા મળી છે.
UAE પોર્ટ પર હુમલો અને જહાજની સુરક્ષિત વિદાય
સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘જગ લાડકી’ જ્યારે ફુજૈરાહ ઓઈલ ટર્મિનલ પર ક્રૂડ લોડ કરી રહ્યું હતું, ત્યારે શનિવારે ઈરાન દ્વારા ત્યાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે પોર્ટ પર આગ લાગી હતી અને લોડિંગની કામગીરીમાં થોડા સમય માટે અવરોધ આવ્યો હતો. જોકે, સદનસીબે ‘જગ લાડકી’ અને તેના પર સવાર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત રહ્યા હતા. હુમલાના બીજા જ દિવસે એટલે કે રવિવારે જહાજે પોર્ટ છોડ્યું અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારત તરફ પ્રયાણ કર્યું હતું.
યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર નીકળનારું ત્રીજું ભારતીય જહાજ
યુદ્ધની સ્થિતિમાં ભારત તેના જહાજોની સુરક્ષાને લઈને સતત એલર્ટ પર છે. ‘જગ લાડકી’ પહેલા બે ભારતીય એલપીજી કેરિયર, ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ એ પણ શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સફળતાપૂર્વક પાર કર્યું હતું. શિવાલિક મુંદ્રા પહોંચી ગયું છે, જ્યારે નંદા દેવી કંડલા બંદર પર લાંગર્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ પાસે વધતા જોખમને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ દ્વારા આ જહાજોને વિશેષ ‘એસ્કોર્ટ’ (સુરક્ષા કવચ) પૂરું પાડવામાં આવ્યું હતું.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ભારત માટે ઈરાનની ગેરંટી
વર્તમાન સંઘર્ષમાં ઈરાને જાહેરાત કરી છે કે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ અમેરિકા અને ઈઝરાયેલના જહાજો માટે બંધ રહેશે. જોકે, ભારત અને ઈરાન વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય વાતચીત બાદ ઈરાને ભારતીય ધ્વજ ધરાવતા જહાજોને સુરક્ષિત માર્ગ આપવાની ખાતરી આપી છે. ઈરાને અપીલ પણ કરી હતી કે ભારતીય જહાજો યુએઈના પોર્ટ વિસ્તારોમાંથી વહેલી તકે બહાર નીકળી જાય, કારણ કે તે વિસ્તારોને નિશાન બનાવવાની યોજના છે.
ગલ્ફ વિસ્તારમાં હજુ પણ ભારતીય જહાજો અને નાવિકો
શિપિંગ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ કુમાર સિન્હાના જણાવ્યા અનુસાર, હાલમાં પર્સિયન ગલ્ફમાં ભારતીય ધ્વજ ધરાવતા 22 મર્ચન્ટ જહાજો છે. જેમાં 6 એલપીજી કેરિયર, 1 એલએનજી કેરિયર અને 4 ક્રૂડ ઓઈલ ટેન્કરનો સમાવેશ થાય છે. આ જહાજો પર કુલ 611 ભારતીય નાવિકો સવાર છે. ભારત સરકાર આ તમામ નાવિકો અને જહાજોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ઈરાન સાથે સતત સંપર્કમાં છે.

