Dang : ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતો ને ચોમાસા બાદ સિંચાઈ થી ખેતી થઈ શકે તે માટે દમણગંગા અને વેર -2 યોજના હેઠળ ચેઇન સિસ્ટમ થી ચેકડેમો નિર્માણ કરાયા છે ,પરંતુ યોજનાઓમાં વ્યાપક ગેરરીતીઓને પગલે વ્યાપક ચેકડેમો લીકેજ કે ધોવાણ થઇ જતા સરકારનો હેતુ સફળ થતો નથી, સમગ્ર બાબતે તટસ્થ તપાસ હાથ ધરવા સ્થાનિકોમાં માંગ ઉઠી છે .
મળતી માહિતી મુજબ રાજ્યનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લામાં વર્ષે 100 ઇંચ થી વધુ વરસાદ ખાબકે છે . પરંતુ ડાંગ જિલ્લાની ભૌગોલિક ડુંગરાળ પરિસ્થિતિ ને કારણે વરસાદનું પાણી નીચાણવાળા વિસ્તારમાં નકામું વહી જાય છે . વરસાદનું નકામું વહી જતુ પાણી રોકવા રાજ્ય સરકાર દ્વારા ત્રણેય લોકમાતા અંબિકા ,ખાપરી ,પૂર્ણા ના કેચમેન્ટ વિસ્તારોમાં દમણગંગા અને જળસંપત્તિ વેર -2 વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ચેઇન સિસ્ટમ થી ચેકડેમો નિર્માણ તો કરાયા છે ,પરંતુ તકલાદી નિર્માણ કામગીરીને પગલે ખેડૂતો લાભ થી વંચિત રહી જતા રાજ્ય સરકારની આદિવાસી ખેડૂતોને પગભર કરવાની આશા ઠગારી નીવડે છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ટાંકલીપાડા અને પાંડવા ચોંક્યા વિસ્તારોમાં ગતવર્ષે બનેલ મોટાભાગના ચેકડેમો લોકેજ થવા અથવા વ્યાપક ધોવાણ થતા સરકારી લાખ્ખો રૂપિયા પાણી માં ગયાનો અહેસાસ સ્થાનિકો કરી રહ્યા છે . ટાંકલીપાડા ગામના આદિવાસી ખેડૂત ની જમીન ને અડી લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલ ચેકડેમોમાં ચોમાસાનું સંગ્રહ થયેલ પાણી ને કારણે સખારામભાઈ ભોંયે એ પિયત વાલ પાપડી અને કારેલા ની ખેતી કરી હતી ,પરંતુ ચેકડેમ ગત ચોમાસામાં ધોવાય જતા દિવાળીમાં રીપેર થઈ જશે તેવી આશાએ કરેલી ખેતી ચેકડેમ રીપેર ન થતા પાણી નકામું વહી ગયું હતું ,જેને પગલે ખેડૂત ની લાખહો રૂપિયા અને તનતોડ મહેનત થી કરેલ ખેતી પાણી ના અભાવે સુકાઈ જતા કફોડી સ્થિતિ સર્જાઈ હતી .આવી જ઼ રીતે અંબિકા અને પૂર્ણા નદીઓ ના કેચમેન્ટ એરિયામાં બનેલ ચેકડેમો પણ સુખા ભટ્ટ બની જતા ખેડૂતો સહીત પશુપાલકો ને સરકારી કરોડો રૂપિયાનો આંધણ છતાં તેનો લાભ મળી શક્યો નથી .
આ બાબતે ટાકલીપાડા ગામના આદિવાસી ખેડૂત સખારામ ભાઈ ભોંયે એ જણાવ્યું હતું કે દમણગંગા અને વેર -2 વિભાગ દ્વારા અમારા ગામ માંથી પસાર થતી ખાપરી નદી પર કરોડો રૂપિયાના ખર્ચે ચેઇન સિસ્ટમ થી અનેક ચેકડેમો નિર્માણ કરાયા છે ,પરંતુ ઇજારદાર અને અધિકારીઓની મિલી ભગતમાં ચેકડેમના નિર્માણમાં પહેલાથીજ ગેરરીતિઓ આચરવામાં આવતા બાંધકામની નબળી કામગીરી ને કારણે ચેકડેમમાં પાણીનું સંગ્રહ ન થતા યોજના નિષ્ફળ નીવડી છે .ત્યારે સમગ્ર બાબતે તટસ્થ તપાસ હાથ ધરી કસુરવારો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.